સુરતની વરાછા વિધાનસભા સીટના ધારાસભ્ય કુમાર કાનાણીએ વરાછાના ખાડી વિસ્તારની સફાઇના મુદ્દે આક્રમક બન્યા છે. સુરત મહાનગરપાલિકા ખાતે ગઈ કાલે મળેલી ધારાસભ્ય-સાંસદની સંકલન બેઠકમાં તેમણે ઉગ્ર રજૂઆત કરી હતી. કુમાર કાનાણીએ બેઠકમાં હાજર અધિકારીઓની રીતસર ઝાટકણી કાઢી હતી.
રજુઆત છતાં પ્રશ્નો યથાવત
ધારાસભ્ય કુમાર કાનાણી તેમનો રોષ વ્યક્ત કરતા કહ્યું કે પાંચ વર્ષથી સતત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી થતી નથી. હવે લોકોની ધીરજ ખૂટી ગઇ છે અને ખાડીની સફાઇના મુદ્દે નક્કર અને કાયમી કામગીરી કરવામાં નહીં આવે તો અસરગ્રસ્ત લોકો સાથે આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે જ્યાં સુધી મારા વિસ્તારની અંદર ખાડીની સમસ્યાનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી હું લડાઈ લડતો રહીશ. આ મુદ્દાને લઈ હું અવાજ ઉઠાવતો રહીશ.'
કાનાણીએ જન આંદોલનની આપી હતી ચીમકી
અત્રે ઉલ્લેખનિય છે કે સુરતના વરાછા વિસ્તારના ખાડી વિસ્તારની અસંખ્ય સોસાયટીઓમાં ગંદકીના સામ્રાજ્ય મુદ્દે તંત્રને ખુલ્લો પત્ર લખી આંદોલનની ચીમકી આપી હતી. પત્રમાં લખ્યું હતું કે, કામની સમીક્ષા પણ કરવામાં આવતી નથી અને મને ફોન પર ફક્ત જવાબ આપી દેવામાં આવે છે કે કામ ચાલું છે, થઈ જશે. પરંતુ કામ થતું નથી અને લોકો કંટાળી ગયા છે. અસંખ્ય સોસાયટીના લોકો દ્વારા મારી પાસે આવી આ પ્રશ્ન હલ કરવાની રજૂઆત કરેલ છે અને જો પ્રશ્ન હલ ન થાય તો જન આંદોલન કરવાની પણ ધમકી આપેલ છે. તો આ પ્રશ્ન તાત્કાલિક હલ કરવા મારી માંગણી છે. ભાજપના ધારાસભ્યએ તંત્ર સામે આંદોલનની ચીમકી આપતા પત્રમાં લખ્યું હતું કે, જો લોકો જન આંદોલન કરશે તો ના છૂટકે મારે પણ આ જનઆંદોલનમાં જોડાવું પડશે તેની ખાસ નોંધ લેશો.