રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો. રાજકોટનું જંગલેશ્વર ડિમોલિશન આજે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બન્યું છે. ગઈકાલથી ત્યાં ડિમોલિશનની કામગીરી શરુ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને ૭ ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો હતો. જેમાં કુલ ૪૨ ટીમો કાર્યરત હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એક પણ અનિચ્છનીય બનાવ ના બને તે રીતે , આખો વિસ્તાર ખુલ્લા મેદાનમાં ફેરવાઈ ગયો છે. રાજકોટના જંગલેશ્વર ખાતે ડિમોલિશન કરીને , સરકાર દ્વારા અસામાજિક તત્વોને કડક સંદેશો આપવામાં આવ્યો છે. પોલીસ રેકોર્ડ પરના ૧૧ હિસ્ટ્રીશીટરોના બાંધકામ જમીન દોસ્ત કરવામાં આવ્યા છે. ગુનાહિત પ્રવૃતિઓથી ઉભા કરાયેલા ૮ આલીશાન બંગલા તોડી પાડવામાં આવ્યા છે. નદીના પટ્ટમાં જે ગેરકાયદેસર ઓરડીઓ બનાવીને ભાડે આપવામાં આવી હતી તેને પણ તોડી નખાઈ છે.

અસામાજિક તત્વોની વાત કરીએ તો , સમીર ઉર્ફે સંજય ઉર્ફે સંજલો જાવિદ જુનેજા જે ૧૨ ગુનામાં સંડોવાયેલો હતો. હાલમાં તે GUJSITOC અંતર્ગત જેલમાં છે. તેની ૧૬ ઓરડીઓ તોડી પડાઈ છે. આ ઉપરાંત , અન્ય એક આરોપી જેનું નામ છે , સમીર ઉર્ફે મરઘો યાસીન પઠાણની ત્રણ ઓરડીઓ તોડી પડાઈ છે. જેની પર પણ અત્યારસુધીમાં ૧૪ ગુનાઓ લાગેલા છે, બે વખત પાસામાં જઈને આવેલો છે. હાલમાં તે GUJSITOKમાં જેલમાં છે. આ ઉપરાંત , અન્ય ગુનેગારોની વાત કરીએ , તો ૧૭ ગુનામાં સંડોવાયેલ આશિષ ઉર્ફે ગંધારાનું એક મકાન અને દિનેશ જીવાની એક ઓરડી તોડી પડાઈ છે. ડિમોલિશનની કામગીરી પૂર્ણ થયા પછી હવે , કાટમાળ ખસેડવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ગઈકાલે ૧૦૦૦ મેટ્રિક ટન અને આજે ૨૫૦૦ મેટ્રિક ટન જેટલો કાટમાળ ખસેડવામાં આવ્યો છે. હાલમાં જ આ કાટમાળ દેવપરા વિસ્તારમાં એક ખાનગી પ્લોટમાં એકત્રિત થયો છે , જ્યાંથી આ પછી મનપાની ડમ્પિંગ સાઈટ પર લઇ જવામાં આવશે.

જંગલેશ્વર ખાતે ડિમોલિશન પૂર્ણ થતા જ પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને DCP બાગરવાએ ફૂટ માર્ચ કરી હતી. આ આખી કામગીરી દરમ્યાન , ૪ DCP , ૧૭ ACP , ૩૫ PI , ૧૪૦ PSI , ૧૦૦૦ પોલીસ જવાન ખડે પગે રહ્યા હતા. ડિમોલિશનની કામગીરી દરમ્યાન , કાટમાળ ધરાશાયી થતા , કોર્પોરેશનનો એક કર્મચારી માંડ માંડ બચ્યો હતો.ડિમોલિશનની કામગીરી સમયે મહિલા સહીત બે વ્યક્તિઓને ઇજા પણ પહોંચી હતી.






.jpg)








