અમદાવાદના 18 વર્ષના પ્રિન્સ સાથે એ દિવસે શું થયું કે ત્રણ જ મિનિટમાં એ લાશ બની ગયો...


  • Published By : Admin
  • Published Date : 2024-12-10 19:33:27

એક ઈન્જેક્શન, વધુ માત્રા અને જિંદગી બરબાદ

6 ડિસેમ્બર અને શુક્રવારનો દિવસ, એક વિદ્યાર્થીની લાશ ઘોડાસર તળાવ પાસે પડી છે એવા સમાચાર પોલીસને મળે છે. એ નિશ્ચેતન પડેલુ શવ 18 વર્ષના પ્રિન્સ શર્માનું હતુ. જેનો પરિવાર મૂળ રાજસ્થાનનો છે. અને અમદાવાદના વટવા વિસ્તારમાં રહે છે. પ્રિન્સ દહેગામ પાસે આવેલી મોનાર્ક યુનિવર્સીટીમાં ભણે અને કૉલેજ જવાનું કહીને શુક્રવારે પણ ઘરેથી નીકળ્યો હતો. પણ કૉલેજ જવાની જગ્યાએ પ્રિન્સ ઘોડાસર તળાવ પર પહોંચ્યો, ત્યાં મિત્ર જયદીપ સુથારને મળ્યો. જયદીપ ખાનગી હોસ્પિટલમાં નર્સનું કામ કરે છે. અને વધારે પૈસા કમાવવાની લાલચ એને એ હદ સુધી લઈ ગઈ કે ઓપરેશન પહેલા પેશન્ટને રિલેક્સ કરવા દવા તરીકે અપાતા ઈન્જેક્શનની એ ચોરી કરીને નશાનાં રવાડે યુવાનોને ચડાવવા લાગ્યો. પ્રિન્સને પણ જયદીપે ડ્રગ્સના રવાડે ચડાવ્યો, ઈન્જેક્શન લેતાની સાથે જ પ્રિન્સના મોંઢામાંથી ફીણ આવવા લાગ્યું, આ જોતા જ જયદીપ ત્યાંથી ભાગી ગયો. પ્રિન્સના મિત્ર તરૂણે એના માતા પિતાને જાણ કરી, ઘોડાસર તળાવ પહોંચેલા માતા પિતાને હાથમાં દિકરાની લાશ મળી... માતા અંજુ શર્માએ જયદીપ સામે પોલીસમાં ફરીયાદ કરી, જયદીપને રાજસ્થાનથી પકડી લેવામાં આવ્યો છે.

અનેક રીતે નશો ઉપલબ્ધ, બાળકોની સાથે ખુલીને આ વિષય પર વાત કરો

ડ્રગ્સ કોઈ એક જ સ્વરૂપમાં નથી આવતું, કોઈ કલ્પના ના કરી શકે એવા સ્વરૂપમાં આ નશો ઉપલબ્ધ છે. આ રાક્ષસથી બચવાનો એક માત્ર ઉપાય જાગૃતિ છે. આવી કોઈ પણ ઘટના સાંભળ્યા પછી યુવાનો સાથે એની વાત કરી એમને જાગૃત કરવા, નશાનાં રવાડે ચઢતા અટકાવવા, જો ભુલથી પણ નશો એક વાર કરી લે છે તો પોલીસથી ડર્યા વગર એની જાણ કરવી અને રિહેબ સેન્ટરમાં મોકલવા એ જ ઉપાય છે. આ ચક્રવ્યુહમાં ફસાતી છોકરીઓ યૌનશોષણનો પણ શિકાર બને છે. જિંદગી મોત કરતા પણ બદતર થઈ જાય છે.. આ એવો નશો છે જે જાતિ, ધર્મ, વર્ગ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેકને બરબાદ કરે છે. કોઈ પણ દેશને ખતમ કરી નાખવાનું આ સૌથી મોટુ હથિયાર છે. ખુબ શક્તિશાળી દેશો અને એમની વ્યવસ્થાઓ પણ ડ્રગ્સ સામે વામણી પુરવાર થઈ રહી છે એટલે આ ભયંકર દાવાનળમાં પોતાને અને પોતાના પરિવારને સેફ રાખવાથી જ આનાંથી બચી શકાય છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ, ડ્રગ્સના મોટા કાર્ટેલને રોકવામાં નિષ્ફળતાઓ આ બધા વિષયો પર પ્રશ્નો ચોક્કસ છે, કેમ કે દરેક વખતે ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી થતી હોવા છતા જો એકનો એક રૂટ ડ્રગ્સ માટે વપરાય છે તો એનો મતલબ હજુ પણ ડ્રગ માફીયાઓ માટે ગુજરાતનો દરિયાકિનારો જ સેફ હેવન બની રહ્યો છે. પણ આ લડાઈ ખુબ મોટા પાયે લડાય એની રાહમાં ઘરના સંતાનોને તો આની સામે ખુલ્લા નહીં જ મુકાય.

આપણે કર્તવ્ય નિભાવીએ, ડ્રગ્સના રાક્ષસથી યુવાનોને બચાવીએ

બની શકે એટલી ચર્ચાઓ, સંવાદો અને એની ઘાતકતાની જાણકારી જ ડ્રગ્સ સામેની લડાઈમાં આપણને મદદ કરશે. બાકી આજના સમયમાં કોઈ પણ દેશને ખતમ કરવા માટે બાયો વેપન અને ડ્રગ્સ બે પુરતા છે... 18 વર્ષનો લાડકવાયો અજાણી લાશ બનીને સમાચારમાં આવે એ પહેલા ડ્રગ્સ સામેની લડાઈ જીતવી જરૂરી છે. જે પ્રિન્સના માતા-પિતા સાથે થયું એ કોઈની સાથે ના થાય એની કાળજી લઈએ.



મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.

નાયબ કલેકટર એચ ટી મકવાણાએ હવે ચોટીલાની આસપાસ હોટેલોમાં જ્યાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો તેમની પર કડક કાર્યવાહી કરી છે. ચોટીલા આવતા યાત્રિકો અને નાગરિકોએ ફરિયાદ કરી હતી કે , આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. આ પછી આ હોટેલોની અચાનક તપાસ હાથ ધરવામાં આવી છે અને હવે આ હોટેલોને સીલ કરી દેવામાં આવી છે.