ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ પણ સક્રિય બની છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા જણાઈ રહી છે. દુધસાગર ડેરીના સાગર દાણ કેસમાં મહેસાણા કોર્ટના સમન્સ બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.
— Gujarat Congress (@INCGujarat) October 4, 2022
 શંકરસિંહ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો તેજ
આજની પત્રકાર પરિષદને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા અને શંકરસિંહ વાઘેલાએ સંયુક્તપણે સંબોધી હતી. અર્જુન મોઢવાડીયા બાપુના રાજકારણમાં જોડાવવા અંગે સંકેત આપતા કહ્યું કે, 'તમારી આતુરતાનો જલ્દી અંત આવશે. હાઇકમાન્ડ અને બાપુ સતત સંપર્કમાં છે. પ્રદેશના નેતાઓની પણ એવી લાગણી છે કે બાપુ કોંગ્રેસમાં જોડાય.' અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવવા અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, 'હાલ મારી કોંગ્રેસના મિત્રો સાથે વાત ચાલી રહી છે.' એટલે કે જે-તે સમયે અગાઉ પણ શંકરસિંહ બાપુએ કોંગ્રેસમાં જોડાવવાના સંકેતો આપ્યા હતા.
વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા લખ્યો હતો ભલામણ પત્ર
શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા માટે ભલામણ પત્ર લખ્યા હતા. મહારાષ્ટ્રને સાગર દાણ મોકલવામાં આવ્યું તે સમયે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયા એમ બંનેએ કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વને ભલામણ પત્ર લખ્યા હતા. આ કારણે સરકારી વકીલે બંનેને સાક્ષી તરીકે હાજર રાખવા અરજી કરી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખતાં 6 ઓક્ટોબરના રોજ બંનેએ હાજર રહેવું પડશે. નોંધનીય છે કે, વિપુલ ચૌધરી પર NDDBના ચેરમેન બનવા માટે દાણ આપવાનો આરોપ છે.
ભલામણ કરવી એ કોઈ ગુનો નથી-શંકરસિંહ
શંકરસિંહે પોતે અને અર્જુન મોઢવાડીયાએ વિપુલ ચૌધરી માટે ભલામણ કરી હોવાનું સ્વીકાર્યું હતું. સાથે જ વાજપેયીજીના કહેવાથી પોતે અમૃતા પટેલ માટે પણ ભલામણ કરી હતી તેવો દાવો કર્યો હતો. વધુમાં તેમણે ભાજપ આટલી નિમ્ન કક્ષાનું રાજકારણ કરે એ યોગ્ય ન કહેવાય તેમ જણાવ્યું હતું. આ સાથે જ તેમણે ભલામણ કરવી એ કોઈ ગુનો નથી તેમ જણાવ્યું હતું.
કોર્ટના સમન્સ અંગે આપ્યો જવાબ
મહેસાણા કોર્ટના સમન્સ અંગે અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે સરકારી વકીલની સૂચનાથી અમને 6 તારીખે કોર્ટનું સમન્સ મળ્યું છે, તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે 'ભાજપના આંતરિક વિવાદના કારણે દૂધસાગર ડેરી ડેરી તળિયે આવી ગઈ છે. રાજ્યની સહકારી સંસ્થાઓ ભાજપની મિલ્કતો નથી. આપણા વડવાઓના પરસેવા અને પ્રામાણિકતાથી આ સંસ્થાઓ વટવૃક્ષ બની છે. સહકારી સંસ્થાઓની મલાઈ ખાવાના ભાજપના ષડયંત્રનો જવાબ ગુજરાતની જનતા આપશે.'
'ભાઉ'ના શરણે ન જનાર વિપુલ ચૌધરી જેલમાં ગયા
તેમણે ભાજપના 'ભાઉ'ને નિશાન બનાવી આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે "ભાજપમાં હોવા છતાં વિપુલ ચૌધરી ભાઉ'ની શરણાગતિ સ્વીકારતા ન હતા એટલે તેઓ જેલમાં ગયા. ભાઉના કહેવાથી જ લોકોએ ભ્રષ્ટાચાર કરી અબજો રૂપિયા બનાવ્યા છે. ભાઉના કારણે રાજ્યનુી 75 સહકારી સંસ્થાઓ ડૂબી ગઈ છે માટે મહેરબાની કરીને તેમાં વચ્ચે ન પડે, સહકારી સંસ્થાઓ તેના સભાસદોની માલિકીની છે."
                            
                            





.jpg)








