ધર્મ પરિવર્તન એક ગંભીર મુદ્દો, તેને રાજકીય રંગ ન આપવો જોઈએ: સુપ્રીમ કોર્ટ


  • Published By :
  • Published Date : 2023-01-09 20:41:46


સુપ્રીમ કોર્ટનું માનવું છે કે ધર્મ પરિવર્તન એક ગંભીર મુદ્દો છે અને તેને રાજકીય રંગ આપવો જોઈએ નહીં. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં લાલચથી કે બળજબરીથી થતાં ધર્માંતરણ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ મામલે એટર્ની જનરલ આર વેંકટરમાની પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં એવી માંગણી કરવામાં આવી છે કે ધાકધમકી, લાલચ કે વિવિધ લાભો આપીને ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મુકવો જોઈએ.


એટર્ની જનરલ પાસે માંગ્યો જવાબ


જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે એટર્ની જનરલ આર વેંકટરમાનીને કહ્યું કે અમે એ જાણવા માગીએ છીએ કે ધર્માંતરણ બળજબરીથી થઈ રહ્યું છે કે લોભથી અને જો આવું થઈ રહ્યું હોય તો અમારે શું કરવું જોઈએ? અને તેને સુધારવા માટે શું કરવું જોઈએ, કેન્દ્ર આ મામલે મદદ કરે.


તમિલનાડુ સરકારે કર્યો બચાવ 


તમિલનાડુ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પી. વિલ્સને અરજીને રાજકારણથી પ્રેરિત ગણાવી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે તમિલનાડુમાં આવા ધર્માંતરણનો કોઈ પ્રશ્ન જ નથી. તેના પર સુપ્રીમ કોર્ટની બેન્ચે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે "કોર્ટની સુનાવણીને અન્ય બાબતો તરફ વાળવાનો પ્રયાસ કરશો નહીં. અમને આખા દેશની ચિંતા છે કે જો તમારા રાજ્યમાં આવું થઈ રહ્યું છે તો તે ખરાબ છે અને જો તેવું નથી થઈ રહ્યું તો તે સારી બાબત છે. તેને કોઈ રાજ્યને નિશાન બનાવવાના ઈરાદા તરીકે ન જુઓ, તેને રાજકીય મુદ્દો ન બનાવો."


એડવોકેટ અશ્વિની કુમારે કરી છે અરજી


અત્રે ઉલ્લેખનિય છે કે એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને છેતરપિંડી કે બળજબરીથી થતા ધર્મ પરિવર્તન સામે કડક પગલા ભરવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આ ગંભીર મુદ્દા પર કડક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો, એમ કહીને કે બળજબરીથી ધર્મ પરિવર્તન દેશની સુરક્ષા માટે ખતરો છે. ગુજરાત સરકારે લગ્ન માટે ધર્મ પરિવર્તન પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી ફરજિયાત બનાવતો કાયદો ઘડ્યો હતો. જો કે ગુજરાત હાઈકોર્ટે આ કાયદા પર સ્ટે આપ્યો હતો. ગુજરાત સરકારે સ્ટે હટાવવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન ગુજરાત સરકારે કહ્યું હતું કે ધર્મની સ્વતંત્રતામાં ધર્મ પરિવર્તનનો અધિકાર સામેલ નથી.


આગામી સુનાવણી 7મી ફેબ્રુઆરીએ થશે


એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયની અરજીમાં કહેવામાં આવ્યું છે કે બળજબરીથી ધર્મ પરિવર્તન સમગ્ર દેશની સમસ્યા છે અને તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. પિટિશનમાં જસ્ટિસ કમિશનને એક રિપોર્ટ અને બિલ તૈયાર કરવાની પણ માંગ કરવામાં આવી છે, જેમાં ધર્મ પરિવર્તનની ઘટનાઓને ધાકધમકી આપીને અથવા લાલચ આપીને નિયંત્રિત કરી શકાય. હવે સુપ્રીમ કોર્ટ આ મામલે 7મી ફેબ્રુઆરીએ સુનાવણી કરશે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.