Banaskantha, Anand, Bharuch બેઠકોએ વધારી BJPની ચિંતા! ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, સમજો સમીકરણો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-17 07:42:53

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું... અનેક એવા મુદ્દાઓ હતા જેને લઈ ગુજરાતની રાજનીતિ ગરમાતી રહી, ચર્ચાઓ થતી રહી... એ પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલું નિવેદન હોય, ભાજપનું કોંગ્રેસીકરણ હોય, ભાજપનો આંતરિક વિખવાદ હોય, ક્ષત્રિય આંદોલન હોય કે પછી અનેક બેઠકોના ઉમેદવારો દ્વારા આપવામાં આવતું નિવેદન હોય.. અનેક એવી બેઠકો છે ગુજરાતની જ્યાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારોએ ટફ ફાઈટ આપી છે, અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે.

આ બેઠકોએ વધારી નેતાઓની ચિંતા

લોકસભા ચૂંટણી વખતે અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા અવાર નવાર થતી રહેતી.. તે બેઠકો હતી બનાસકાંઠા, આણંદ, ભરૂચ, વલસાડ, પાટણ, જામનગર... આ એવી બેઠકો છે જેણે ભાજપના અનેક નેતાઓના ધબકારા વધારી દીધા છે.. એક સમયે ભાજપના નેતાઓ ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો જીતવાનો દાવો કરતા હતા. સુરતમાં તો ભાજપના નેતા બિનહરીફ વિજેતા થઈ ગયા. બાકીની 25 બેઠકો પર મતદાન થયું. પરંતુ 4 જૂને પરિણામ આવવાનું છે..  



બે મહિલાઓ વચ્ચે હતી કાંટાની ટક્કર  

સૌથી પહેલા વાત બનાસકાંઠા લોકસભા બેઠકની. જ્યાંથી કોંગ્રેસે ગેનીબેન ઠાકોર તો ભાજપે રેખાબેન ચૌધરીને ચૂંટણી લડાવી છે....ગેનીબેન ઠાકોર વાવથી જ ધારાસભ્ય છે.બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મુકાબલો ભાજપનાં રેખાબેન ચૌધરી સાથે છે. આમ તો બન્ને ઉમેદવાર પહેલીવાર લોકસભાની ચૂંટણી લડ્યા પરંતુ ગેનીબેન ઠાકોરે પોતાને "બનાસની બેન ગેનીબેન" તરીકે પ્રસ્તુત કર્યા. 13 લાખ 65 હજાર 989 મત પડ્યા એટલે કે 69.62 ટકા મતદાન થયું... ગઈ ચૂંટણીમાં ભાજપના પરબત પટેલ 3 લાખ 68 હજાર 296 મતની લીડથી જીત્યા હતા... 



દાંતામાં થયું છે સૌથી વધારે મતદાન...

બનાસકાંઠા લોકસભામાં કુલ સાત વિધાનસભા વિસ્તાર આવે છે. જેમાં સૌથી વધુ મતદાન દાંતામાં 68 ટકા જેટલું થયું. જ્યારે બીજા ક્રમે વાવમાં 65 ટકા કરતાં વધુ મતદાન થયું છે. બનાસકાંઠાની ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણ પણ ખૂબ મોટો ભાગ ભજવે છે. પરંતુ આ ઉપરાંત ડેરી ફેક્ટર પણ અસરકારક ગણી શકાય. આ જ કારણે ભાજપે રેખાબેન ચૌધરીને બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ પટેલનાં પૌત્રી તરીકે રજૂ કર્યા....ગેનીબેન ઠાકોરના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ લાખણીમાં સભા સંબોધી હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસામાં ચૂંટણી સભા કરીને રેખાબેન ચૌધરી માટે મત માગ્યા હતા.


બનાસકાંઠામાં જ્ઞાતિ-વિસ્તાર આધારીત મતદાન કેવું થયું હોઈ શકે?


આ વખતની ચૂંટણીમાં પ્રથમ વખત ચૌધરી સમાજ અને ઠાકોર સમાજના ઉમેદવાર સામ-સામે છે. ઠાકોર સમાજને ઇતિહાસમાં પ્રથમ વખત બનાસકાંઠામાં ટિકિટ મળી એટલે સમાજ ઉત્સાહમાં હોય તે ઘણું સ્વાભાવિક છે.. પણ મતપેટીમાં એ ઉત્સાહના મત પડે એ પણ જરુરી છે...  સામા પક્ષે ચૌધરી સમાજમાં દેશી ચૌધરી અને મારવાડી ચૌધરીના બે ભાગ છે....એક મત એવું કહે છે કે,  પરબત પટેલનું પણ એક જૂથ નારાજ હતું જેનો ફાયદો કોંગ્રેસને થઈ શકે. દિયોદર, ભાભોરમાં ઠાકોર સમાજ અને રબારી સમાજની વસતિ વધારે છે એટલે કોંગ્રેસને ફાયદો થઈ શકે એમ છે. પરંતુ ધાનેરામાં કોંગ્રેસને થોડું નુકસાન થઈ શકે અને ભાજપને ફાયદો થઈ શકે. 


ભાજપને આ વિસ્તારમાં લીડ મળી શકે છે કારણ કે... 

દાંતીવાડામાં ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજના મત વધારે છે જે ગેનીબેનને ફાયદો કરાવી શકે છે. ડીસામાં માળી સમાજની સંખ્યા વધારે છે. ડીસામાં મતદાનની ટકાવારી સારી રહી જેથી ભાજપને ફાયદો થઈ શકે. પાલનપુર શહેરમાં ભાજપના કાર્યકરોની નિષ્ક્રિયતા હતી, નિરાશા હતી જેથી વોટિંગ કર્યું નથી.... દાંતા વિસ્તારમાં આદિવાસી, મુસ્લિમ, ઠાકોર અને રાજપૂત સમાજના સારા મત છે એટલે ત્યાં ભાજપને લીડ મળવાની આશા સફળ થાય એમ લાગતું નથી. 


શું છે નિષ્ણાંતોનો મત?  

અમીરગઢમાં ઠાકોર અને દરબારના વોટ વધારે છે એટલે કોંગ્રેસને ફાયદો થઈ શકે એમ છે. આમ, વાવથી દાંતા સુધી ગેનીબેન ચાલ્યાં છે.બીજુ કે આ વખતે ગેનીબેન ઠાકોરનો સીધો મુકાબલો કોની સાથે હતો તો નિષ્ણાંતો કહી રહ્યાં છે કે રેખાબેન તો ઉમેદવાર છે એમની સાથે હતો જ પણ  ભાજપના આંતરિક જૂથવાદને બાદ કરતા આ વખતે લડાઈ ખરેખર ગેનીબેન અને શંકર ચૌધરી વચ્ચે છે. વિરોધીઓએ શંકર ચૌધરીને પછડાટ આપવા માટે પણ મતદાન કરાવ્યું છે એવી પણ એક ચર્ચા છે..... અને એટલે કહેવાય છે કે ગેનીબેનની જીતની સંભાવના વધારે છે....  


પીએમ મોદી અને પ્રિયંકા ગાંધીએ કર્યો હતો બનાસકાંઠામાં પ્રચાર

પીએમ મોદી તેમજ પ્રિયંકા ગાંધી દ્વારા બનાસકાંઠામાં પ્રચાર કરવામાં આવ્યો હતો. આ વખતની બનાસકાંઠાની ચૂંટણી રસપ્રદ બની છે. સહકારી ક્ષેત્રમાં શંકર ચૌધરીના આધિપત્યને કારણે ખુદ ભાજપના કેટલાક લોકો પણ નારાજ હતા. એટલે આ વખતે ભાજપ માટે આઘાતજનક પરિણામ આવે એવી શક્યતા જોવા મળી રહી છે...બીજી મહત્ત્વની વાત એ છે કે રેખાબેન નવા છે, સારાં છે, શિક્ષિત છે અને બીજું એ પરિબળ પણ કામ કરે છે કે સળંગ ચોથી વખત મારી જાણ પ્રમાણે ભાજપ તરફથી એક જ સમાજને ટિકિટ આપવામાં આવી છે જેનો રોષ પણ લોકોમાં હતો..... 


ભરૂચ લોકસભા બેઠકની વાત કરીએ તો... 

બનાસકાંઠા પછી વાત બીજી હોટ સીટ એટલે ભરૂચની. દરવખતે ભરૂચ લોકસભા બેઠક પર મુકાબલો એકતરફી જ રહેતો હતો. છેલ્લી 6 લોકસભા ચૂંટણીથી ભાજપના મનસુખ વસાવા અપરાજિત રહ્યા છે. આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકસાથે ચૂંટણી લડ્યા અને ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા એટલે ચર્ચા એવી છે કે મનસુખ વસાવાને આ વખતે ટફ ફાઇટ મળી છે..... ભરુચમાં 11 લાખ 91 હજાર 877 મત પડ્યા એટલે કે 69.16 ટકા મતદાન થયું.. ગત ચૂંટણીમાં મનસુખ વસાવા 3 લાખ 34 હજાર 214 મતની લીડથી જીત્યા હતા.... 



ડેડીયાપાડા અને ઝઘડિયામાં થયું છે વધારે મતદાન 

ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીને ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને વાગરા વિધાનસભા વિસ્તારમાંથી લીડ મળતી હતી. આ વિસ્તારમાં ભાજપની કમિટેડ વોટબેન્ક છે. પણ આ વખતે આ વિસ્તારમાં 5 ટકા ઓછું મતદાન થયું છે. જેની સાપેક્ષમાં ઝઘડિયા અને ડેડીયાપાડામાં ઊંચું મતદાન થયું છે. મતદાનની ટકાવારીમાં જે ફેરફાર આવ્યો તેનાથી ભાજપને નુકસાન થઈ શકે છે. દેડિયાપાડા સહિતના આદિવાસી વિસ્તારમાં ઊંચું મતદાન ચૈતરને ફાયદો કરાવશે. આજથી 20 વર્ષ પહેલાં છોટુ વસાવા આદિવાસીઓના મસીહા તરીકે ઊભરી આવ્યા હતા. 


મનસુખ વસાવાને ફરીથી ભાજપે આપી ટિકીટ 

આ વખતે ચૈતર વસાવાને ભાજપમાં લાવવા માટે પ્રયત્નો થયા અને તેમની ઉપર કેસ થયા એના કારણે ચૈતર વસાવા હીરો બન્યા. બીજી બાજુ સતત 6 ટર્મ મનસુખ વસાવા સાંસદ તરીકે રહ્યાં. એમની સક્રિય ભૂમિકા આદિવાસી વિસ્તારમાં જોવા નથી મળી. મનસુખ વસાવાને ચૂંટણી લડાવવાની ભાજપની ગણતરી નથી એવું કહેવાતું હતું. પરંતુ બિન-અનામત બેઠક ઉપર આદિવાસી સિવાયના વ્યક્તિને ટિકિટ આપશે એવી ચર્ચા હતી. પણ આવી સ્થિતિમાં આદિવાસી પટ્ટી પર ધ્રુવીકરણ થઈ ચૈતર વસાવા તરફી મત પડે એવી સંભાવના હતી. એટલે મનસુખ વસાવાને ટિકિટ મળી. 



ચૈતર વસાવા આમ આદમી પાર્ટી માટે આશા સમાન છે!

સુરતમાં આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકામાં સારી બેઠકો મેળવી પછી જે હાલત થઈ, નેતાઓએ પક્ષપલટો કર્યો પછી ભરૂચ બેઠક AAP માટે આશાના કિરણ સમાન છે. એટલે જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા પણ ભરૂચમાં પ્રચાર માટે આવ્યા હતા. બીજી બાજુ ભાજપનું મોટાભાગનું ધ્યાન રાજકોટ, બનાસકાંઠા અને જામનગર પર હતું. અને  આ બધા સમીકરણોને જોતા ચૈતર વસાવાએ ટફ ફાઈટ તો આપી છે... 


જામનગરમાં પૂનમ માડમ અને જે.પી.મારવિયા વચ્ચે કાંટાની ટક્કર 

જામનગરમાં ભાજપના નેતા પૂનમ માડમ છેલ્લી બે ટર્મથી ચૂંટણી લડે છે અને જીતે પણ છે. પરંતુ આ વખતે ક્ષત્રિય આંદોલનના કારણે તેમની સામે ઘણા પડકારો ઊભા થયા છે. સામે કોંગ્રેસે પાટીદાર નેતા જે.પી.મારવિયાને ચૂંટણી લડાવી. જામનગરમાં 10 લાખ 48 હજાર 410 મત પડ્યા એટલે કે 57.67 ટકા મતદાન થયું... ગત ચૂંટણીમાં ભાજપના પૂનમબેન માડમ 2 લાખ 36 હજાર 804 મતની લીડથી જીત્યા હતા.... પૂનમ માડમ બે ટર્મથી સતત ચૂંટાતા આવે છે. કોઈ જોખમ લેવાની ભાજપની ગણતરી નહોતી. એટલે તેમને રિપિટ કર્યા. શરૂઆતમાં તો પાંચ લાખની લીડની વાત હતી અને પૂનમ માડમને ટિકિટ આપે તો OBC સમાજ પણ સચવાઈ જાય. પણ સામે કોંગ્રેસે પાટીદાર કાર્ડ ખેલ્યું છે. એટલે એક તરફ આહીર અને બીજી તરફ પાટીદાર ઉમેદવાર છે. 



ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યો જામનગરમાં વિરોધ

આ વખતે મોટી જ્ઞાતિ વર્સિસ અન્ય જ્ઞાતિની ચૂંટણી થઈ ગઈ હોય એમ લાગે છે.જામનગરમાં બેઠક પર ટફ ફાઈટ એટલા માટે લાગી રહી છે કેમ કે, આ વખતે ક્ષત્રિય આંદોલનની ખાસ્સી એવી અસર ત્યાં હતી... બીજુ બાજુ કોંગ્રેસે પાટીદાર ચહેરાને ટિકિટ આપી.... પૂનમબેન માડમે છેલ્લી ઘડીએ ડેમેજ કંટ્રોલ માટે ભાજપની થિન્ક ટેન્કને કામે લગાડી, ભાજપના અને સંઘના જૂના કાર્યકરો મેદાનમાં ઉતર્યા હતા..... પણ આ વખતે ધર્મેન્દ્રસિંહ ઉર્ફ હકુભા જાડેજાએ પૂનમબેનના વિરુદ્ધમાં મતદાન કરાવ્યું હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.... જો આ વાત સાચી હોય તો ઘણી અસર પરિણામ પર પડી શકે.... 


ભાજપે મિતેશ પટેલને રિપીટ કર્યા તો અમિત ચાવડાને ઈન્ડિયા ગઠબંધનને બનાવ્યા ઉમેદવાર 

આણંદમાં છેલ્લી બે ટર્મથી ભાજપની જીત થતી રહી છે. પરંતુ આ વખતે ભાજપે મિતેશ પટેલને રિપિટ કર્યા તો સામે કોંગ્રેસે અમિત ચાવડાને ટિકીટ આપીને ચૂંટણીનું ગણિત ફેરવી દીધું.... આણંદમાં 11 લાખ 57 હજાર 763 મત પડ્યા... એટલે 65.04 ટકા મતદાન થયું... ગત ચૂંટણીમાં 1 લાખ 97 હજાર 718 મતની લીડથી ભાજપના મિતેશ પટેલે જીત મેળવી હતી... આણંદમાં આ વખતે ટફ ફાઈટ લાગી રહી છે અને બીજી વાત કોંગ્રેસ મજબૂત લાગી રહી છે એનું કારણ એ છે કે ક્ષત્રિયોનું આંદોલન અને શહેરી વિસ્તારમાં થયેલું ઓછું મતદાન. 



ભાજપના નેતાઓમાં હતી ઉમેદવારોને લઈ નારાજગી!

પહેલું ફેક્ટર અમિત ચાવડાનો પોતાનો સાલસ સ્વભાવ, બીજું ફેક્ટર ક્ષત્રિય આંદોલને ભજવેલી ભૂમિકા અને ત્રીજું મોટામાં મોટું ફેક્ટર મિતેશ પટેલ પ્રત્યેની નારાજગીના કારણે ભાજપમાં થોડી આંતરિક જૂથબંધી પણ કામ કરી ગઇ હોય જેની અસર શહેરમાં થઈ હોય એવી શક્યતા છે... ભાજપે અહીં છેક છેલ્લી ઘડી સુધી ક્ષત્રિય સમાજને મનાવવાના પુરા પ્રયત્નો કર્યા હતા, લઘુમતી સમાજ ઉપર પણ પોતાનું વર્ચસ્વ જમાવવાના પ્રયત્નો કર્યા હતા. કોંગ્રેસે પણ પોતાના અને કાંઠાગાળાના વિસ્તારોમાં એમના જે મતદારો છે એને સાચવવાના પ્રયાસો કર્યા હતા... 


આણંદમાં પણ ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર 

આણંદમાં જે રીતે ગામડાઓમાં ભાજપના કાર્યકરોને આવવા નહોતા દેવાયા તેની અસર 100 ટકા પડશે. એમાં પણ ઉમરેઠ, ખંભાત, બોરસદમાં ક્ષત્રિયોએ જાકારો આપ્યો અને આણંદ શહેરમાં, બાકરોલમાં પણ વિરોધ હતો.... પેટલાદમાં પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય નિરંજન પટેલ ભાજપમાં જોડાયા એનો લાભ ભાજપને મળ્યો. સોજિત્રામાં વિપુલ પટેલની પોતાની આગવી ઓળખ છે. આણંદમાં યોગેશ પટેલની પોતાની આગવી ઓળખ છે. એટલે આ ફેક્ટર ભાજપ માટે મહત્વના રહ્યાં. આણંદમાં કાંટાની ટક્કર છે.....મહત્વનું છે કે આ તો બેઠકોની વાત, ઉમેદવારોની વાત.. કઈ બેઠક પર કોની જીત થાય છે તેનો ખ્યાલ તો ચોથી જૂને આવશે..  



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.