હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.
તો હવે જાણીએ કે ગોપાલ ઇટાલિયાની જીતના ક્યા કારણો રહ્યા છે? પહેલું કે , ગોપાલ ઇટાલિયાને ચૂંટણી પ્રચાર કરવા માટે વધારે સમય મળ્યો કેમ કે , આમ આદમી પાર્ટીએ વેહલા ટિકિટ જાહેર કરી. સત્તા વિરોધી સ્થાનિક મિજાજનો આમ આદમી પાર્ટીને ફાયદો મળ્યો. આ ચૂંટણીઓમાં લોકલ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. સ્થાનિકો સાથે તેમની શૈલીમાં કામ કર્યું. સ્પષ્ટ રણનીતિ સાથે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી. સોશ્યિલ મીડિયાને હથિયાર બનાવ્યું . આમ આદમી પાર્ટી ૨૦૧૫ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓથી જ સોશ્યિલ મીડિયાને હથિયાર બનાવવામાં હોંશિયાર છે. આમ આદમી પાર્ટી પોતાની પીચ પર ભાજપને રમવા લઈ આવ્યા. ચૂંટણી દરમ્યાન ભાજપના નેતાઓ ડિફેન્સિવ દેખાયા. સાથે જ વિસાવદરમાં એવો મેસેજ આપ ક્લિક કરાવી શકી કે , એકને હરાવવા આખું ભાજપ ઉતર્યું છે.
હવે વાત કરીએ કે , વિસાવદરમાં કિરીટ પટેલની હારના કારણો શું હતા? 10 વર્ષ સંગઠનમાં રહીને કરેલી કથિત તાનાશાહી નડી. વિસાવદરનો સત્તા વિરોધી મિજાજ નડ્યો. સહકાર કૌભાંડમાં નામ ઉછળતા છબી પર અસર થઈ. જનતા સામે તુમાખીવાળું વર્તન ના ચાલ્યું. સંગઠનનું ખુબ જોર પણ આંતરીક વિવાદ સામે ઉપરથી સીધી ટિકિટ મેનેજ કર્યાનો મેસેજ ગયો. હર્ષદ રીબડીયા જેવા નેતાઓએ સાથ ના આપ્યો. ભાજપને જનતા હરાવે તો પણ ધારાસભ્ય ખરીદવાની વૃત્તિ ઉંધી પડી. રસ્તા ભંગાર હાલતમાં અને વાત પેરિસની નડી. એટલુંજ નહિ ભાજપના નેતાઓએ જે બેફામ નિવેદનબાજીઓ કરી તેનાથી તેનું નુકશાન ભાજપને જ થયું.
વાત કરીએ , વિસાવદરની પેટાચૂંટણીના ગુજરાતની રાજનીતિ પર કેવી રીતે દૂરની અસર જન્માવી શકે છે? આવનારા સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે. તેમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતા નરેટિવ બેટલમાં આગળ રહી શકે છે કે , ભાજપને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ છે તે સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે કે કેમ? તે ખુબ મોટો યક્ષપ્રશ્ર્ન છે . જો નથી થતું તો , હજુ પણ કોંગ્રેસના વોટશેરમાં આમ આદમી પાર્ટી ભાગ પડાવી શકે છે. આમ આદમી પાર્ટીનું જે સંગઠન છે બુથ લેવલનું તે કોંગ્રેસ કરતા મજબૂત છે. તો હવે જોઈએ આગળ શું થાય છે? જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું.