લોકસભા ચૂંટણી 1998: વાજપાઈ સરકારનું 13 મહિનામાં જ પતન, રાજકારણમાં સોનિયા ગાંધીની એન્ટ્રી


  • Published By :
  • Published Date : 2023-10-17 14:42:56

વર્ષ 1998 દેશમાં 12મી લોકસભાની ચૂંટણીનું સાક્ષી બન્યું હતું. આ પહેલા 1996ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. અટલ બિહારી વાજપેયી 13 દિવસ સુધી વડાપ્રધાન રહ્યા અને બહુમત સાબિત ન કરી શક્યા હોવાથી રાજીનામું આપવું પડ્યું હતું. આ પછી સંયુક્ત મોરચાની (યુનાઈટેડ ફ્રન્ટ) ગઠબંધન સરકાર બની પરંતુ આ સરકાર પણ 18 મહિનાથી વધુ ન ચાલી. બાદમાં કોંગ્રેસના સમર્થનથી સરકાર રચાઈ અને ઈન્દર કુમાર ગુજરાલ વડાપ્રધાન બન્યા પરંતુ  તેમની સરકાર પણ કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લેતા માત્ર 11 મહિનામાં જ પડી ગઈ હતી. 1998માં દેશ મધ્યસત્ર ચૂંટણીના આરે ઉભો હતો. 16 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરી 1998 વચ્ચે ત્રણ તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાઈ હતી અને કોઈપણ પક્ષને બહુમતી મળી ન હતી.



નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની રચના


1998માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બીજેપીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ તેની યોગ્યતા સાબિત કરી અને ફરી એકવાર અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન બન્યા હતા. અટલ બિહારી વાજપેયીની આ સરકાર માત્ર 13 મહિના જ ચાલી હતી. વાસ્તવમાં એનડીએના સાથી પક્ષના એક સાંસદના ક્રોસ વોટિંગને કારણે અટલ બિહારી વાજપેયીની સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી, જેના કારણે તેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. આવો આજે અમે તમને આ લેખ દ્વારા 1998ની ભાજપની જીતથી લઈને અટલ બિહારી વાજપેયીના રાજીનામા સુધીના ઈતિહાસથી વાકેફ કરીશું.   


1998માં બારમી લોકસભાની ચૂંટણી


લોક સભાની ચૂંટણીના આંકડા મુજબ દેશના કુલ 65 કરોડ મતદારો ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરવાના હતા. લગભગ 61 ટકા મતદાન થયું હતું. 543 બેઠકો માટે 176 પક્ષોના 4,750 ઉમેદવારો મેદાનમાં હતા. સાત રાષ્ટ્રીય સ્તરના પક્ષો હતા જ્યારે 30 ક્ષેત્રીય અને 139 રજીસ્ટર્ડ પાર્ટીઓનો સમાવેશ થતો હતો. દરેક બેઠક માટે સરેરાશ 8.75 ઉમેદવારો હતા. વર્ષ 1998માં ફરી એકવાર ભાજપને સૌથી વધુ બેઠકો (182) મળી. જો કે કોંગ્રેસ અને ભાજપની વોટ ટકાવારી લગભગ સરખી રહી, પરંતુ ભાજપને 41 વધુ સીટો મળી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે 477 ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી 141 જીત્યા હતા. ભાજપે 388 ઉમેદવારો ઉભા રાખ્યા હતા પરંતુ 182 જ જીત્યા હતા. જો કે, આ ચૂંટણીમાં ભાજપને 1996ની લોકસભા ચૂંટણી કરતાં વધુ બેઠકો મળી હતી. યુપીમાં ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ 57 બેઠકો મળી હતી. ચૂંટણીમાં સમતા પાર્ટીને 12, જનતા દળને 6 અને બસપાને 5 લોકસભા બેઠકો, સીપીઆઈએ 9 બેઠક જ્યારે CPI(M)ને 32 બેઠકો મળી હતી. CPI(M)એ આ ચૂંટણીમાં 71 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. પ્રાદેશિક પક્ષોએ 150 લોકસભા બેઠકો જીતી. ચૂંટણીમાં 61.97 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.


પહેલીવાર આ રાજ્યોમાં કોંગ્રેસનો થયો સફાયો


આઝાદી પછી, 1998ની પહેલી લોકસભા ચૂંટણી હતી જેમાં કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાંથી એક પણ સીટ મળી ન હતી. કોંગ્રેસને ઉત્તર પ્રદેશ ઉપરાંત અરુણાચલ, મણિપુર, મિઝોરમ, પંજાબ, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, ચંદીગઢ, દાદર નગર હવેલી, દમણ દીવ અને પુડુચેરીમાંથી પણ કોઈ બેઠક મળી નહોતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 141 સીટો પર સીમિત રહી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને મહારાષ્ટ્રમાંથી સૌથી મોટી જીત મળી છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસે કુલ 41 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાં તે 33 બેઠકો જીતવામાં સફળ રહી હતી. 



સોનિયા ગાંધીનો રાજકારણમાં પ્રવેશ


અગાઉ સોનિયા ગાંધી રાજકારણમાં આવવા માંગતા ન હતા. 1997માં કોંગ્રેસ પાર્ટીની કમાન સીતારામ કેસરીના હાથમાં હતી. 1997માં જ સોનિયા ગાંધીએ રાજકીય દબાણ હેઠળ કોંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ લીધું અને થોડા જ દિવસોમાં સીતારામ કેસરીને હટાવીને સોનિયા ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ભાજપે કોંગ્રેસના આ પગલાની આકરી ટીકા કરી અને વિદેશી હોવા છતાં તેમના પ્રમુખ બનવા પર સવાલો ઉઠાવ્યા હતા. 1998ની ચૂંટણી સીતારામ કેસરીના નેતૃત્વમાં લડવામાં આવી હતી, પરંતુ ચૂંટણી પછી તરત જ કોંગ્રેસે સોનિયા ગાંધીને કોંગ્રેસની કમાન સોંપી હતી. 



જયલલિતાએ ટેકો પાછો ખેંચ્યો


વાજપાઈ સરકારને સમર્થન આપી રહેલી એઆઈડીએમકેના સુપ્રીમો જયલલિતા સરકાર પર વિવિધ પ્રકારે દબાણ લાવતા રહેતા હતા. તે ઈચ્છતા હતા કે તેમની સામે થયેલા ભ્રષ્ટાચારના કેસો પાછા ખેંચવામાં આવે, તે ઉપરાંત તમિલનાડુમાં ડીએમકેના નેતા મુખ્યમંત્રી કરૂણાનિધી સરકારને બરખાસ્ત કરવામાં આવે. વળી જયલલિતા સુબ્રમણ્યમ સ્વામીને નાણા મંત્રી બનાવવા માટે પણ જિદ પકડી હતી. જો કે વાજપાઈ આ તમામ માગો સ્વિકારવા તૈયાર નહોંતા. અંતે જયલલિતાએ વાજપાઈ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચતા રાષ્ટ્રપતિ કેઆર નારાયણે વાજપાઈને સંસદમાં ફ્લોર વિશ્વાસ મત લેવાનું કરવા કહ્યું હતું.  


શા માટે વાજપાઈ સરકાર પડી? 


રાષ્ટ્રપતિ કે. આર. નારાયણનના અનુરોધ પર વાજપાઈ સરકારે લોકસભામાં વિશ્વાસ મત જીતવા માટે ચર્ચા બાદ વોટિંગ કરાવડાવ્યું હતું. જો કે મતદાન શરૂ થાય તે પહેલા જ બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીએ તેમના સાંસદોને લાલ બટન દબાવવાનું કહ્યું હતું, જે વાજપાઈ સરકાર માટે મોટો ફટકો હતો. ત્યાર બાદ ઓડીસાના  કોંગ્રેસના સાંસદ ગીરધર ગોમાંગ ઓડીસાના મુખ્યમંત્રી પણ હતા જો કે તેમણે લોકસભાના સાંસદ તરીકે રાજીનામું આપ્યું નહોતું. લોકસભા અધ્યક્ષે મતદાન સમયે ગોમાંગને તેમના વિવેકના આધારે મતદાન કરવાનું કહ્યું હતું પણ તેમણે વાજપાઈ સરકારની વિરૂધ્ધમાં મતદાન કરતા સરકાર એક મતથી પડી ગઈ હતી. તે જ પ્રકારે નેશનલ કોન્ફરન્સના નેતા અને સાંસદ સૈફુદ્દીન સોઝએ પણ પાર્ટી લાઈનથી અલગ રહીને વાજપાઈ સરકાર વિરૂધ્ધ મતદાન કરતા અંતે સરકારનું પતન થયું હતું. ગોમાંગના મામલે રસપ્રદ બાબત એ હતી કે બાદમાં તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. 



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..