ધારાસભ્ય હર્ષદ રીબડિયાનું કોંગ્રેસમાંથી રાજીનામું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 20:56:25

જૂનાગઢના વીસાવદરના કોંગ્રેસ તરફના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આજે સાંજે વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યને રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસે સમગ્ર મામલે પહેલા અફવા ગણી હતી પરંતુ હવે હર્ષદ રીબડિયાએ સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે. જોકે હાલ હર્ષ રીબડિયાએ કયા પક્ષમાં જોડાશે તે મામલે કોઈ પુષ્ટિ નથી કરી. 


ઈસુદાન ગઢવીએ કરી હતી ટ્વીટ 

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ઈસુદાન ગઢવીએ આજે સાંજે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અનેક નેતાઓ ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે." ઈસુદાન ગઢવીની ટ્વીટથી દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે. 

હર્ષદ રીબડિયાએ હજુ કોઈ પ્રતિક્રિયા નથી આપી

જો કે હર્ષદ રીબડિયા ભાજપમાં જોડાશે કે આમ આદમી પાર્ટીમાં જોડાશે તે હજુ સામે નથી આવ્યું. ભાજપે હાલ સમગ્ર મામલે કોઈ પ્રતિક્રિયા નથી આપી. આમ આદમી પાર્ટી તરફથી પણ કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. આગામી ચૂંટણી પહેલા હજુ ઘણા બધા બદલાવો જોવા મળશે. તે બદલાવોમાંનોએક ઝટકો કોંગ્રેસને પડી ગયો છે. ચૂંટણી પહેલા હજુ કેટલા મોટા ફેરફારો જોવા મળશે તે જોવાનું રહેશે.  


ભાજપે શું પ્રતિક્રિયા આપી?

ભાજપના મીડિયા સંયોજક યજ્ઞેશ દવેએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી કે, આ કોંગ્રેસનો આંતરીક કલેહ છે. રાહુલ ગાંધી જ્યારે ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ નીચે જોવું પડશે. કોંગ્રેસનો આંતરિક કલેહ અને તેમણે ભારત જોડોની જગ્યાએ કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ. ભાજપમાં જોડાશે કે નહીં તે મામલે હાલ કોઈ પ્રતિક્રિયા નથી આપવી પરંતુ એટલું ખાસ કહીશ કે જે થશે તે આગામી સમય દેખાડશે. જ્યારે જમાવટે પૂછ્યું કે ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આપમાં કોંગ્રેસના નેતા જોડાશે તે મામલે ભાજપનું શું કહેવું છે ત્યારે યજ્ઞેશ દવેએ કહ્યું હતું કે, "એ ઈસુદાન ગઢવીને ખબર કોણ જોડાશે કોણ નહીં જોડાય. તેનાથી ભાજપને કોઈ લેવા દેવા નથી." 


કોંગ્રેસે શું પ્રતિક્રિયા આપી?

જમાવટે કોંગ્રેસ સાથે સમગ્ર મામલે ચર્ચા કરી ત્યારે કોંગ્રેસ જણાવ્યું હતું કે અમને હજુ સુધી કોઈ માહિતી નથી. અમે નીમાબેન આચાર્ય સાથે ચર્ચા કરીને જાણીશું ત્યાર બાદ પ્રતિક્રિયા આપીશું. અમે હર્ષદ રીબડિયા સાથે પણ ચર્ચા કરીશું. ત્યાર બાદ અમે પ્રતિક્રિયા આપીશું.


આમ આદમી પાર્ટીએ શું પ્રતિક્રિયા આપી?

જ્યારે જમાવટે આપના મીડિયા પ્રવક્તા યોગેશ જાદવાણીની પ્રતિક્રિયા લીધી ત્યારે આપ તરફથી તેમણે નિવેદન આપ્યું હતું કે, 'કોંગ્રેસના ઘણા નેતાઓ આપમાં જોડાશે તેવું ચર્ચાઓમાં છે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન છે. કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે જ જોડાયેલા છે. પરંતુ કોંગ્રેસના અમુક સારા નેતા ભાજપ સામે લડે છે તેને કોંગ્રેસ ગણકારતી નથી હતા. કોંગ્રેસ  ભાજપને હરાવી શકે તેમ નથી, માટે કોંગ્રેસના લડતા લોકો હવે બીજી દિશા તરફ જોઈ રહ્યા છે. ગુજરાતના લોકોના હિત માટે કોંગ્રેસના નેતાઓ આપમાં જોડાશે અને તેમને જોડાવું પણ જોઈએ.  જેથી જો કોંગ્રેસ ભાજપ સામે કંઈ નથી કરી શકતી તો આમ આદમી પાર્ટી લોકોનો અવાજ બની શકે.'  







ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.