અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે ભારે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-03-23 21:29:59

રાજ્યના વિવિધ ભાગોમાં હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ થઈ રહ્યો છે. આજે ઢળતી સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. શહેરના ઘણા વિસ્તારમાં સુસવાટા મારતા પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. શહેરના આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા, ત્યાર બાદ ગાજવીજ સાથે ભારે વરસાદ ચાલુ થયો હતો. અમદાવાદના સેટેલાઇટ, પ્રહલાદનગર, સરખેજ, એસજી હાઇવે, ગોતા, શિવરંજની, થલતેજ, બોપલ, ઘુમા,નિધરાડ, સાણંદ, એસ.જી હાઈવે, જીવરાજ પાર્ક વગેરે વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તે જ પ્રમાણે રાજ્યના વિવિધ ભાગોમાં પણ ધોધમાર કમોસમી વરસાદ થતા ખેડુતોની સ્થિતી ચિંતાજનક બની છે.


સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર


રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. અમરેલીના ધારી, સાવરકુંડલા, રાજુલા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તે સિવાય રાજુલાના અમૂલી, બાબરીયાધાર, બાલાપર ડુંગર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ધારીના લાખાપાદર, હીરાવા, જીરા, ડાભાળી, વીરપુર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના આંબરડી, વીજપડી, ભમર, ખડસલી, છાપરી, મેરિયાણામાં વરસાદ વરસ્યો હતો.આંબરડી ગામની વચ્ચેથી પસાર થતી નેવડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. તે જ પ્રકારે ભાવનગર શહેરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાળિયાબીડ, વાઘાવાડી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી ભાવનગર શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા. મહુવાના કળમોદર, વાવડી, કોટિયા ગામમાં વરસાદ વરસ્યો હતો. મહુવાના નવાગામ, રતનપર સહિતના ગામમાં વરસાદ વરસ્યો હતો.


ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું


કમોસમી વરસાદથી સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં ખેડૂતોને નુકસાન થયું છે. શિયાળામાં આ વખતે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ઘઉં, ચણા, જીરું, લસણ, ડુંગળી અને ધાણાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કેરીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.


હજુ બે દિવસ કમોસમી વરસાદ


હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી આવું જ વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી કરી છે. એટલે કે હજુ બે દિવસ માવઠુ થશે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડી શકે છે. 48 કલાક બાદ માવઠાથી છૂટકારો મળવાની શક્યતા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.