રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ, 159 તાલુકામાં મેઘ મહેર, મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતો ખુશખુશાલ


  • Published By :
  • Published Date : 2023-09-17 13:11:44

શુક્રવારી જો વાદળી, રહે શનિશ્વર છાય,

ભડલી તો એમ જ ભણે, વિણ વરસે નવા જા


એટલે કે શુક્રવારના વાદળ શનિવાર સુધી આકાશમાં છવાયેલા રહે તો ભડલી કહે છે વરસાદ વરસ્યા વગર ન રહે. ભડલીનો આ દોહો એકદમ સચોટ રીતે સાચો પડ્યો છે. 


ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થતા અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે જેના પગલે નદી-નાળા છલકાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે. પંચમહાલના મોડવાહડફમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે હડફ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ભારે વરસાદ બાદ નદીમાં પાણીની ભારે આવક થઇ રહી છે. જ્યારે હાલ હડફ નદી બે કાંઠે વહેતી થઈ છે. 10 ઇંચ વરસાદના પગલે રોડ-રસ્તા અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તે જ પ્રકારે છોટાઉદેપુર જિલ્લાની તમામ નદી નાળા છલકાયા છે. આ સાથે છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી નદી ઓરસંગ નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. આ સાથે જ તંત્ર પણ એલર્ટ થયું છે અને કાંઠા વિસ્તારમાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. મેઘરાજાનું ફરી આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદ બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીંતી સેવી રહ્યા હતા. ત્યારે મેઘરાજાની ફરી એન્ટ્રી થતાં ખેડૂતોના પાકોને નવું જીવનદાન મળ્યું છે.  


આ જિલ્લાોમાં થઈ મેઘ મહેર


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં હળવાથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેમાં 18 તાલુકામાં 5થી 10 ઇંચ સુધી, 17 તાલુકામાં 3થી 5 ઇંચ, 51 તાલુકામાં 1થી 3 ઇંચ જ્યારે 74 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 10 ઇંચ મોરવા હડફમાં, 9.7 ઇંચ છોટા ઉદેપુરમાં, 9.6 ઇંચ શહેરામાં અને 9.4 ઇંચ દાહોદ જિલ્લામાં નોંધાયો છે. આજે સવારથી રાજ્યના અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહિસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડ જિલ્લામાં મેઘ મહેર જોવા મળી છે. છેલ્લા 24 કલાકનાં વરસાદી આંકડા જોઇએ તો, છોટાઉદેપુરમાં10 ઇંચ, પાવીજેતપુરમાં 5.5 ઇંચ, કવાંટમાં 4.5 ઇંચ, નસવાડીમાં 2.4 ઇંચ, સંખેડામાં 3.5 ઇંચ જ્યારે બોડેલીમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. શહેરામાં 4.6, વિરપુરમાં 4.2 ઇંચ, સંતરામપુર માં 2 ઈંચ અને બાલાસિનોરમા 5 ઈંચ વરસાદ જેટલો વરસાદ ખાબકતા પાણી-પાણી જોવા મળી રહ્યું છે.  


આજે આ જિલ્લાઓ માટે હવામાન વિભાગે કરી આગાહી


હવામાન વિભાગ, અમદાવાદના જણાવ્યા પ્રમાણે આજે એટલે કે, 17મીએ દાહોદમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત જે જિલ્લામાં અતિભારે વરસાદ ખાબકશે તેમાં છોડાઉદેપુર, પંચમહાલ અને અરવલ્લીનો સમાવેશ થાય છે. તે સિવાય બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપીમાં ભારે વરસાદની શક્યતા છે.


આ 13 જિલ્લામાં યલો અલર્ટ


રાજ્યના 13 જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને લઇને યલો એલર્ટ આપ્યું છે.  હવામાન વિભાગના અનુમાન મુજબ સંઘ પ્રદેશ સારા વરસાદની હવામાન વિભાગની આગાહી છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં સારા વરસાદની સંભાવના.. વરસાદની આગાહીને લઈને સંઘ પ્રદેશ પ્રશાસન એલર્ટ મોડ પર છે.  તો અમદાવાદ શહેર અને જિલ્લામાં આખી રાત વરસાદ વરસ્યો છે. ગોતા, થલતેજ, બોપલ, પ્રહલાદનગર, વેજલપુર, જીવરાજપાર્ક, રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો.


શું છે રાજ્યના ડેમની સ્થિતિ?


સૌરાષ્ટ્રના સૌથી વધુ 13 સહિત રાજ્યના 21 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. તો  દક્ષિણ ગુજરાતના ચાર,તો કચ્છ અને મધ્ય ગુજરાતના બે બે જળાશયો ભરાયેલા છે. છેલ્લા બે દિવસમાં વરસેલા સારા વરસાદથી રાજ્યના એલર્ટ પરના ડેમની સંખ્યા વધીને પહોંચી 131 પર પહોંચી છે. 85 હાઈએલર્ટ, 26 એલર્ટ, તો 20 ડેમ વોર્નિંગ પર છે. 75 ડેમમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.