મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૧૧મી તારીખ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે પણ નેતાઓ અને તેમના ટેકેદારોનું આવાગમન ચાલુ જ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સતાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે , કેમ કે , પાલનપુર શહેરના વોર્ડ નંબર ૧ના ભાજપના પૂર્વ નગર સેવક શાંતિ માળી અને તેમના પુત્ર પૂર્વ નગર સેવક આશિષ માળીએ ૧૦૦થી વધુ સમર્થકો સાથે જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. આશિષ માળી ભાજપ શાષિત પાલિકામાં પાણી પુરવઠાના ચેરમેન રહી ચુક્યા છે. સાથે જ હવે , ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈએ પણ ભાજપને રામ રામ કહીને કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરી છે.

મહેસાણામાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ ચરમસીમાએ આવી ગયો છે. કેમ કે, ભારતીય જનતા પાર્ટીના ૨૦૦ જેટલા કાર્યકરોએ ભાજપને ટાટા બાય બાય કહીને કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરી છે. આ માટે , મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર દ્વારા આ તમામ કાર્યકરોએ કોંગ્રેસમાં ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા છે. પાટીદાર સમાજના કાર્યકરો ખુબ મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા છે. આ સમગ્ર મામલે , મરતોલી ગામના આગેવાન મહેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે , " ભાજપમાં અમારી કોઈ વેલ્યુ થઇ નથી એટલા માટે અમારે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાવું પડ્યું છે. આજે અમારી સાથે પાટીદાર યુવાનો અને ઠાકોર યુવાનો કોંગ્રેસમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીમાં અમારું મૂલ્ય ના જાળવતા ભાજપમાંથી કોંગ્રેસમાં આવવું પડ્યું છે. " આમ ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને બનાસકાંઠામાં કોંગ્રેસ પક્ષે ભારતીય જનતા પાર્ટીને આંચકા આપ્યા છે ત્યારે જોવાનું એ રહે છે કે , સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પ્રજા ક્યા પક્ષ પર પોતાની પસંદગીનો કળશ ઢોળે છે.






.jpg)








