બિગ બ્રેકિંગ: પાકિસ્તાનની ટીમમાં મોટો ભૂકંપ, બાબર આઝમે સુકાની પદેથી આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2023-11-15 20:58:52

વન ડે વર્લ્ડ કપ 2023માં શરમજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં એક પછી એક ભૂકંપ આવી રહ્યા છે. બાબર આઝમે ત્રણેય ફોર્મેટમાં સુકાની પદેથી રાજીનામું આપી દીધું છે. બાબરની કેપ્ટન્સીમાં પાકિસ્તાનની ટીમે આ વખતે ભારતની યજમાનીમાં યોજાયેલા વર્લ્ડ કપમાં એન્ટ્રી કરી હતી. જો કે ટીમના અત્યંત કંગાળ પ્રદર્શન બાદ કેપ્ટન બાબરને આકરી ટીકાનો સામનો સામનો કરવો પડી રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે  બાબર આઝમ અગાઉ ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 


બાબરે  X પર કરી પોસ્ટ


પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. તે 9 માંથી માત્ર 4 મેચ જીતી શકી હતી અને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને હતી. બાબર પોતે પણ બેટિંગમાં કોઈ ખાસ કમાલ કરી શક્યો ન હતો. આવી સ્થિતિમાં ઘણા દિગ્ગજો અને પ્રશંસકોએ તેની આકરી ટીકા કરી હતી.બાબરે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કેપ્ટનશિપમાંથી રાજીનામું આપવાની જાણકારી આપી હતી. તેણે પ્રથમ વખત કેપ્ટનશીપ મળવાની ઘટનાને યાદ કરતા કહ્યું કે આજે હું ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાન ટીમની કેપ્ટનશીપ છોડી રહ્યો છું. જોકે, તેણે કહ્યું છે કે તે ત્રણેય ફોર્મેટમાં ખેલાડી તરીકે રમવાનું ચાલુ રાખશે.

બાબરે X પર પોતાની પોસ્ટમાં લખ્યું, 'મને તે ક્ષણ સારી રીતે યાદ છે જ્યારે મને PCB તરફથી 2019માં પાકિસ્તાનનું નેતૃત્વ કરવાનો કોલ આવ્યો હતો. છેલ્લા ચાર વર્ષમાં મેં મેદાન પર અને મેદાનની બહાર ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. પરંતુ મેં પૂરા દિલ અને સંપૂર્ણ લગન સાથે ક્રિકેટ જગતમાં પાકિસ્તાનનું ગૌરવ યથાવત રાખવાનું લક્ષ્ય રાખ્યું હતું.' તેણે આગળ લખ્યું, 'વ્હાઈટ બોલ ક્રિકેટમાં નંબર-1ના સ્થાને પહોંચવું એ ખેલાડીઓ, કોચ અને મેનેજમેન્ટના સામૂહિક પ્રયાસોનું પરિણામ હતું. હું આ પ્રવાસ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટ ચાહકોના અતૂટ સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કરવા માંગુ છું.બાબરે કહ્યું, 'આજે હું ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાની ટીમની કેપ્ટનશીપ છોડી રહ્યો છું. આ એક મુશ્કેલ નિર્ણય છે પરંતુ મને લાગે છે કે આ નિર્ણય લેવાનો આ યોગ્ય સમય છે. હું ત્રણેય ફોર્મેટમાં એક ખેલાડી તરીકે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખીશ. નવા કેપ્ટન અને ટીમને મારો પૂરો સપોર્ટ રહેશે. મને આ મહત્વપૂર્ણ જવાબદારી આપવા માટે હું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો પણ આભારી છું.'

આ ક્રિકેટર બન્યા નવા કેપ્ટન


બાબર આઝમે ત્રણેય ફોર્મેટમાં સુકાની પદેથી રાજીનામું આપી દીધું તેના થોડા સમય બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પણ નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. PCBએ અલગ-અલગ ફોર્મેટમાં 2 નવા કેપ્ટનની નિમણૂક કરી છે. ટેસ્ટ ટીમની કમાન સ્ટાર બેટ્સમેન શાન મસૂદને આપવામાં આવી છે, જ્યારે T20 ફોર્મેટની કમાન ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીના હાથમાં રહેશે. પીસીબીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે. PCBએ વન ડે ટીમના કેપ્ટનની નિમણૂક કરી નથી.

બાબર પહેલા બે રાજીનામા પડી ચુક્યા છે


ઉલ્લેખનિય છે કે વર્લ્ડ કપમાં શરમજનક પ્રદર્શનને કારણે ટૂર્નામેન્ટની વચ્ચે જ પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. સૌથી પહેલા ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેના પર હિતોના ટકરાવનો પણ આરોપ છે. આ પછી, જ્યારે પાકિસ્તાનની ટીમ તેની છેલ્લી મેચ રમીને સ્વદેશ પરત ફરી ત્યારે બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે બાબરે પણ કેપ્ટનશીપ છોડી દીધી છે.


મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.