ભાગેડુ લલિત મોદીને મોટો ઝટકો , વાનુઆતુએ કર્યો પાસપોર્ટ રદ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-10 21:42:09

પ્રશાંત મહાસાગરનો એક નાનકડો ટાપુ દેશ જેનું નામ છે વાનુઆતુ . આ દેશ આજકાલ એક ભાગેડુ ભારતીયના કારણે ખુબ જ ચર્ચામાં છે . આ ભાગેડુ ભારતીય એટલે , લલિત મોદી . વાનુઆતુ દેશે ,  IPL ના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીનો પાસપોર્ટ કેન્સલ કરવાનું જાહેર કર્યું છે . આના કારણે ભાગેડુ લલિત મોદીની મુશ્કેલીઓમાં વધારો થાય એવું લાગી રહ્યું છે . તો આવો જાણીએ શું છે આખો મામલો? 

IPL ના ભૂતપૂર્વ ચેરમેન છે , લલિત મોદી . તેઓ પ્રશાંત મહાસાગરના નાનકડા ટાપુ દેશ વાનુઆતુમાં છે . હવે ત્યાંના વડાપ્રધાન જોથામ નાપટેએ નાગરિકતા આયોગને લલિત મોદીને આપવામાં આવેલ પાસપોર્ટ રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. 

પીએમ નાપટે આ સમગ્ર મામલે નિવેદન આપતા કહ્યું છે કે , "મેં નાગરિકતા આયોગને લલિત મોદીના વાનુઆતુ પાસપોર્ટને તાત્કાલિક રદ કરવા માટેની  કાર્યવાહી શરૂ કરવા સૂચના આપી છે. મને છેલ્લા 24 કલાકમાં જાણ કરવામાં આવી છે કે ઇન્ટરપોલે ભારતીય અધિકારીઓની લલિત મોદી પર એલર્ટ નોટિસ જારી કરવાની વિનંતીઓને બે વાર નકારી કાઢી છે કારણ કે લલિત મોદીની વિરુદ્ધમાં કોઈ  નક્કર પુરાવા નથી. આવી કોઈપણ ચેતવણીથી અગાઉજ લલિત મોદીની નાગરિકતા મેળવવાની અરજી નકારી કાઢવાની જરૂર હતી . " 

આ સમગ્ર મામલે ભારતના વિદેશ ખાતાના પ્રવક્તા રણધીર જયસ્વાલની પ્રતિક્રિયા સામે આવી છે , તેમણે કહ્યું છે કે , "લલિત મોદીએ લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવવા માટે અરજી કરી છે. હાલના નિયમો અને પ્રક્રિયાઓના આધારે તેની તપાસ કરવામાં આવશે. સાથે જ અમને એ પણ જાણ થઇ છે કે તેમણે વાનુઆતુ દેશનું નાગરિકત્વ મેળવી લીધું છે. અમે તેમની સામેના કેસની તાપસ ચાલુ જ રાખીએ છીએ." 

દૈનિક અખબાર વાનુઆતુ ડેઇલી પોસ્ટે તેની ફેસબુક પોસ્ટમાં આ સંબંધિત માહિતી આપી હતી. 

આ સ્થાનિક અખબારે લખ્યું છે કે , વાનુઆતુને પાછળથી ખબર પડી કે , લલિત મોદી એક ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

વાત કરીએ લલિત મોદીની તો , તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગના મુખ્ય શિલ્પકાર છે . તેમની પર ૨૦૦૯ના ૪૨૫ કરોડના IPL ના વર્લ્ડ સ્પોર્ટ ગ્રુપ સાથેના સોદાને લઇને ઈન્ક્મ ટેક્સ અને ED દ્વારા તપાસ ચાલી રહી છે . મે , ૨૦૧૦ થી તે લન્ડનમાં સ્થાયી છે . 

વાનુઆતુ એ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત 80 થી વધુ ટાપુઓનો સમૂહ દેશ છે, જેની વસ્તી આશરે 300,000 લોકોની છે. આ દેશને 1980 માં ફ્રાન્સ અને બ્રિટનથી સ્વતંત્રતા મળી. વાનુઆતુ તેના ખાસ કાર્યક્રમ  દ્વારા નાગરિકતા પ્રદાન કરે છે, જેમાં દાન અથવા રોકાણની જરૂર પડે છે. આ કાર્યક્રમનું  નામ છે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇમિગ્રેશન પ્લાન (CIIP). આ કાર્યક્રમ અનુસાર, સિંગલ અરજદારોએ ૧.૩ કરોડ એટલેકે , $૧,૫૫,૦૦૦ આપવાની જરૂર છે . જેના થકી કોઈ પણ વ્યક્તિ વાનુઆતુ દેશની નાગરિકતા મેળવી શકે છે . 

ભાગેડુ લલિત મોદીને લઇને તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો .  

જો તમે અમને યૂટ્યૂબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો .



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.