આદિજાતી અને અંતરીયાળ વિસ્તારોમાં લોકોને તેમના દ્વારે મળશે મેડિકલ સુવિધા


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-25 20:14:51

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે. 

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય શાખા સમાજ કલ્યાણ અને જન સમુદાયના ઉત્થાન માટે ઘણા બધા આરોગ્યલક્ષી માનવતાવાદી કાર્યક્રમો ચાલી રહ્યા છે.ગુજરાત રાજ્ય શાખા દ્વારા આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટે મોબાઈલ મેડિકલ યુનિટના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિજાતી અને અંતરીયાળ વિસ્તારના ચાર જિલ્લાઓમાં ડાંગ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં REC Foundation Delhiના સહયોગથી મોબાઈલ મેડિકલ વાન કે જેમાં ડોક્ટર, નર્સ , ફાર્માસીસ્ટ તથા ડ્રાઈવરની સહિતની ટીમ તૈનાત હશે. આ ટીમ દરેક ફળિયા તથા મહોલ્લામાં મોબાઈલ મેડિકલ વાન લઈને બિમાર અને જરુરિયાતમંદ લોકોનું મેડિકલ ચેકઅપ કરી વિનામુલ્યે દવા તથા સારવાર આપવામાં આપશે. 

એક મોબાઈલ મેડિકલ વાન મારફતે રોજના 100 કરતા વધારે દર્દીઓને આવરી લેવાનું આયોજન છે. જેના દ્વારા એકમાસમાં 10 હજારથી વધારે જરુરિયાતમંદ લોકોને આરોગ્ય સેવાઓ તેમના દ્વારે જ ઉપલબ્ધ થઈ રહે તેવી વ્યવસ્થા ગુજરાત રેડ ક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવી છે. અને આ ઉમદા સેવાકાર્યમાં REC Foundation Delhiનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. લોકસેવા માટે તૈયાર કરાયેલા આ મેડિકલ યુનિટનું નિયંત્રણ GPRS દ્વારા કરવામાં આવનાર છે.  આ વાન મારફતે બિમાર અને જરુરિયાતમંદ દર્દીઓની સારાવરની કામગીરી તો થશે જ ઉપરાંત આરોગ્યની સંભાળ માટે જરુરી માર્ગદર્શન તથા વિવિધ જીવલેણ બિમારીઓ જેવી કે સર્વાઈકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, થેલેસેમીયા-સિકલસેલ અટકાવવાની કામગીરી કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.