નફરતભર્યા ભાષણોથી દેશનું વાતાવરણ બગડી રહ્યું છે, તેને રોકવાની જરૂર: સુપ્રીમ કોર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 13:11:27

હેટ સ્પીચ પર લગામ લગાવવાને લઈ સુપ્રીમ કોર્ટે સરકારને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નફરત ફેલાવનારા ભાષણો સામે સરકારે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ યૂયૂ લલિત અને જસ્ટિસ એસ રવિન્દ્ર ભટની બેંચે એક અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું કે સરકાર હેટ સ્પિચ ફેલાવાને રોકવામાં તદ્દન નિષ્ફળ રહી છે. ચીફ જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટની બેંચ દેશમાં લઘુમતી સમુદાયો વિરુદ્ધ વધી રહેલા ભડકાઉ ભાષણો અંગેની અરજી પર સુનાવણી કરી રહી હતી.


અરજદારે સુપ્રીમ કોર્ટ નિર્દેશો આપવા કરી હતી અપીલ 


અરજદાર હરપ્રીત મનસુખાનીએ  નફરતભર્યા ભાષણો અંગે નિર્દેશો આપવા સુપ્રીમ કોર્ટને કહ્યું હતું. આ પ્રકારની ઘટનાઓને રોકવામાં હવે ઘણું મોડું થઈ ગયું છે. જો કે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશો આપવા જરૂરી છે. કારણ કે દરેક વખતે ક્યાંકને ક્યાંક અભદ્ર ટિપ્પણી કરવામાં આવે છે. કોર્ટે કહ્યું કે, અરજદાર એક કે બે કેસ પર ફોકસ કરી શકે છે. ખંડપીઠે કહ્યું કે, ‘આ ખૂબ જ મનસ્વી અરજી છે. તેમાં 58 ઘટનાઓનો ઉલ્લેખ છે, જેમાં કોઈએ નફરતભર્યા ભાષણો આપ્યા હતા.' કોર્ટે કહ્યું કે, તેમને માલુમ નથી કે ગુનાની વિગતો શું છે, તેની સ્થિતિ શું છે. આમાં કોણ કોણ સામેલ છે અને કોઈ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે કે નહીં. 


સુપ્રીમ કોર્ટે માંગી હતી વિગતો


અરજદાર હરપ્રીત મનસુખાનીએ કહ્યું કે, અભદ્ર નિવેદનો કમાનમાંથી નીકળતા તીર જેવા હોય છે, જેને ક્યારેય પાછા ખેંચી શકાતા નથી. ખંડપીઠે કેટલાક તાત્કાલિક ઉદાહરણની માંગ કરતા કહ્યું કે, આ કિસ્સામાં જ્યાં સુધી કોઈ ઘટનાની વિગતો આપવામાં ન આવે ત્યાં સુધી કોર્ટ સંજ્ઞાન લઈ શકે નહીં. કારણ કે કેસની સંજ્ઞાન લેવા માટે હકીકતલક્ષી આધાર હોવો જરૂરી છે. ખંડપીઠે અરજદાર હરપ્રીત મનસુખાનીને પસંદગીની ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને એક વધારાનું સોગંદનામું દાખલ કરવા માટે સમય આપ્યો.


નફરતભર્યા ભાષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?


સુપ્રીમ કોર્ટે નફરતભર્યા ભાષણનો મુદ્દો ઉઠાવતા અરજદારને કહ્યું કે, તેઓ તપાસ દરમિયાન લેવામાં આવેલા પગલાં સહિત તમામ ચોક્કસ ઘટનાઓની વિગતો આપે. સુપ્રીમ કોર્ટે કહ્યું, “કદાચ તમારું આ કહેવું સાચું છે કે નફરતભર્યા ભાષણો (Hate Speech)ને કારણે દેશનું વાતાવરણ બગડી રહ્યું છે અને તમારી પાસે એ કહેવા માટે યોગ્ય આધાર છે કે તેના પર અંકુશ લગાવવાની જરૂર છે.” જોકે, ચીફ જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ એસઆર ભટની ખંડપીઠે અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું કે, કોઈ મામલાની સંજ્ઞાન લેવા માટે એક હકીકતલક્ષી આધાર હોવો જોઈએ. 


આગામી સુનાવણી 1 નવેમ્બરે કરાશે


ખંડપીઠે કહ્યું કે, આ સોગંદનામામાં કયા ગુનાને લઈને સવાલો પૂછવામાં આવ્યા છે, તેની વિગતો આપવાની સાથે તપાસ દરમિયાન કોઈ પગલું ભર્યું હોય તો તેના વિશે પણ જણાવો. કોર્ટે આ મામલે એફિડેવિટ દાખલ કરવા માટે 31 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. આ મામલાની આગામી સુનાવણી 1 નવેમ્બરે થશે. અરજદારે લઘુમતી સમુદાયને ટાર્ગેટ કરવા માટે આપવામાં આવેલા નફરતભર્યા ભાષણનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે આ દિવસોમાં આવા ભાષણો “નફો કમાવવાનો વ્યવસાય” બની ગયા છે.


સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકાર પાસેથી જવાબ માંગ્યો 


એક અલગ કેસમાં, સુપ્રીમ કોર્ટે સોમવારે ઉત્તરાખંડ અને દિલ્હી સરકારો પાસેથી રાજ્ય અને રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત ધર્મ સંસદમાં દ્વેષપૂર્ણ ભાષણ આપનારાઓ સામે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે જવાબ માંગ્યો હતો. 



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.