Loksabha Election : ભરૂચ બેઠક પર જામશે ત્રિકોણીયો જંગ, છોટુ વસાવાએ જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોના નામની કરાઈ જાહેરાત?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-09 15:58:53

ભરુચ લોકસભા બેઠકની ચર્ચા અનેક વખત થતી હોય છે. મનસુખ વસાવા તેમજ ચૈતર વસાવા દ્વારા આપવામાં આવતા નિવેદનોને કારણે આ બેઠક ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે આ વખતે આ બેઠક પર અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર ત્રિ-પાંખીયો જંગ જોવા મળશે. આ બેઠક પર છોટુ વસાવાએ ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી દીધી છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા એકબીજા પર આક્ષેપ- પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. આ વચ્ચે છોટુ વસાવાની એન્ટ્રી થઈ છે.. અને તેમણે પોતાની પાર્ટી ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવારની જાહેરાત પણ કરી દીધી છે. દિલીપ વસાવા ભરુચ લોકસભા બેઠક પરથી તેમના ઉમેદવાર હશે તેવી જાહેરાત છોટુ વસાવા દ્વારા કરવામાં આવી છે.  

આમ આદમી પાર્ટી અને ભાજપે આમને ઉતાર્યા છે ચૂંટણી મેદાનમાં 

કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની 26 લોકસભા બેઠક માટે ગઠબંધન કરવામાં આવ્યું છે. બે બેઠકો પર આપ પોતાના ઉમેદવાર ઉતારશે જ્યારે 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે. ભરૂચ  લોકસભા બેઠક પર ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ભાજપે મનસુખ વસાવાને ફરી એક વખત ટિકીટ આપી છે. ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે. ચૂંટણીઓને લઇને રાજ્યમાં ભાજપ અને ગઠબંધનની કોંગ્રેસ-આમ આદમી પાર્ટી પોતાની જીત માટે પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. આ ચૂંટણીમાં ભરુચ બેઠક ચર્ચામાં છે કારણ કે અહીં ભાજપે સતત છ ટર્મ સુધી સિંટિંગ સાંસદ મનસુખ વસાવાને રિપિટ કર્યા છે. જેમને હરાવવા માટે ઇન્ડિયા ગઠબંધનની આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા છે. 


છોટુ વસાવાએ દિલીપ વસાવાના નામની કરી ઉમેદવાર તરીકે જાહેરાત  

આ વચ્ચે હવે 35 વર્ષ સુધી ઝઘડિયામાં એક હથ્થુ શાસન ચલાવનાર પૂર્વ ધારાસભ્ય અને પીઢ આદિવાસી નેતા છોટુ વસાવા તેમના નાના પુત્ર દિલીપ વસાવાની 'BAP'(ભારતીય આદિવાસી પાર્ટી)માં સંયોજક તરીકે જોડાયા છે... એવામાં આજે તેમણે જાહેરાત કરી છે કે, દિલીપ વસાવા ભરુચ લોકસભા બેઠક પરથી તેમના ઉમેદવાર હશે... જેના કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે... વર્ષ 2023માં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવાએ આદિવાસી નેતાઓ સાથે મળીને ભારતીય આદિવાસી પાર્ટી (BAP)ની સ્થાપના કરી હતી અને ખરેખર આ પાર્ટી તે ચૂંટણીઓમાં બાપ સાબિત થઈ હતી. કેમ કે તેણે રાજસ્થાનમાં ત્રણ અને મધ્યપ્રદેશમાં એક સીટ જીતી હતી. આ પાર્ટી હવે ગુજરાતમાં સક્રિય થઇ છે....


મહેશ વસાવાએ પરત ખેંચી હતી ઉમેદવારી

એટલે સમીકરણો બદલી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.... ઝઘડીયા વિધાનસભાની બેઠક પર આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુ વસાવાએ 35 વર્ષ સુધી એક હથ્થું શાસન કર્યું હતું, પરંતુ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં BTP પાર્ટીના અધ્યક્ષ અને તેમના પુત્ર મહેશ વસાવાએ છોટુ વાસવાને ટિકિટ ન આપતાં તેઓ અપક્ષમાંથી લડ્યા હતા. જો કે, ભાજપના રિતેશ વસાવા સામે છોટુ વસાવાની હાર થઇ હતી અને ત્યાંથી પિતા અને પુત્ર વચ્ચે મતભેદ ઉભા થયા હતા. છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા BTP પાર્ટીના અધ્યક્ષ હતા. જેઓ એક ટર્મ ડેડિયાપાડાના ધારાસભ્ય રહ્યા હતા. ત્યારબાદ તેઓએ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પિતાને ટિકિટ ન આપી ઝઘડીયા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોધાવી હતી, પરતું પિતાએ અપક્ષમાંથી દાવેદારી કરતા મહેશ વસાવાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. 


મહેશ વસાવા થોડા સમય પહેલા ભાજપમાં જોડાયા

મહેશ વસાવાએ થોડા દિવસો પહેલાં જ ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે..... એક વાત તો ચોક્કસ છે કે, છોટુ વસાવાની લોકસભા ચૂંટણીમાં એન્ટ્રીથી આદિવાસી મત વિભાજીત થવાની શક્યતાઓ વધી છે. આદિવાસી વિસ્તારમાં મનસુખ વસાવા, ચૈતર વસાવા અને છોટુ વસાવા જેવા દિગ્ગજ નેતાઓ પોતાની કમિટેડ વોટ બેન્કને જો જાળવી રાખે તો ભરૂચ લોકસભા બેઠકનું પરિણામ પણ રસપ્રદ બનશે તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.... 



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..