મતદાન કરતી વખતે ગુજરાતની જનતા નહીં ભૂલે આ સળગતી સમસ્યાઓ


  • Published By :
  • Published Date : 2022-11-18 17:20:59

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બર અને બીજા તબક્કાનું પાંચમી ડિસેમ્બરે યોજાશે. આ વખતે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. તમામ રાજકીય પક્ષો લોકોને રિઝવવા માટે બનતા બધા જ પ્રયાસો કરી રહ્યા છે. રાજ્યમાં ભાજપનું શાસન છેલ્લા 27 વર્ષથી છે તેથી સ્વાભાવિક રીતે જ સત્તા વિરોધી માહોલ છે. વિરોધ પક્ષો ભાજપની નિષ્ફળતાઓને ગાઈ-વગાડીને લોકો સમક્ષ રજુ કરી રહ્યા છે ત્યારે ભાજપ આ એન્ટિ ઈન્કમબન્સીને કેટલી ખાળી શકે છે તે જોવાનું છે. ચૂંટણી ટાણે મતદાતાઓને સ્પર્શતી આ સમસ્યાઓ ભાજપ સરકાર વિરૂધ્ધ જઈ શકે છે.


મોંઘવારી


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોંઘવારીથી સમસ્યા એક સળગતો મુદ્દો બની રહેશે. તેલાના ડબ્બાથી માંડીને ગેસના બાટલાના ભાવ આસમાને પહોંચ્યા છે. તે ઉપરાંત પણ જીવન જરૂરીયાતની તમામ ચીજો જેવી કે અનાજ-કઠોળ અને શાકભાજીના વધેલા ભાવથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યમાં મોંઘવારીથી સૌથી મોટો ફટકો મધ્યમ વર્ગ અને ગરીબોને પડ્યો છે. મોંઘવારીના કારણે બે છેડા ભેગા કરતા દમ નિકળી જાય તેવી સ્થિતી સર્જાઈ છે.


બેરોજગારી 


રાજ્યમાં બીજ મોટી સમસ્યા શિક્ષિત બેકારોની છે. ગુજરાત એક ઔદ્યોગિક રાજ્ય હોવા છતા પણ બેરોજગારી દરેકને દઝાડતી સમસ્યા છે. સૌથી વધુ ઉદ્યોગો ગુજરાતમાં હોવા છતાં મૂળ ગુજરાતી યુવાનોને કંપનીઓ અને ફેક્ટરીઓમાં નોકરી મળતી નથી. રાજ્યમાં સરકારી ભરતીઓ પણ ઘટી હોવાથી સરકારી નોકરીની ઇચ્છા રાખતા યુવાનો નિરાશ છે. વળી સરકારી ભરતીઓમાં થતી પેપર લીકની ઘટનાએ પણ યુવાનોને ભાજપ સરકારથી વિમુખ બનાવી દીધા છે.


નબળું અને મોંઘુ શિક્ષણ


ગુજરાતની ભાજપ સરકારની સૌથી મોટી અને દુખતી રગ કહીં શકાય તો તે છે શિક્ષણ. આમ આદમી પાર્ટીએ પણ રાજ્યની શિક્ષણની સમસ્યાને લઈ ભાજપ પર સૌથી વધુ આરોપ લગાવ્યો છે. ગુજરાતમાં સારૂ શિક્ષણએ મધ્યમવર્ગીય પરિવાર માટે સ્વપ્ન સમાન બની ગયું છે. સરકાર અને ખાનગી શિક્ષણ સંસ્થાઓ વચ્ચેની મિલીભગતના પણ આરોપો થતા રહે છે. ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણ એટલા મોટા પ્રમાણમાં થયું છે કે 'શિક્ષણમાફિયા' શબ્દ ખુબ પ્રચલિત બન્યો છે. રાજ્યની અનેક શિક્ષણ સંસ્થાઓના માલિકો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ભાજપના નેતાઓ છે. 


ભ્રષ્ટાચાર


સરકારમાં વ્યાપેલા ભ્રષ્ટાચારથી લોકો ખુબ પરેશાન છે. પંચાયતથી માંડીને સચિવાલય સુધી ભ્રષ્ટાચારે ભરડો લીધો છે. અધિકારીઓ પર પ્રધાનોની પકડ ઢીલી પડી છે. ભ્રષ્ટાચારનું સૌથી મોટું દ્રષ્ટાંત મોરબી દુર્ઘટના છે. નાના કર્મચારીથી આઈએએસ અને આપીએસ અધિકારીઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. રાજ્યમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો છે. સરકારનો મહેસુલ વિભાગ સૌથી ભ્રષ્ટાચારથી ખદબદે છે. લોકોને નાનામાં નાના કરાવવા માટે પણ અધિકારીઓને લાંચ આપવી પડે છે. આ જ સ્થિતી પોલીસ વિભાગમાં પણ જોવા મળી રહી છે.   


જુની પેન્શન સ્કીમની માગ 


રાજ્યની ભાજપ સરકારને સૌથી મોટો ડર સરકારી કર્મચારીઓની નારાજગીનો છે. ગુજરાત સરકારના લગભગ તમામ વિભાગના કર્મચારીઓ જુની પેન્શન ફરીથી બહાલ કરવાની માગ કરી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી ટાણે જ ગાંધીનગરમાં અનેક સરકારી વિભાગના કર્મચારીઓએ આ માગને લઈ ધરણા પ્રદર્શનો કર્યા હતા. શિક્ષકો, વનકર્મીઓ, LRD, VCE, વિદ્યુતકર્મી,   આરોગ્યકર્મી, આંગણવાડી બહેનો સહિતનો સરકારી કર્મીઓનો એક મોટો વર્ગ સરકારથી નારાજ છે. સરકારે જે  તે સમયે અસંતોષની આગને ઠારવાના પ્રયાસો કર્યા હોવાનો દાવો તો કર્યો હતો પણ સરકારી કર્મચારીઓ ચૂંટણીટાણે તેમનો આક્રોશ સરકાર વિરૂધ્ધ મતદાન કરીને આપશે તો નવાઈ નહીં


લઠ્ઠાકાંડ અને મોરબી દુર્ઘટના


રાજ્યમાં ભાજપ સરકારને ઝટકો આપનારી સૌથી તાજી ઘટના લઠ્ઠાકાંડ અને મોરબી દુર્ઘટના છે. આ બંને ઘટનાથી લોકોને ભારે આઘાત લાગ્યો છે. મોરબીનો ઝુલતો બ્રિજ તુટવાની ઘટનાથી 135 લોકોના મોત થતા સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હજુ પણ ઓરેવા ગ્રુપના માલિકોની પોલીસે ધરપકડ પણ કરી નથી. તે જ રીતે દારૂબંધી માટે પ્રખ્યાત ગુજરાતના બોટાદમાં થયેલા આ લઠ્ઠાકાંડને કારણે 140થી વધુ લોકોના મોત થયા હતા. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.