જૂનાગઢમાં ઓઝત નદીમાં ત્રણ યુવકોને બચાવવા જતા આર્મી જવાન થયા શહિદ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-10-24 20:30:36

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું. 

Image

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામ નજીકથી પસાર થતી ઓઝત નદીમાં ત્રણ યુવકોનો જીવ બચાવવા જતા એક આર્મી જવાને પોતાનો જીવ ગુમાવ્યો હોવાની કરુણ ઘટના સામે આવી છે.  ટીકર ગામના વતની આર્મી જવાન ભરતભાઈ ભેટારીયા હાલ રજા પર પોતાના વતન આવ્યા હતા, ત્યારે આ દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે, જયારે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું.  આર્મી જવાન ભરતભાઈ ભેટારીયા છેલ્લા 15 વર્ષથી ભારતીય સેનામાં 20 મહાર બટાલિયનમાં ફરજ બજાવતા હતા અને હાલ તેઓ હવાલદાર તરીકે લેહ લદાખમાં તૈનાત હતા. જોકે હાલ દિવાળીના તહેવારમાં તેઓ પણ પોતાના પરિવારજનો સાથે તહેવાર ઉજવવા વતન આવ્યા હતા , ત્યારે આ દુર્ઘટનામાં તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આર્મી જવાન ભરતભાઈ ભેટારીયા બે દિવસ પહેલા ઓઝત નદી પાસે મિત્રો સાથે ફરવા ગયા હતા, જ્યાં ત્રણ યુવકોને ડૂબતા જોઈને ભરતભાઈ તેઓને બચાવવા પાણીમાં કૂદી પડ્યા હતા. જ્યાં આર્મી જવાન ભરતભાઈએ ત્રણ યુવકોનો જીવ તો બચાવી લીધો, પરંતુ પોતે જ જીવ ગુમાવી અને દુનિયા છોડીને ચાલ્યા ગયા છે, ત્યારે લશ્કરી સન્માન સાથે તેમની અંતિમ વિદાય નીકળતા આખું ગામ હિબકે ચડ્યું છે. આર્મી જવાન ભરતભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે

Image

જવાન ભરતભાઈની અંતિમ યાત્રામાં આખું ગામ ઉમટી પડ્યું હતું. આર્મી બટાલિયનના જવાનો, નિવૃત્ત સૈનિકો અને સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા.  ભારતીય સેનાના જવાનો ફરજ ઉપર હોય કે રજા ઉપર, પોતાના જીવની પરવા કર્યા વગર ફરજ બજાવતા હોય છે.






મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.