લોકો લાઈનમાં લાગે અને AMC ટેન્ડર હવામાં લટકાવી રાખે! કામો અટકાવવામાં કોને રસ?


  • Published By : Admin
  • Published Date : 2024-12-26 17:28:16

RTI કહે છે 48માંથી 25 ટેન્ડર અધ્ધરતાલ!
ડિજીટલાઈઝેશનની વાતો, પણ આજે થશે, કાલે થશે, પ્રક્રીયા ચાલુ છે કહીને લટક્યા કામ!
કામો રોકી રાખવામાં કોને રસ?
શહેરનું હિત કે મલાઈ સાથે દૂધમાં પણ ભાગનો સ્વાર્થ?

જૂનાગઢમાં કબુતર પણ પકડાઈ જાય, અમદાવાદમાં SG Highway પર પણ નજર નહીં?

સરખામણીએ ખુબ નાનું શહેર કહેવાય એવા જૂનાગઢમાં જો કોઈ માણસના કબુતર ખોવાઈ જાય કે લાકડી પણ ચોરાઈ જાય તો એ પોલીસ પાસે જઈને ઉભો રહે તો પોલીસ સીસીટીવીનો સદઉપયોગ કરીને એની તરત મદદ કરી દે છે, પણ અમદાવાદ જેવા રાજ્યના સૌથી મોટા શહેરમાં મોટો એક્સીડેન્ટ થઈ જાય તો ય આપણે કેમેરાના ઠેકાણા નથી પડતા.. શું કામ આપણે ત્યાં સરકારી કામોમાં દરેક વખતે સર્વરથી લઈ કોમ્પ્યુટરના પ્રશ્નો આવે છે કે પછી શું કામ આપણે નાનું કામ જે ઓનલાઈન થઈ જવું જોઈએ એની જગ્યાએ કતારોમાં અટવાવવું પડે છે એનું કારણ એક આરટીઆઈમાં સામે આવ્યું છે..

RTI શું કહે છે?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લટકી પટેલા ડિજીટલાઈઝેશનના ટેન્ડરને લઈને કૉંગ્રેસના નેતાએ આરટીઆઈ કરી તો ઉપર પ્રસ્તાવનામાં જેટલા પ્રશ્નો કર્યા જાણે કે એનાં વિગતવાર જવાબ મળી ગયા.. છેલ્લા 3 વર્ષમાં સરકારને ડિજીટલ બનાવવા માટે કરવામાં આવેલા 48 ટેન્ડરમાંથી 25 હજુ ય હવામાં લટકી રહ્યા છે, એમાંથી 5 તો મંજૂર જ નથી થયા અને 20 થશે થશે... પ્રોસેસ ચાલુ છે કહીને વચ્ચે લટકી રહ્યા છે. એક સમયે આખા રાજ્યને ઉદાહરણ પુરુ પાડતુ અમદાવાદ કોર્પોરેશનનું તંત્ર જાણે ઉંઘમાં કે પછી બધુ બરાબર છે ના ભ્રમમાં જીવી રહ્યું છે. દરેક વાતમાં એકબીજા પર ઢોળી દેવું એ પદ્ધતી બની ગઈ છે. જ્યાં ન્યુસન્સ ચાલતુ હોય એવી જગ્યાઓ પર સીસીટીવી લગાવવાથી લઈ અંડરપાસમાં પાણી ભરાય તો એનું લેવલ મોનિટર કરવા માટે સીસીટીવી લગાવવા જેવા પ્રોજેક્ટ છેલ્લા કેટલાય સમયથી હવામાં લટકી રહ્યા છે. વર્ષ 2024ના ચોમાસામાં અનેક અંડરપાસમાં પાંચ પાંચ દિવસ સુધી પાણી ભરાઈ પડ્યા હતા, આખી વ્યવસ્થા ખોરવાઈ હતી, જનજીવન ખોરંભે ચડ્યુ હતુ અને આવુ કશું થાય એટલે તરત જ ડિજીટલ થઈ જવાના પ્લાનિંગ સાથે નીકળતા ટેન્ડર અચાનક જ કેમ રોકાઈ જાય છે કે પછી પ્રોસેસના નામે ખેંચવામાં આવે છે એનો ચોક્કસ જવાબ નથી, કૉર્પોરેશન સાથે સંકળાયેલા ચહેરાઓ કહે છે કે અધિકારીઓ પહેલા મલાઈનો હિસ્સો માગતા હતા હવે એમને ખાલી મલાઈ નહીં દૂધમાં પણ ભાગ જોઈએ છે, અને એ અપેક્ષા પુરી ના થાય ત્યારે આખી પ્રક્રીયા અટકાવી દે છે. આ રીતે ખોરંભે ચડેલા કામોમાં કોમ્પ્યુટરની ખરીદી, લેઝર પ્રીન્ટરની ખરીદી, અનેક જગ્યાએ સોફ્ટવેર અપડેશન, પ્રોસેસરના ઈન્સ્ટોલેશન જેવા કામોનો સમાવેશ થાય છે... હવે જ્યારે કોઈ પણ જગ્યાએ અટવાવ, અથડાવ, કારણ વગર કામ ખોરંભે ચઢે, નાની વાતોમાં પણ ઓફીસના ધક્કા ખાવા પડે ત્યારે યાદ રાખજો કે ટેન્ડર જેવી બાબતો જેમાં સામાન્ય માણસ એવુ સમજે છે કે એમને શું લેવાદેવા... અંતે આવી અટવાતી પ્રક્રીયાઓ સૌથી મોટુ નુકસાન એનાં લાભાર્થીઓને જ કરે છે... તમને શું લાગે છે આ બધી તકલીફોમાંથી એએમસી તમને ક્યારે મુક્તિ આપશે



ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.