લોકસભાની એક બાજુ ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નિતાઓ કેસરિયો ધારણ કરી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય રાજ્ય પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાઈ શકે છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ફરી એક વખત ભાજપમાં ભરતી મેળો થવાનો છે જેમાં બીજી પાર્ટીના હજારો કાર્યકર્તાઓ કેસરિયો ધારણ કરવાના છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડવાનો છે કારણ કે નારણ રાઠવા આદિવાસી ચહેરો છે. અને કોંગ્રેસના દિગ્ગજ નેતા છે.
ચૂંટણી પહેલા ભાજપમાં થતી હોય છે વેલકમ પાર્ટી!
જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ત્યારે ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ જતો હોય છે. કોંગ્રેસના અથવા તો આમ આદમી પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો, કાર્યકર્તાઓ કેસરિયો ધારણ કરી લેતા હોય છે. ઓપરેશન લોટસ એકદમ એક્ટિવ થઈ જતું હોય છે. ગુજરાતના અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે. પેટાચૂંટણી થવાની છે અને ભાજપ તેમને ઉમેદવાર પણ બનાવી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.
ગુજરાતમાં 7માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કરવાની છે પ્રવેશ!
એક તરફ કોંગ્રસનું સંગઠન નબળું પડી રહ્યું છે તો બીજી તરફ ભાજપનું સંગઠન મજબૂત થઈ રહ્યું છે. ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહી છે. આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા કેસરિયો ધારણ કરવાના છે. રાજ્યસભા સાંસદ નારણ રાઠવા તેમજ તેમન પુત્ર સંગ્રામ રાઠવા ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં 7મી માર્ચે પ્રવેશ કરવાની છે. આદિવાસી વિસ્તારોમાં આ યાત્રા ફરવાની છે અને તેની પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
આદિવાસી નેતા ગણાતા નારણ રાઠવાએ કોંગ્રેસને કહ્યું રામ રામ!
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા માર્ચ મહિનામાં આદિવાસી વિસ્તાર દાહોદ, ગોધરા અને પંચમહાલમાંથી પસાર થવાની છે. યાત્રા ગુજરાતમાં પ્રવેશે તેની પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને છોટાઉદેપુરથી પાંચ વખત લોકસભાના સાંસદ રહેલા નારણ રાઠવા આજે ભાજપમાં જોડાવાના છે. મહત્વનું છે નારણ રાઠવાએ કોંગ્રેસમાંથી જ રાજકારણની શરૂઆત કરી હતી. લોકસભા ચૂંટણી પહેલા નારણ રાઠવા ભાજપમાં જોડાઈ રહ્યા છે તો એવી અટકળોએ જોર પકડ્યું છે કે તેમને લોકસભાના ઉમેદવાર પણ બનાવાઈ શકાય છે. ત્યારે જોવું રહ્યું આ રાજકારણ હજી કેટલા રંગ દેખાડે છે... !