પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું લંડનમાં આપેલા ભાષણનો જવાબ સંસદમાં આપીશ


  • Published By :
  • Published Date : 2023-03-16 17:38:51

સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. અનેક મુદ્દાઓને લઈ સંસદમાં ચર્ચા કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતની કાર્યવાહી દરમિયાન અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. એક તરફ ભાજપ રાહુલ ગાંધી લંડનમાં આપેલા નિવેદન અંગે માફી માગે તેવી માગ કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ અદાણી મુદ્દાને લઈ તપાસ કરાવવાની માગ સાથે અડગ છે. આ મુદ્દાઓને લઈ સંસદમાં ભારે હોબાળો થતો રહ્યો છે ત્યારે આજે સંસદમાં રાહુલ ગાંધી પહોંચ્યા હતા. સંસદમાં મારી વાત રજૂ કરવા ગયો પરંતુ માત્ર એક મીનિટની અંદર જ સંસદની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.


અનેક મિનિટોની અંદર જ સદનની કાર્યવાહી સ્થગિત કરાઈ 

લંડનમાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ ભારતમાં હોબાળો થઈ રહ્યો છે. ભાજપ એવી માગ કરી રહી છે કે રાહુલ ગાંધી દેશની માફી માગે. જ્યારે અદાણી મુદ્દાને લઈ કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વિદેશથી પરત ફર્યા તે બાદ રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા હતા. સ્પીકર પાસે બોલવાનો સમય પણ માગ્યો હતો. ભારે હોબાળાને કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. બે વાગ્યા બાદ સંસદની કાર્યવાહી શરૂ થઈ તો માત્ર મિનિટોની અંદર જ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. 


સંસદમાં બોલવા માગું છું - રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પોતાની પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે હું આજે સંસદ ગયો હતો અને સ્પીકરને મળ્યો હતો. મેં સ્પીકરને કહ્યું કે હું સંસદમાં બોલવા માગું છું. હું મારી વાત રજૂ કરવા માગું છું. સરકારના ચાર મંત્રીઓએ ગૃહમાં મારા પર આક્ષેપો કર્યા છે. તેથી મને મારા મનની વાત કહેવા દેવી જોઈએ. જોકે મને લાગે છે કે મને બોલવાની છૂટ આપવામાં આવશે. આજે હું આવ્યો તેની એક મિનિટ બાદ ગૃહ સ્થગિત કરવામાં આવ્યું હતું.                 


અદાણી મુદ્દે પ્રધાનમંત્રી ડરી રહ્યા છે - રાહુલ ગાંધી

લંડનમાં આપેલા નિવદેનને લઈ રાહુલ ગાંધીએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ કહ્યું કે મારા ભાષણમાં એવી એક પણ વસ્તુ ન હતી જે મેં પબ્લિક રેકોર્ડથી પ્રાપ્ત નથી કરી. આ તમામ વસ્તુઓ મામલાને ડિસ્ટ્રેક્ટ કરવાનો છે. પ્રધાનમંત્રી મોદી અદાણી મુદ્દાને લઈ ડરી રહ્યા છે. તે જણાવે કે અદાણી સાથે તેમનો શું સંબંધ છે. 

હું સાંસદ છું અને સંસદ મારૂ મંચ છે - રાહુલ ગાંધી 

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લંડનમાં આપવામાં આવેલા ભાષણ અંગે સંસદમાં વિસ્તારથી આ અંગે જવાબ આપીશ. હું સાંસદ છું અને સંસદ મારૂ મંચ છે. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ વચ્ચે શું વાતચીત થઈ તે અંગેનો જવાબ આપવો જોઈએ. વડાપ્રધાન મોદી આનો જવાબ નથી આપી શક્યા. હું લોકસભાનો સદસ્ય છું. મારી જવાબદારી પોતાની વાત સંસદમાં રાખવાની છે. જો કાલે મને સંસદમાં બોલવાનો મોકો મળશે તો ત્યાં હું આ મુદ્દે વિસ્તારથી જવાબ આપીશ. મને લાગે છે કે મને પાર્લિયામેન્ટ હાઉસમાં બોલવાનો મોકો નહીં મળે. 


અનેક વખત સંસદની કાર્યવાહી કરાઈ છે સ્થગિત 

સંસદની કાર્યવાહીમાં ભાગ લેવા રાહુલ ગાંધી પહોંચ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ કરતા પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મેં લંડનમાં ભારત વિરૂદ્ધ કઈ પણ નથી કહ્યું. જો મને સંસદમાં બોલવાનો મોકો મળશે તો પોતાની વાત રજૂ કરીશ. મને લાગે છે કે મારુ બોલવું ભાજપને પસંદ નથી. રાહુલ ગાંધીના નિવેદનને લઈ સંસદમાં અનેક વખત ભાજપ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે જેને લઈ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. આજે પણ સવારે કાર્યવાહી શરૂ થઈ તો હોબાળાને કારણે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. બે વાગ્યા બાદ કાર્યવાહી શરૂ થઈ ત્યારે અમુક મિનિટોની અંદર જ આવતી કાલ સુધી સ્થગિત કરવામાં આવી છે.         




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.