મનીષ સિસોદિયા બાદ યુટ્યુબર મનીષ કશ્યપની થઈ શકે છે ધરપકડ? જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-10 13:07:09

છેલ્લા ઘણા સમયથી મનીષ નામ ચર્ચામાં આવ્યું છે. એ પછી મનીષ સિસોદિયા હોય કે પછી મનીષ કશ્યપ હોય. મનીષ નામ પર માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. મનીષ સિસોદિયા પર કથિત દારૂ કૌભાંડને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે જ્યારે મનીશ કશ્યપ નામના એક યુટ્યુબરે પોતાની ચેનલમાં કેટલાક વિડીયો પોસ્ટ કર્યા હતા જેમાં તેનો દાવો હતો કે બિહારના મજૂરો પર તમિલનાડુમાં હુમલો થયો છે.  


મનીષ સિસોદિયાની મુશ્કેલીમાં થયો વધારો 

પહેલા વાત કરવી છે મનીષ સિસોદિયાની જેમનું નામ છેલ્લા ઘણા સમયથી સમાચારની હેડલાઇન પર છવાયેલું છે. હમણાં જ એક નવા સમાચાર આવ્યા કે સીબીઆઈ બાદ ઈડીએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. થોડા દિવસ પહેલાં ઈડીએ તિહાડ જેલમાં જઈ મનીષ સિસોદિયાની પૂછપરછ કરી હતી. 


ઈડીએ કરી મનીષ સિસોદિયાની ધરપકડ 

ઈડીએ મનીષ સિસોદિયાની ધરપકડ કથિત દારૂ કૌભાંડનાં કેસમાં કરી છે. તેમના ઉપર 100 કરોડની લાંચ લીધાનો આરોપ હતો જે બાદ ઈડીએ તપાસ હાથ ધરી હતી. જે બાદ 9 માર્ચનાં રોજ ઈડીએ તેમની ધરપકડ કરી લીધી હતી. તે પેહલા 7 માર્ચનાં રોજ દારૂ કૌભાંડનાં મામલામાં ઈડીએ તિહાડ જેલમાં મનીષની 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. અને ગુરુવારે બીજી વખત ઈડીએ 45 મિનીટ સુધી મનીષ સિસોદિયા સાથે પ્રશ્નોત્તરી કરી હતી જે બાદ ઈડીએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી લીધી હતી. 


યુટ્યુબર મનીષ કશ્યપ પોતાના વીડિયોને કારણે આવ્યા ચર્ચામાં   

હવે વાત કરીએ બીજા મનીષ નામના વ્યક્તિની જે પણ હાલ ચર્ચાઈ રહ્યા છે. મનીષ કશ્યપ એક યુટ્યુબર છે. પોતાની ચેનલ પર  મનીષ કશ્યપે અનેક વિડીયો મૂક્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બિહારના મજૂરો પર તમિલનાડુમાં હુમલો કરવામાં આવ્યો છે. ટ્વિટર પર કેટલાક વીડિયો વાયરલ થયા હતા.  


વીડિયો શેર કરી બિહાર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો!

વીડિયોના આધારે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે મનીષ કશ્યપે તમિલનાડુમાં બિહારી મજૂરો પર હુમલાના દાવાને સાચો સાબિત કરવા માટે 'સ્ક્રીપ્ટેડ' વીડિયો શેર કર્યા હતા. 8 માર્ચે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી એક પોસ્ટ પણ કરવામાં આવી હતી જેમાં  પરપ્રાંતિય મજૂરો માટે અવાજ ઉઠાવવાની વાતનું પુનરાવર્તન કરીને બિહાર સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 


યુટ્યુબ ચેનલ પર હિંસાનો વીડિયો કર્યો હતો શેર!

જે પોસ્ટ કરવામાં આવી હતી તેમાં લખવામાં આવ્યું હતું કે “તેજશ્વી યાદવ જી, તમારા ચશ્મા ઉતારો અને આ ફોટો જુઓ, કાર્યકરોના ચહેરા પર ઘા છે. જે મીડિયાએ રેકોર્ડિંગ કર્યું છે તેનો મોબાઈલ નંબર પણ છે. એકવાર વાત કર્યા પછી જુઓ કે તમે ખોટું બોલી રહ્યા છો અને તમિલનાડુમાં કામદારો ખરેખર પરેશાન છે." તે બાદ અમુક વીડિયો એવા સામે આવ્યા જેમાં ખ્યાલ આવે કે મનીષે જે વીડિયો બનાવ્યા હતા એ ફેક છે. 


ગમે ત્યારે મનીષ કશ્યપની થઈ શકે છે ધરપકડ!

તમિલનાડુ પોલીસે પણ એક વીડિયો શેર કર્યો છે જેમાં દેખાય છે કે જે પીડિત બતાવ્યા છે એ વીડિયો પહેલા હસી રહ્યા છે. આ કેસની તપાસમાં લાગેલી બિહાર પોલીસની શાખા EOUના પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કુલ 30 નકલી વીડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ મળી આવી છે. પોલીસે આ વીડિયો દૂર કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ પણ પાઠવી છે. જેને લઈ ફેસબુકને 9 નોટિસ આપવામાં આવી છે જ્યારે ટ્વિટર અને યુટ્યુબને 15-15 નોટિસ આપવામાં આવી છે. ઉપરાંત જીમેઈલને પણ ત્રણ નોટિસ મોકલવામાં આવી હતી. અને હવે મનીષ કશ્યપ પર ધરપકડની તલવાર લટકી રહી છે!




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.