જગદીશ વિશ્વકર્માએ કેમ કરવું પડ્યું "ડેમેજ કંટ્રોલ"?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-12 18:34:33

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

રાજકોટ મહાનગરપાલિકામાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી માટે ખુબ કફોડી સ્થિતિ બની છે. ટિકિટ ન મળવાથી પાયાના કાર્યકરો અને પૂર્વ કોર્પોરેટરો આડકતરી રીતે વિરોધ કરી રહ્યા છે. ભાજપને સૌથી મોટો ડર "પેનલ તૂટવાનો" લાગી રહ્યો છે. હવે , ડેમેજ કંટ્રોલના ભાગરૂપે પ્રદેશપ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટ પહોંચ્યા છે. રાજકોટમાં તેમણે "જનસેવા સંકલ્પ" કાર્યક્રમમાં ભાગ લીધો છે જેમાં તેમણે ભાજપના કાર્યકરોને જનસેવા સંકલ્પની પ્રતિજ્ઞા લેવડાવી છે. આ પછી , ડેમેજ કંટ્રોલના ભાગરૂપે જગદીશ વિશ્વકર્માએ રાજકોટમાં વિરોધ કરી રહેલા કાર્યકરો અને વિવિધ સમાજના આગેવાનો સાથે બંધ બારણે મુલાકારો કરી છે. વોર્ડ નંબર ૭માં છેલ્લી ઘડીએ મેન્ડેટ મેળવનાર ડો નેહલ શુક્લની પીઠ થપથપાવી કાર્યકરોને એક થવા માટે સંદેશો આપ્યો છે. 

આ ઉપરાંત , છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા પૂર્વે શૈલેષ જાનીના બદલે નેહલ શુક્લને ફોર્મ આપી દેવાતા નારાજ થયેલા શૈલેષ જાની સહીત એક ડઝન જેટલા કાર્યકર્તાઓને મળી ખુબ પ્રદેશપ્રમુખ જગદીશ વિશ્વકર્માએ અસંતોષ ખાળવાનો પ્રયાસ કર્યો છે. આ માટે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેના નિવાસસ્થાને તમામ નારાજ કાર્યકર્તાને બોલાવી આશ્વાસન આપવામાં આવ્યું છે. આ નારાજ કાર્યકરોમાં , હેમુ પરમાર , નીતિન રામાણી , શૈલેષ ડાંગર , સુરેન્દ્રસિંહ વાળા, ધર્મેન્દ્ર ભગત , સંજય દવે અને જીગ્નેશ જોશીનો સમાવેશ થાય છે. આ પછી , જગદીશ વિશ્વકર્માએ સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા જ્યોતીન્દ્ર મહેતા મામાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યોતીન્દ્ર મહેતાના પુત્ર રાહુલ મહેતાએ પક્ષ પાસે ટિકિટ માંગી હતી, પરંતુ ટિકિટ ન મળતા તેમના પરિવારજનો અને સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ મુલાકાતમાં પ્રદેશપ્રમુખ જગદીશ વિશ્વકર્માની સાથે રાજ્યસભાના MP રામ મોકરિયા અને શહેર પ્રમુખ માધવ દવે પણ હાજરઃ હતા. આ બેઠકનું મુખ્ય કારણ , રાજકોટમાં જૈન વણિક સમાજમાં નારાજ ના થઇ જાય તે પણ છે. કેમ કે , જૈન સમાજની વસ્તી રાજકોટમાં પોણા બે લાખની છે , ભાજપે જે ૭૨ બેઠકો પર નામ જાહેર કર્યા છે તેમાંથી માત્ર એક જ ઉમેદવાર ધૈર્ય પારેખને આ સમાજમાંથી ટિકિટ આપવામાં આવી છે. આ જ કારણે છે, ભાજપે ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું છે. 




મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.