Sabarkathaમાં વિકાસના નામે કશું નથી આઝાદી બાદ અહીંયા રોડ જ નથી બન્યો! આ પરિસ્થિતિ અનેક વિસ્તારોની હશે....


  • Published By :
  • Published Date : 2023-11-03 10:55:36

વિકાસની મોટી મોટી વાતો જ્યારે સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યારે એવી વાતો કરતા પહેલા તેમણે અંતરિયાળ વિસ્તારથી આવેલા દ્રશ્યોને જોઈ લેવા જોઈએ. ગુજરાતને વિકાસ મોડલ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે, વિશ્વભરમાં એવી વાતો કરાય છે કે તેવા ગુણગાન ગવાય છે કે જાણે ગુજરાત અને વિકાસ એકબીજાનો પર્યાય બની ગયા હોય. પરંતુ અનેક વીડિયો તેમજ અનેક કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા હોય છે સરકારને વાસ્તવિક્તા બતાવવા માટે પૂરતા હોય છે. છોટાઉદેપુર તેમજ ડાંગથી તો આવા અનેક વીડિયો સામે આવતા હોય છે જેમાં વિકાસની પોલ ખુલી જતી હોય છે. ત્યારે સાબરકાંઠાથી વીડિયો સામે આવ્યો છે જેમાં બીમાર વૃદ્ધને ઝોળીમાં નાખી સારવાર માટે લઈ જવાય છે.  પોશીના તાલુકાના ગુજરા કરમદી કળી વિસ્તારની ઘટના છે. 

પરિવારને બીમાર વૃદ્ધની સારવાર માટે ઝોળીમાં નાખીને 5 કિમી ચાલવુ પડ્યું

સારા રસ્તા માટે પણ લોકો ઝંખી રહ્યા છે 

એક તરફ આપણે મેટ્રો ટ્રેનની અને બુલેટ ટ્રેનની વાતો કરીએ છીએ. તેના સપના જોઈએ છે તો બીજી તરફ ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં અથવા તો ગામડામાં રહેતા લોકો તો સારા રસ્તા માટે ઝંખના કરી રહ્યા છે. આઝાદીના અનેક વર્ષો વીતિ ગયા, દેશ તેમજ રાજ્ય પ્રગતિ તરફ આગળ વધી રહ્યું છે, સરકારની ભાષામાં કહીએ તો બુલેટગતિથી વિકાસ ગુજરાતમાં થઈ રહ્યો છે..! પરંતુ આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગુજરાતના જ અનેક અંતરિયાળ વિસ્તારો એવા છે જે વિકાસ માટે તરસી રહ્યા છે. બુલેટ કે મેટ્રો ટ્રેનની વાત તો દૂર પરંતુ ત્યાં તો હજી સારા રસ્તા પણ નથી પહોંચ્યા. સારા રસ્તા પણ નહીં પરંતુ સામાન્ય રોડ પણ નથી બન્યો. એક તરફ આપણે બુલેટ ટ્રેનની વાતો કરી રહ્યા છીએ જ્યારે આદિવાસી અને છેવાડાના આ લોકો સુધી વિકાસનો વી પણ નથી પહોંચ્યો એ લોકો માટે વિકાસ શું છે તેની કોઈ પરિભાષા જ નથી કારણકે એ લોકો એ વિકાસ જોયો જ નથી.


આઝાદીના આટલા વર્ષો બાદ પણ નથી બદલાઈ પરિસ્થિતિ!

ગુજરાતના અનેક ગામડા એવા છે જ્યાં સામાન્ય અને મેઇન રસ્તા જ નથી.  વીડિયોમાં જે દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે સારા રસ્તા ન હોવાને કારણે વૃદ્ધને ઝોળી કરીને લઈ જવા પડે છે. ન માત્ર વૃદ્ધોને પરંતુ ગર્ભવતી મહિલાને પણ આવી જ પરિસ્થિતિથી અને આવી રીતે લઈ જવામાં આવે છે. આ ઘટનાની કરૂણ વાસ્તવિક્તાતો એ છે કે આઝાદી બાદથી આજ દિન સુધી આ વિસ્તારોમાં રોડ બન્યો નથી. તંત્રનો વિકાસ હજી પોશીના તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પહોંચ્યો નથી. સરકારના આરોગ્ય સેવાઓના દાવાઓ પણ પોકળ સાબિત થયા છે કારણ કે આરોગ્ય સેવા પહોંચાડવા માટે રસ્તા તો હોવા જોઈએને. 


એમ્બ્યુલન્સ ન હોવાને કારણે ગયો વ્યક્તિનો જીવ 

થોડા સમય પહેલા વાંસદાથી પણ એક વીડિયો સામે આવ્યો હતો. એ વીડિયો વાંસદા પાસેના ખાટા આંબા ગામનો હતો. જ્યાં કોઈ રસ્તો જ નથી. વિપુલભાઈ ધનગરે નામના વ્યક્તિ બીમાર હતા એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં માટે એમ્બ્યુલન્સ મેઇન રસ્તા પર ઊભી હતી ત્યાં પહોંચવા માટે વિપુલભાઈને ઝોળી કરીને લઈ ગયા અને ત્યાંજ દોઢ કિલોમીટર અંતર કાપવામાં વિપુલ ભાઈનું મૃત્યુ થઈ ગયું. આ તો એવા કિસ્સાઓની વાત કરી જે પ્રકાશમાં આવ્યા છે, શહેરમાં રહેતા લોકો માટે આવા દ્રશ્યો નવા હોઈ શકે પરંતુ ગામડામાં રહેતા લોકોને આવી પરિસ્થિતિનો સામનો પ્રતિદિન કરવો પડે છે. જે દ્રશ્યો જોઈને આપણને થાય કે આવી પરિસ્થિતિમાં લોકો કેવી રીતે રહી શકે તેવી પરિસ્થિતિમાં આ લોકો પોતાનું જીવન ગુજારી રહ્યા છે. 

દયાળુ સરકાર આ લોકો પર પણ થોડી દયા કરો!

આવા વીડિયો જોયા પછી પછી એવી જ વાત દિમાગ આવે કે સત્તાધીશોને આ કરૂણ દ્રશ્યો જોયા પછી કોઈ અસર થશે? તેમને આ લોકોની પીડા સમજાશે? બસ આ જ રીતે અનેક જિંદગીઓ કચડાઈ જાય છે સિસ્ટમની બેદરકારી અને કામચોરીના કારણે. જ્યારે માણસ એ ગામમાં રહે છે ત્યારે તે કઈ પરિસ્થિતિમાં રહે છે, કઈ સમસ્યાનો તેને સામનો કરવો પડે છે તે ત્યાં રહેતા લોકોને જ ખબર હોય... ત્યારે કહેવાની ઈચ્છા થાય કે હે દયાળુ સરકાર થોડી દયા આ લોકો પર પણ કરો! બીજી વાત પણ એમાં સામે આવી છે કે ત્યાં વસતા લોકોને પોતાની જગ્યા છોડવી નથી.  ડુંગરાળ વિસ્તારમાં વસતા લોકો આજે પણ એમની પરંપરા પ્રમાણે જીવન નિર્વાહ કરી રહ્યા છે અને ડુંગરો પર વસવામાં આ લોકો માને છે.!



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.