Jamawat News Bulletin : સૌરાષ્ટ્રના આ 5 ક્રિકેટરની કીટમાંથી દારુ ઝડપાયો, આગામી દિવસોમાં કેવું રહેશે રાજ્યનું હવામાન?...


  • Published By :
  • Published Date : 2024-01-29 09:30:48

પીએમ મોદી આજે બોર્ડના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરવાના છે. બોર્ડની એક્ઝામ વખતે વિદ્યાર્થીઓમાં તણાવ જોવા મળતો હોય છે, પરીક્ષાને લઈ વાલીઓમાં તેમજ વિદ્યાર્થીઓ સ્ટ્રેસ લેતા જોવા મળતા હોય છે. માર્કસ સારા આવશે કે નહીં આવે તેનું ટેન્શન વિદ્યાર્થીઓ પર રહેતું હોય છે. ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓ સાથે પીએમ મોદી સંવાદ કરવાના છે અને પરીક્ષાને લઈ ટિપ્સ આપવાના છે. 2 કરોડથી વધારે વિદ્યાર્થીઓએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મહત્વનું છે કે આની પહેલા પણ વિદ્યાર્થીઓ સાથે પીએમ મોદીએ પરીક્ષા પે ચર્ચા કરી છે. 


નવમી વખત નીતિશ કુમાર બન્યા બિહારના મુખ્યમંત્રી 

નીતિશ કુમારે ફરી એકવાર બિહારના મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું છે. રવિવારે બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે નીતિશ કુમારને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ નીતીશ કુમારે નવમી વખત બિહારના મુખ્યમંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. નીતિશ કુમારની સાથે ભાજપના બે દિગ્ગજ નેતાઓ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હાએ પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. આજે BJP, JDU અને HAM પાર્ટીના 8 ધારાસભ્યોએ પણ મંત્રી બન્યા હતા. આ દરમિયાન જેપી નડ્ડા અને બીજેપીના અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તોડ કરતા  RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલની થઈ ધરપકડ! 

રાજ્ય શિક્ષણ વિભાગમાં શાળાની મંજૂરી જેવા મામલે શિક્ષણ માફિયાઓ દ્વારા તોડકાંડ કરવામાં આવતો હોવાનું જગજાહેર છે. જો કે હવે આ શિક્ષણ માફિયાઓ પર તવાઈ આવી છે. CID ક્રાઈમે તોડકાંડમાં RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ નામના એક શખ્સની ધરપકડ કરી છે. સુરતના શાળા સંચાલકે CID ક્રાઈમને અરજી કરી હતી કે, RTIના આધાર પર એક વ્યક્તિ મોટા મોટા તોડ કરે છે. જે બાદ ગાંધીનગરમાં મહેન્દ્ર પટેલના ઘરે CID ક્રાઈમે દરોડા પાડ્યા હતા. મહેન્દ્ર પટેલે RTI એક્ટિવિસ્ટ તરીકે અનેક શાળાઓમાં તોડ કરવાનો મામલો સામે આવતા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઘર અને ઓફિસે દરોડા પાડ્યા હતા. સીઆઈડીએ તપાસ હાથ ધરી હતી. જેમાં રોકડ અને શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે. આ તપાસમાં મહેન્દ્ર પટેલ 18 શાળાઓ સાથે સેટિંગ કરી ગેરકાયદેસર રીતે વસૂલાત કર્યાનું સામે આવ્યું છે. મહેન્દ્ર પટેલની ધરપકડ થતા રાજ્યમાં તોડબાજી કરતાં શખ્સોમાં ફફડાટ ફેલાયો છે.

કેવું રહેશે ગુજરાતનું હવામાન? 

રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી છે. તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો થયો છે. એકથી બે ડિગ્રી જેટલું તાપમાન ઉંચકાયું હતું જેને કારણે ઠંડીનો અહેસાસ ઓછો થતો હતો. આગામી દિવસોમાં પણ ઠંડીથી રાહત મળી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં વરસાદની સંભાવના નહીંવત છે. વરસાદની સંભાવના નથી. ઉપરાંત રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. હવામાન નિષ્ણાતની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. ઠંડી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે તેવી આગાહી કરવામાં આવી છે. 

સૌરાષ્ટ્રના આ 5 ક્રિકેટરની કીટમાંથી દારુ ઝડપાયો!

સૌરાષ્ટ્ર ક્રિકેટની અંડર-23 ટીમ સી.કે નાયડું ટ્રોફીની મેચ રમવા માટે ચંદીગઢ ગઈ હતી. સી.કે.નાયડુ ટ્રોફીનો મેચ જીતી રાજકોટ પરત ફરતા હતા ત્યારે  ક્રિકેટરોના કીટમાંથી દારૂ અને બિયર ઝડપાયું. સૌરાષ્ટ્રના અંડર 23 ટીમના ખેલાડીઓ સી કે નાયડુ ટ્રોફી રમવા ચંદીગઢ ગયા હતા જે બાદ સિનિયરે જુનિયર ક્રિકેટર જોડે દારૂ-બિયર મંગાવ્યા હતા. જો કે આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સત્તાધીશોનું સમગ્ર મામલે મૌન ધારણ કર્યું છે. જો કે સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે જે પણ ક્રિકટરોની કીટમાંથી દારૂ અને બિયર ઝડપાયું છે તેમાંથી મોટા કેટલાક ક્રિકેટરો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે સીધો ઘરોબો ધરાવે છે. આ 5 ક્રિકેટરોની કીટમાંથી 27 બોટલ દારૂ અને બે યુનિટ બિયર ઝડપાયો હતો. સમગ્ર મામલે ઝીંણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. જો સૂત્રોનું માનીયે તો જે પાંચ ક્રિકેટરોના કીટમાંથી દારૂ ઝડપાયો છે તેમના નામ પ્રશમ રાજદેવ, સમર્થ ગજ્જર, રક્ષિત મેહતા, પાર્શ્વરાજ રાણા, સ્મિતરાજ ઝાલા છે. જેમાંથી પ્રશમ રાજદેવ અને સ્મિતરાજ ઝાલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશનના હોદેદારો અને સ્ટાફ જોડે સબંધ ધરાવે છે. જો કે આ બાબતે કોઈ આધિકારીત માહિતી એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવી નથી.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.