કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલના આરોપ બાદ અંતે જાગ્યું અંબાજી મંદિર ટ્રસ્ટ, મંદિરના ગર્ભગૃહમાં VIP દર્શન બંધ કર્યા


  • Published By :
  • Published Date : 2023-09-08 19:19:29

ગુજરાતના સુપ્રસિદ્ધિ યાત્રાધામ અને સૌથી મોટા શક્તિપીઠ અંબાજી VIP દર્શનને લઈ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે  અંબાજી વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. અંબાજીમાં VIP દર્શન થતા હોવાનો આક્ષેપ થતાં ચકચાર મચી ગઈ હતી. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે રૂ.5 હજાર લઈ VIP દર્શનના આક્ષેપ કર્યા હતા. હેમાંગ રાવલે VIP દર્શનને લઈને આરોપ લગાવતા એક વીડિયો જાહેર કર્યો હતો, જે બાદ વહીવટીતંત્ર દોડતું થયું હતું. એક્શન મોડમાં આવેલા અંબાજી મંદિર ટ્રસ્ટે તાત્કાલિક પગલા ભરતા મંદિરમાં દાન રૂપે પાવતી લઈ થતા VIP દર્શન બંધ કરાવ્યા છે. 


હેમાંગ રાવલે શું આરોપ લગાવ્યા હતા?


યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ VIP દર્શન થતા હોવાનું કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપ કર્યો હતો જેને લઈને વિવાદ સામે આવતા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મીડિયાને માહિતી અપાઈ હતી. અંબાજીની મુલાકાતે હેમાંગ રાવલ આવ્યા હતા અને આરોપ લગાવ્યા હતા. અંબાજી મંદિરના શક્તિદ્વાર પાસે વીઆઈપી પ્લાઝા આવેલું છે જેમાં ભક્તો દાન આપે તો તેને પ્રવેશ પાસ અપાય છે. અંબાજી મંદિરમાં VIP દર્શન માટે 5 હજાર રૂપિયા લેવાતા હોવાનો કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપ કર્યા હતા. અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં દર્શન કરવા હોય તો 5 હજાર રૂપિયા ચૂકવવા પડે છે તેમ તેમણે જણાવ્યું હતું. આ મામલે અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્માએ મીડિયાને માહિતી આપીને કોંગ્રેસના આ આક્ષેપો ફગાવ્યા હતા.


શું કહ્યું હતું અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્માએ?


અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિ વર્માએ જણાવ્યું હતું કે, આ બે-ત્રણ દિવસથી અંબાજી મંદિરમાં VIP દર્શન માટે દાન સ્વરૂપે પૈસા સ્વીકારતા હોય એવી વાત જે છે એ મીડિયા સર્કલમાં ચાલી રહી છે. આ બાબતે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું હતું કે "મંદિર તંત્ર તરીકે અમે સંપૂર્ણ રીતે આનું ખંડન કરીએ છીએ. મંદિરમાં બધાને લોકતાંત્રિક રીતે દર્શન કરવાનો સમાન અવસર મળે છે. આજ સુધી કોઈપણ નીતિ નિયમમાં કોઈ પણ ચાર્જ લઈને અહીંયા દર્શનની વ્યવસ્થાઓ ઊભી કરવામાં નથી આવી. અંબાજી મંદિરના શક્તિદ્વાર પાસે VIP પ્લાઝા છે ત્યાં પણ મંદિર તંત્રનો સ્ટાફ નિયમિત રૂપે બેસે છે અને ત્યાં યાત્રીકો સ્વેચ્છાથી જે પણ નાની મોટી રકમ લખાવવા માંગે છે ભેટ સ્વરૂપે લખાવીને દર્શન કરાવીએ છીએ. પણ જે 5000ની રકમનો અત્યારે ઉલ્લેખ ચાલી રહ્યો છે કે એને લઈને દર્શન કરવામાં આવે છે એ વાત બિલકુલ તથ્યહીન છે. આ વાતને લઇ અમે સંપૂર્ણ રીતે તેનું ખંડન કરીયે છીએ. આ ઉપરાંત આવનાર સમયમાં આ પ્રકારના કોઈ નિર્ણય લેવામાં આવશે અથવા તો બનાવવામાં આવશે તો એને યાત્રિકોની વિનંતીના આધારે જ કરવામાં આવશે."


અગાઉ મોહનથાળનો વિવાદ સામે આવ્યો હતો


અંબાજી મંદિર ખાતે અગાઉ મોહનથાળ નો વિવાદ આવ્યો હતો જેમા અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા વિવાદ સર્જાયો હતો. જેને લઈને ધાર્મિક સંસ્થાઓ અને લોકોએ આંદોલન કરવું પડ્યું હતું. જે બાદ કેટલીક સંસ્થાઓ અને ભક્તોએ તંત્ર સામે આંદોલન કરવું પડ્યું હતું.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.