વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકના મામલામાં પંજાબ સરકાર એક્શનમાં આવી ગઈ છે. પંજાબ સરકારના મુખ્ય સચિવ વિજય કુમાર જંજુઆ દ્વારા 9 અધિકારીઓને ચાર્જશીટ કરવા માટે મુખ્ય પ્રધાન ભગવંત માનને ફાઇલ મોકલી દીધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે PM મોદી જ્યારે 5 જાન્યુઆરી 2022ના રોજ પંજાબના પ્રવાસે ગયા હતા ત્યારે ભટિંડા એરપોર્ટથી હુસૈનીવાલા જતી વખતે તેમનો કાફલો અડધો કલાક સુધી ફ્લાયઓવર પર ફસાઈ ગયો હતો.
આ ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી
PM નરેન્દ્ર મોદીની સુરક્ષામાં બેદરકારીને લઈને પંજાબ સરકાર દ્વારા તત્કાલીન મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારી સિવાય DIG સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાય, SSP હરમનદીપ સિંહ હંસ, SSP ચરણજીત સિંહ, ADGP નાગેશ્વર, ADG નરેશ અરોડા, IG રાકેશ અગ્રવાલ, IG ઈન્દ્રવીર સિંહ અને DIG સુપજીત સિંહનો સમાવેશ થાય છે.
કેન્દ્રએ પંજાબ સરકાર પાસે માંગ્યો રિપોર્ટ
કેન્દ્ર સરકારે તાજેતરમાં જ PM મોદીની સુરક્ષામાં થયેલ ચૂકનાં મામલામાં પંજાબ સરકારને પત્ર લખીને કાર્યવાહીની રિપોર્ટ માગી હતી. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ પંજાબનાં મુખ્ય સચિવ વિજય કુમાર જંજુઆને પત્ર લખીને દોષી અધિકારીઓની સામે અત્યાર સુધીમાં કરવામાં આવેલી કાર્યવાહીનો વિસ્તૃત રિપોર્ટ માગ્યો હતો.
સમગ્ર મામલો શું હતો?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગત વર્ષ 5 જાન્યુઆરીનાં રોજ પંજાબનાં ફિરોજપુર જિલ્લાનાં હુસૈનીવાલા જઈ રહ્યાં હતાં. આ દરમિયાન વરસાદનાં લીધે PM મોદીને રોડ માર્ગથી જવું પડ્યું હતું. પરંતુ આ દરમિયાન પ્રદર્શનકારીઓએ હુસૈનીવાલાથી આશરે 30 કિમીનો રસ્તો જામ કરી દીધો જેના લીધે PM મોદીનો સુરક્ષા કાફલા અડધો કલાક સુધી એક ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો.