બિપોરજોય ખતરનાક ચક્રવાતમાં ફેરવાયું, દ્વારકાથી 580 કિ.મી. દુર, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે યેલો એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-06-11 11:43:11

વિનાસકારી ચક્રવાત બિપરજોયનો ખતરો હજું યથાવત છે, બિપરજોય વાવાઝોડાનેએ દિશા બદલી ગુજરાત તરફ ફંટાયું છે. આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગના સવારના નવ વાગ્યાનો ગ્રાફ ચિંતાજનક છે. વાવાઝોડાનો અનસર્ટેનિટી કોનનો ટ્રેક ગુજરાત માટે ચિંતાજનક છે. IMDની વેબસાઈટ મુજબ વાવાઝોડું માંડવીથી પણ પસાર થઈ શકે છે. વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાંચીની વચ્ચેથી પસાર થાય તેવી આશા  છે.


હવામાન વિભાગે શું આગાહી કરી? 


હવામાન વિભાગ (IMD) સતત બિપોરજોય વાવાઝોડું પર નજર રાખી રહ્યું છે કે તે ગુજરાત પર ત્રાટકશે કે નહીં. હાલની સ્થિતિ પ્રમાણે આ અતિ વિનાશક બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 530 કિ.મી. દૂર કેન્દ્રિત છે જ્યારે દ્વારકાથી 580 કિ.મી. દૂર છે. ગુજરાતના દરિયા કાંઠે આ વાવાઝોડાની અસર કેવી થશે તે આજે 11 જૂનના રોજ સ્પષ્ટ થઇ શકે તેમ છે. 11 જૂનથી 14 જૂન દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 50થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં વિનાશક બિપોરજોય વાવાઝોડું છેલ્લા 6 કલાક દરમિયાન 5 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધ્યું છે. 10મી જૂન, 2023ના રોજ રાત્રે 11.30 કલાકની સ્થિતિ પ્રમાણે તેનું કેન્દ્ર અક્ષાંશ 17.4°N અને રેખાંશ 67.3°E નજીક હતું.


અંબાલાલ પટેલે શું કહ્યું?


બિપરજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, બિપરજોય વાવાઝોડાની અસર મધ્ય ગુજરાત સુધી વર્તાશે. મધ્ય ગુજરાતમાં માધ્યમથી ભારે વરસાદ આવવાની શક્યતા છે. અમદાવાદ, વડોદરા, બોડેલી, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારોમાં 12 થી 16 જૂન વચ્ચે ભારે પવન અને ભારે વરસાદની શક્યતા છે. પોરબંદર, ઓખા બંદર પર પવન ની ગતિ 100km સુધી રહેવાની શક્યતા છે. ભારે આંધી અને વાવાઝોડા સાથે વરસાદ આવવાની શક્યતા છે.


વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ


બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા કચ્છ જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ પગલાં લેવામાં આવી રહ્યા છે. આવા સંજોગોને ધ્યાને લેતા જિલ્લાના તમામ અધિકારી-કર્મચારીઓને આગામી તારીખ 15 જૂન સુધી કલેક્ટર કચ્છની પરવાનગી વિના હેડક્વાર્ટર ન છોડવા જણાવવામાં આવ્યું છે. આવું ન કરનાર સંબંધિત અધિકારી-કર્મચારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


માછીમારોને ચેતવણી


'બિપરજોય' ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના વચ્ચે ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત, દમણ અને દીવના દરિયાકાંઠે આવેલા માછીમારો અને ખલાસીઓને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. છેલ્લા એક સપ્તાહથી ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીઓ માછીમારો સાથે નિયમિત સંપર્ક જાળવી રહ્યા છે અને તોફાન અંગે સાવચેત કરી રહ્યાં છે.


રાજ્યમાં ક્યાં પડશે વરસાદ?


ગુજરાતમાં વાવાઝોડાની અસરના કારણએ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે. જેમાં અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, પોરબંદર, દ્વારકા, ઓખા, નલિયા, માંડવી, વલસાડ, નવસારી, સુરત સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થવાનો અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.