પાલનપુરમાં આવતી કાલથી ભવ્ય અર્બુદા મહોત્સવનો પ્રારંભ, 10 લાખથી વધુ લોકો હાજરી આપશે


  • Published By :
  • Published Date : 2023-02-02 21:14:45

બનાસકાંઠાના પાલનપુરમાં આવતી કાલથી અર્બુદા રજત જયંતી મહોત્સવનો હર્ષોલ્લાસભેર પ્રારંભ થશે. અર્બુદા માતાજીના મંદિરના 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતી મહોત્સવનું આયોજન પાલનપુરમાં આદર્શ વિદ્યાલય ખાતે  કરવામાં આવ્યું છે. આ રજત જયંતી મહોત્સવ નિમિત્તે 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 3થી 5 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા અર્બુદા મહોત્સવમાં લગભગ 10 લાખ કરતા પણ વધારે ભક્તો ઉમટે તેવી સંભાવના છે. બનાસકાંઠાના ચૌધરી -આંજણા સમાજ દ્વારા પાલનપુરમાં અર્બુદા માતાજીની રજત મહોત્સવની ઉજવણી શરૂ કરાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મહોત્સવમાં હાજરી આપશે.


આજે નિકળી માતાજીની શોભાયાત્રા


અર્બુદા રજત મહોત્સવને લઈને આજે પાલનપુરના અર્બુદાધામથી પારંપરિક વસ્ત્રો અને ઢોલ-નગારાં અને હાથી-ઘોડા સાથે 12 કિલોમીટર લાંબી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં એક લાખ લોકો જોડાયા અને આ શોભાયાત્રા પાલનપુર શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી. શોભાયાત્રાનું અનેક જગ્યાએ ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ આજે સાંજે દરેક ગામોના મંદિરોમાં મહાઆરતી યોજાઈ અને પાલનપુરના અર્બુદાધામમાં 50 હજાર લોકો મહાઆરતી કરી હતી.


ભવ્ય યજ્ઞ શાળા તૈયાર કરાઈ


આ રજત જયંતી મહોત્સવમાં 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 45 દિવસથી કામ કરતાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. આ યજ્ઞમાં 600 ભૂદેવ ઉપસ્થિત રહેશે અને 1500 યજમાન મહાયજ્ઞ શાળામાં આહુતિ આપશે. આ સહસ્ત્ર ચંડી યજ્ઞ માટે બે લાખ ફૂટ જગ્યામાં ભવ્ય યજ્ઞ શાળા તૈયાર કરવામાં આવી છે. માતાજીના આ મહોત્સવમાં 7 માળની યજ્ઞશાળાનું દેશી ગાયના છાણથી ચૌધરી સમાજની બહેનોએ લીંપણ કર્યું હતું. 


10 લાખથી વધુ લોકો લેશે પ્રસાદ 


પાલનપુર અર્બુદા ધામ ખાતે સમગ્ર રાજ્ય ઉપરાંત દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાંથી ચૌધરી સમાજના લોકો આ યજ્ઞનાં દર્શન માટે આવશે. મહોત્સવ માટે 10 લાખથી વધુ લોકોના ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૌધરી સમાજની 5 હજારથી વધુ બહેનોએ ભોજન પ્રસાદ માટે 5 લાખ લાડુ બનાવ્યા છે. આ લાડુ બનાવવામાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ યજ્ઞમાં ત્રણ દિવસ સુધી તમામ સમાજના લાખો લોકો ભોજન પ્રસાદ લેશે.


રાત્રે લોકડાયરાનું આયોજન


પાલનપુરના અર્બુદાધામમાં ચૌધરી-આંજણા સમાજની 5 હજાર જેટલી બહેનોએ માતાજીના નામની મહેંદી મૂકાવી છે. બનાસકાંઠાના તમામ ગામડાઓમાં સામુહિક સફાઈ કરાયા બાદ ચૌધરી-આંજણા સમાજની બહેનોએ પણ દરેક ગામોમાં એકત્રિત થઈને સામુહિક માતાજીના નામની મેહેંદી પોતાના હાથમાં મૂકી હતી. આ અર્બુદા મહોત્સવના આયોજનના ત્રણ રાત્રી દરમિયાન ભવ્ય લોકગીત અને ડાયરાનું આયોજન કરાયું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.