સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

વાત કરીએ પરિણામોની , તો ગુજરાતમાં ૧૫ મહાનગરપાલિકાઓમાં ૧૦૪૪ બેઠકો પર જે મતગણતરી હાથ ધરાઈ તેમાં ૮૮૫ બેઠકો પર ભાજપ આગળ રહ્યું છે , ૭૯ બેઠકો પર કોંગ્રેસ આગળ રહી છે જયારે ૧૨ બેઠકો અન્ય અને આમ આદમી પાર્ટીને ફાળે ગઈ છે. સુરતમાં 1995 બાદ પ્રથમ વખત વિપક્ષ નેતાનું પદ ખાલી રહેશે. સુરત પાલિકાની 120 બેઠકમાંથી ભાજપને ફાળે 115 આપ ને 4 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. પાલિકામાં સત્તાવાર રીતે વિપક્ષને સ્થાન મળે તે માટે સાત બેઠક જરુરી છે પરંતુ બે પક્ષ મળીને પણ સાત બેઠક થઈ શકે તેમ નથી. તેથી પાલિકા કચેરી 1995 પછી ફરી એક વાર વિપક્ષી કેબિન વિનાની જોવા મળશે એટલું જ નહી પરંતુ વિપક્ષી નેતા ન હોવાથી વિપક્ષને ગાડી કે ફોન પણ મળી શકશે નહીં. હવે વાત કરીએ , ૩૪ જિલ્લા પંચાયતની વાત કરીએ તો ૧૦૯૦ સીટો પર ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ૮૫૦ બેઠકો પર ભાજપ , ૧૨૮ બેઠકો પર કોંગ્રેસ , ૫૫ બેઠકો પર અન્ય અને AAP આગળ રહ્યા છે. તાલુકા પંચાયતની વાત કરીએ તો , તેની ૫૨૩૪ બેઠકોમાંથી ૩૪૨૮ બેઠકો પર ભાજપ , કોંગ્રેસ ૯૨૭ બેઠકો પર , ૪૪૯ બેઠકો પર અન્ય અને આપના ફાળે ગઈ છે. નગરપાલિકાઓમાં ૨૬૨૪ બેઠકોમાંથી ભાજપ ૧૯૩૮ બેઠકો પર આગળ રહ્યું , ૪૫૮ બેઠકો પર કોંગ્રેસ આગળ રહી , ૧૭૭ બેઠકો પર અન્ય અને આપ આગળ રહ્યા છે.

આ તમામ પરિણામો વચ્ચે , આમ આદમી પાર્ટીની ચર્ચા થઇ રહી છે. કેમ કે , નર્મદા જિલ્લા પંચાયત પર AAPનો કબ્જો થયો છે. AAP દ્વારા ડેડીયાપાડા, ચીકદા , ગુડેશ્વર , વાલીયા, બગસરા, લાલપુર, જુનાગઢ, પોશીના, વિસાવદર, સાગબારા, છોટાઉદેપુર, કવાંટ એમ ૧૨ તાલુકા પંચાયત જીતી લીધી છે. આમ આદમી પાર્ટીએ ૨૦૨૭ના વિધાનસભાના જંગ માટે પોતાનો પાયો નાખી દીધો છે.






.jpg)








