Ahmedabadની Isanpur પોલીસે માનવતાનું ઉદાહણ પૂરું પાડ્યું, ફેરિયાંની દીકરીનું ઓપરેશન કરાવ્યું!


  • Published By :
  • Published Date : 2024-02-06 10:19:00

અનેક વખત પોલીસના ક્રૂર ચહેરા આપણે જોયા હશે...! સામાન્ય લોકો પર રોફ જમાવતા પોલીસકર્મીને આપણે જોયા હશે.. પોલીસના નેગેટિવ ચહેરા વિશે અનેક વખત અમે તમને બતાવ્યું છે પરંતુ આજે ગુજરાત પોલીસનો એક એવો ચહેરો તમને બતાવવો છે જેને જોઈ પોલીસ પ્રત્યેનું  માન તમારા મનમાં વધી જશે એક એવો કિસ્સો તમને કહેવો છે જે સાંભળી તમને પણ ગર્વ થશે કે હાલ પણ ગુજરાત પોલીસમાં એવા અધિકારીઓ અને પોલીસ કર્મીઓ છે જેમના કામને જોઈ સલામ કરવાનું મન થઈ જાય.. 

બાળકીની સારવાર માટે પોલીસે કરી દોડાદોડી! 

થોડા સમય પહેલા એક સ્ટોરી તમને સુરતની બતાવી હતી જેમાં પોલીસકર્મીઓએ નિસહાય વૃદ્ધાને મદદ કરી હતી. ત્યારે આવી જ કામગીરી અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદની ઈસનપુર પોલીસે માનવતાનું ઉદાહણ પૂરું પાડ્યું છે. ઈસનપુર પોલીસ સ્ટેશન પાસેના ફૂટપાથ પર વેપાર કરતાં એક ફેરિયાની દીકરીનું ઓપરેશન કરાવવામાં મદદ કરી છે. સાત વર્ષની બાળકીના હૃદયમાં કાણું હતું અને તેનું ઓપરેશન કરાવવા માટે આ પીએસઆઈએ ભાગદોડ કરી હૃદયની સારવાર કરાવી છે. 


ખાખી વર્દી પાછળ રહેલા હૃદયના દર્શન થયા!

પોલીસનું તેડું આવે એટલે એવું જ લાગે કે કોઈ મોટી મુસીબતમાં સપડાયા છીએ. પોલીસની છબી જ એવી બનેલી છે કે તેનું નામ સાંભળતાં જ ભલભલાના મનમાં ફફડાટ પેસી જાય. અમદાવાદના મુકેશ કુશવા નામના ફેરિયાને પણ ઈસનપુર પોલીસનું સમન્સ આવ્યું ત્યારે આવું જ થયું. મુકેશ કુશવાને લાગ્યું કે પોલીસ ઠપકો આપશે, પરંતુ તે જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે તેને ખાખી વર્દી પાછળ રહેલા વિશાળ હૃદયના દર્શન થયા.


ફેરિયાઓને અડચણ રૂપ નહીં બનવા માટે આદેશ આપ્યો પરંતુ....

વાત જાણે એમ છે કે, થોડા સમય અગાઉ ઈસનપુર પોલીસ સ્ટેશનની હદમાં પીએસઆઈ એ. એ. વાઘેલા સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલીંગ માટે નીકળ્યા હતા. ફેરિયાઓના કારણે રોડ પર થતા ભારે ટ્રાફિક જામને લઈને કેટલાંક લોકોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા. પોલીસની ભાષામાં તમામ ફેરિયાઓને અડચણરૂપ નહીં બનવા માટે આદેશ અપાયો ત્યારે ફૂલ-છોડ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા મુકેશ કુશવાહ ભાવૂક થઈ ગયા હતા.અને તેમણે પોલીસને કહ્યું કે  “સાહેબ, જે કરવું હોય તે કરો. હું તો અહીંયા જ ધંધો કરીશ. ધંધો નહીં કરું તો મારી 7 વર્ષની દીકરી મરી જશે” મુકેશ કુશવાહના આ શબ્દો સાંભળીને PSI આકાશ વાઘેલા તુરંત ઉભા થઈ ગયા. 


પીએસઆઈએ મદદ કરવાની આપી આશા! 

મુકેશ કુશવાહને પાણી પીવડાવી વાત કરતા પીએસઆઈ આકાશ વાઘેલાએ જરૂરી મદદની ખાતરી આપી વાતચીતનો દોર આરંભ્યો. 4 પુત્રી અને 1 પુત્રના પિતા મુકેશ કુશવાહે કહ્યું કે, મારી ચોથા નંબરની દીકરી મંજુને હૃદયમાં કાણું છે અને તેની મોંઘીદાટ સારવાર કરાવવા મારી પાસે કોઈ બચત નથી.


દીકરીને કંઈ નહીં થાય તેવું પીએસઆઈએ આપ્યું આશ્વાસન!

અગાઉ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા PSI વાઘેલા યુએન મહેતા હોસ્પિટલમાં કેટલાક ડૉક્ટરોને ઓળખતા હતા. જેથી તેઓ મુકેશને લઈને ત્યાં પહોંચ્યા અને ડૉક્ટરોની સલાહ લીધી. મુકેશની દીકરીની મેડિકલ હિસ્ટ્રી જોયા પછી તબીબોએ કહ્યું કે, તેના હૃદયમાં પડેલું કાણું મોટું થઈ રહ્યું છે અને તાત્કાલિક ઓપરેશનની જરૂર છે. એ સમયે ભાંગી પડેલા પિતાને પીએસઆઈ વાઘેલાએ આશ્વસ્ત કર્યા કે તેઓ તેમની દીકરીને કંઈ નહીં થવા દે.


પહેલી ફેબ્રુઆરીએ દીકરીની કરવામાં આવી સર્જરી 

જેથી ગત બુધવારે મુકેશે પોતાની દીકરીને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. કેટલાક જરૂરી ટેસ્ટ કર્યા પછી 1 ફેબ્રુઆરીએ આ છોકરીનું ઓપરેશન કરવામાં આવ્યું. છોકરીનું ઓપરેશન ચાલ્યું એ વખતે પોલીસ સુરક્ષા માટે ઓપરેશન થિયેટરની બહાર જ પહેરેદારી કરી રહી હતી. કેટલાય કલાકો સુધી ચાલેલા ઓપરેશનના અંતે ડૉક્ટરે મુકેશને રાહત થાય એવા સમાચાર આપ્યા હતા. મુકેશની દીકરીની સર્જરી સફળ રહી હતી.


ગુજરાત પોલીસમાં આવા કર્મીઓ છે એટલે આપણે સુરક્ષિત છીએ!

ખાખીમાં પણ સંવેદના હોય છે. એ સાર્થક કરી બતાવ્યું છે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ આકાશ વાઘેલાએ.. અમે ઘણી વાર કહેતા હોઈએ છીએ કે આપણે સુરક્ષિત છીએ એટલા માટે કારણ કે ગુજરાત પોલીસમાં આવા અધિકારીઓ અને પોલીસકર્મચારીઓ છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.