સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે. પંચમહાલ જિલ્લાના રાજકારણમાં આજે જબરદસ્ત ભૂકંપ જોવા મળ્યો છે. કેમ કે , જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ચેતનસિંહ પરમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા કોંગ્રેસ પાર્ટીને નુકશાન થવાની ભીતિ છે. આજે ચેતનસિંહ પરમારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કર્યો છે.
પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ દ્વારા આ રાજકીય ‘ઓપરેશન’ પાર પાડવામાં આવ્યું હતું. ચૂંટણીના ટાણે કોંગ્રેસના જિલ્લા પ્રમુખને ભાજપમાં જોડાવા માટે રાજી કરવામાં આવ્યા હતા, જેને ભાજપ માટે મોટી રાજકીય સફળતા માનવામાં આવી રહી છે. ઘોઘંબા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલ વિકાસ સંકલ્પ સભામાં ચેતનસિંહ પરમાર સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ તેમને કેસરિયો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા.ચૂંટણી પહેલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખના ભાજપમાં જોડાવાને કારણે પંચમહાલ કોંગ્રેસ સંગઠન હવે સુકાની વિહોણું બન્યું છે. આ ઘટનાના રાજકીય પ્રભાવ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળી શકે છે.
ચૂંટણીઓ પહેલા જ સેનાપતિએ પક્ષ છોડતા જ પંચમહાલ કોંગ્રેસ આગેવાન વિહોણી બની ગઈ છે. કોંગ્રેસના મજબૂત સ્તંભ ગણાતા ચેતનસિંહના ભાજપ પ્રવેશથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે. આ પક્ષપલ્ટા પાછળ, જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ , જિલ્લા મહામંત્રી કુલદીપસિંહ સોલંકી અને કિસાન મોરચાના મહામંત્રી જયપાલસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. આ ત્રણેય નેતાઓએ સૂક્ષ્મ આયોજન અને રાજકીય વ્યૂહરચના દ્વારા કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને ભાજપમાં લાવવામાં સફળતા મેળવી છે.