સવારે પ્રેમિકાની હત્યા, ફ્રિજમાં છુપાવી લાશ, પછી સાંજે કર્યા લગ્ન, નિક્કી હત્યા કેસમાં થયો મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-02-15 21:32:41

દેશના લોકો દિલ્હીમાં થયેલી શ્રદ્ધા વાલકર હત્યાને હજુ ભૂલી પણ શક્યા નથી ત્યાં તો  આવી જ બીજી એક દર્દનાક ઘટના સામે આવી છે. શ્રદ્ધા હત્યા જેવી આ ઘટનાએ ફરી એકવાર આખા દેશને હચમચાવી દીધો છે. પોતાના પ્રેમી સાથે લિવ ઇનમાં રહેતી નિક્કી યાદવની તેના જ પાર્ટનર સાહિલ ગેહલોતે ખુબ નિર્મમતાપુર્વક હત્યા કરી નાખી છે. વળી સાહિલ ગેહલોત તેની લિવ-ઇન પાર્ટનર નિક્કી યાદવની લાશને ફ્રિજમાં રાખીને લગ્ન કરવા ગયો હતો.


બે વર્ષથી હતા લિવ ઈન પાર્ટનર


સાહિલ અને નિક્કી યાદવ ચાર વર્ષ પહેલા એક કોચિંગ સેન્ટરમાં મળ્યા હતા. સાહિલ અને મૃતક યુવતી નિક્કી યાદવ છેલ્લા બે વર્ષથી સહમતિથી સંબંધમાં હતા. સાહિલ તેના પરિવારના દબાણ હેઠળ બીજી છોકરી સાથે લગ્ન કરી રહ્યો હતો, જ્યારે નિક્કી યાદવ તેની સાથે લગ્ન કરવા માંગતી હતી.


સાહિલે બીજી છોકરી સાથે કરી હતી સગાઈ 


પોલીસ તપાસમાં એ વાત સામે આવી છે કે સાહિલે તેના પરિવારને નિક્કી પ્રત્યેના પ્રેમ વિશે જણાવ્યું ન હતું. બીજી તરફ સાહિલના પરિવારજનોએ તેના પર બીજી યુવતી સાથે લગ્ન કરવા દબાણ શરૂ કર્યું હતું. આખરે ડિસેમ્બર 2022માં સાહિલે બીજી છોકરી સાથે સગાઈ કરી લીધી. સાહિલના લગ્ન 11 ફેબ્રુઆરીએ નક્કી થયા હતા. આરોપીએ આ વાત નિક્કીને કહી ન હતી.


નિક્કીના શબને ફ્રિજમાં રાખીને કર્યા લગ્ન


જ્યારે નિક્કીને સાહિલના આ લગ્ન અંગે ખબર પડી તો તેણે સાહિલ સાથે લગ્ન કરવાની જીદ કરવા લાગી. આ મામલો આગળ વધ્યો અને બંને વચ્ચે ઝઘડો થયો. એને કારણે સાહિલે ગુસ્સામાં આવી 10 ફેબ્રુઆરીએ સવારે સાહિલે પહેલા મોબાઈલ કેબલથી નિક્કીનું ગળું દબાવ્યું અને પછી તેની હત્યા કરી નાખી હતી. લાશને ઢાબાના ફ્રીજમાં રાખીને તે પોતાના ઘરે ગયો અને 11 ફેબ્રુઆરીએ ઝજ્જર જાન લઈ જઈને બીજી યુવતી સાથે લગ્ન કર્યા. પોલીસે નિકીની લાશને પણ ફ્રીઝમાંથી કાઢીને હસ્તગત કરી લીધી છે.


નિક્કી મેડિકલ પ્રવેશ પરીક્ષાનું કોચિંગ લઈ રહી હતી


સાહિલે પોલીસને જણાવ્યું હતું કે તે જાન્યુઆરી 2018માં ઉત્તમ નગરના કેરિયર પોઈન્ટ કોચિંગ સેન્ટરમાં એસએસસીની પરીક્ષા માટે કોચિંગ લેવા માટે ગયો હતો. તે જ સમયે હરિયાણાના ઝજ્જરની રહેવાસી નિક્કી યાદવ ઉત્તમ નગરના આકાશ ઈન્સ્ટીટ્યુટમાં મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા માટે કોચિંગ લઈ રહી હતી. બંને રોજ એક જ બસમાં સાથે અપડાઉન કરતા હતા, જેના કારણે બંને મિત્રો બની ગયા હતા. ત્યાર બાદ બંને જલ્દી પ્રેમમાં પડી ગયા હતા, બંનેએ કોચિંગ પહેલાં અને પછી મળવાનું શરૂ કર્યું. ફેબ્રુઆરી 2018માં સાહિલે ગ્રેટર નોઈડાની ગલગોટિયા કોલેજમાં ડી. ફાર્મામાં એડમિશન લીધું.


નિક્કીની ગળું દબાવીને હત્યા કરી


સાહિલે પોલીસને જણાવ્યું કે તેણે 10 ફેબ્રુઆરીએ સવારે 4 વાગ્યે ડેટા કેવલથી નિક્કીનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી, નિક્કીના મૃતદેહને મિત્રાઉ ગામમાં આવેલા તેના ઢાબાના ફ્રિજમાં રાખીને તેણે તેને તાળું મારી દીધું હતું. ચાર વર્ષ પહેલા ઉત્તમ નગર સ્થિત કોચિંગમાં બંનેની મિત્રતા થઈ હતી. આ પછી બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા.


કઈ રીતે હત્યાનો પર્દાફાશ થયો?


નિક્કી યાદવની હત્યા અંગે ADCP વિક્રમ સિંહે જણાવ્યું હતું કે તેમને મંગળવાર સવારે સૂચના મળી હતી કે એક યુવતીની હત્યા કરી તેની લાશને ઢાબામાં છુપાવી દેવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી લીધો. તપાસ પછી આરોપી સાહિલ ગેહલોત પકડાઈ ગયો છે. આગળની કાર્યવાહી હજુ ચાલુ છે. જે ઢાબામાં નિક્કીની લાશ રાખવામાં આવી એ સાહિલ ગેહલોતનું જ હતું. આરોપીએ પહેલાંથી વિચારી જ રાખ્યું હતું કે હત્યા કરી લાશ ક્યાં છુપાવવાની છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.