રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

રાજકોટ મહાનગરપાલિકામાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી માટે ખુબ કફોડી સ્થિતિ બની છે. ટિકિટ ન મળવાથી પાયાના કાર્યકરો અને પૂર્વ કોર્પોરેટરો આડકતરી રીતે વિરોધ કરી રહ્યા છે. ભાજપને સૌથી મોટો ડર "પેનલ તૂટવાનો" લાગી રહ્યો છે. હવે , ડેમેજ કંટ્રોલના ભાગરૂપે પ્રદેશપ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટ પહોંચ્યા છે. રાજકોટમાં તેમણે "જનસેવા સંકલ્પ" કાર્યક્રમમાં ભાગ લીધો છે જેમાં તેમણે ભાજપના કાર્યકરોને જનસેવા સંકલ્પની પ્રતિજ્ઞા લેવડાવી છે. આ પછી , ડેમેજ કંટ્રોલના ભાગરૂપે જગદીશ વિશ્વકર્માએ રાજકોટમાં વિરોધ કરી રહેલા કાર્યકરો અને વિવિધ સમાજના આગેવાનો સાથે બંધ બારણે મુલાકારો કરી છે. વોર્ડ નંબર ૭માં છેલ્લી ઘડીએ મેન્ડેટ મેળવનાર ડો નેહલ શુક્લની પીઠ થપથપાવી કાર્યકરોને એક થવા માટે સંદેશો આપ્યો છે.

આ ઉપરાંત , છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા પૂર્વે શૈલેષ જાનીના બદલે નેહલ શુક્લને ફોર્મ આપી દેવાતા નારાજ થયેલા શૈલેષ જાની સહીત એક ડઝન જેટલા કાર્યકર્તાઓને મળી ખુબ પ્રદેશપ્રમુખ જગદીશ વિશ્વકર્માએ અસંતોષ ખાળવાનો પ્રયાસ કર્યો છે. આ માટે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેના નિવાસસ્થાને તમામ નારાજ કાર્યકર્તાને બોલાવી આશ્વાસન આપવામાં આવ્યું છે. આ નારાજ કાર્યકરોમાં , હેમુ પરમાર , નીતિન રામાણી , શૈલેષ ડાંગર , સુરેન્દ્રસિંહ વાળા, ધર્મેન્દ્ર ભગત , સંજય દવે અને જીગ્નેશ જોશીનો સમાવેશ થાય છે. આ પછી , જગદીશ વિશ્વકર્માએ સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા જ્યોતીન્દ્ર મહેતા મામાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યોતીન્દ્ર મહેતાના પુત્ર રાહુલ મહેતાએ પક્ષ પાસે ટિકિટ માંગી હતી, પરંતુ ટિકિટ ન મળતા તેમના પરિવારજનો અને સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ મુલાકાતમાં પ્રદેશપ્રમુખ જગદીશ વિશ્વકર્માની સાથે રાજ્યસભાના MP રામ મોકરિયા અને શહેર પ્રમુખ માધવ દવે પણ હાજરઃ હતા. આ બેઠકનું મુખ્ય કારણ , રાજકોટમાં જૈન વણિક સમાજમાં નારાજ ના થઇ જાય તે પણ છે. કેમ કે , જૈન સમાજની વસ્તી રાજકોટમાં પોણા બે લાખની છે , ભાજપે જે ૭૨ બેઠકો પર નામ જાહેર કર્યા છે તેમાંથી માત્ર એક જ ઉમેદવાર ધૈર્ય પારેખને આ સમાજમાંથી ટિકિટ આપવામાં આવી છે. આ જ કારણે છે, ભાજપે ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું છે.






.jpg)








