દિવાળીનો તહેવાર GSRTCને ફળ્યો, એસ.ટી નિગમે રૂ. 7 કરોડથી વધુની કરી કમાણી


  • Published By :
  • Published Date : 2023-11-16 21:34:12

રાજ્યમાં તહેવારોની સીઝન પુરી થઈ છે, મોટી સંખ્યામાં લોકોએ દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી કરવા માટે વતન તરફ પ્રયાણ કર્યું હતું. આ તહેવારો ગુજરાત એસટી નિગમને ફળ્યો હતો. દિવાળીના તહેવારોને લઇને એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના કારણે એસટી વિભાગને દિવાળીના તહેવારોમાં એકસ્ટ્રા બસોના સંચાલનથી સાત કરોડ રૂપિયાથી વધુની આવક થઇ હતી. રાજ્યમાં સૌ વધુ કમાણી સુરત ડેપોએ કરી હતી.દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત એસટી વિભાગ તરફથી ઝાલોદ, દાહોદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ દોડાવાયેલી સ્પેશિયલ બસો દોડાવવામાં આવી હતી જેના કારણે સુરત એસટીની તિજોરી છલકાઇ ગઇ હતી.


સુરત એસટી ડિવીઝનને 3.42 કરોડ રૂપિયાની આવક


દિવાળી પહેલાના પાંચ દિવસમાં સુરત એસટીએ 1 હજાર 737 ટ્રીપ દોડાવી 97 હજાર મુસાફરોને પોતાના વતન પહોંચાડ્યા હતા. જેથી સુરત એસટી ડિવીઝનને અધધધ 3.42 કરોડ રૂપિયાની આવક થઈ હતી. સુરત એસટીના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી આવક થઈ છે. આ પાંચ દિવસમાં સુરત એસટીની 1737 બસે અંદાજિત 6 લાખ 74 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું.  દિવાળી દરમિયાન સુરત એસટી ડિવિઝને સૌથી વધુ 68 ટ્રીપ ઝાલોદ અને 21 ટ્રીપ અમરેલી તરફ દોડાવી હતી. દિવાળી સમયે ખાનગી બસના સંચાલકો બમણું ભાડું કરી દેતા હોવાથી લોકોએ સરકારી બસમાં જવાનો સારો વિકલ્પ મળ્યો હતો. જેના કારણે મોટી સંખ્યામાં લોકો એડવાન્સમાં ગ્રુપ બુકિંગ કરાવી રહ્યા છે જેથી એસટી વિભાગને કરોડોની આવક થઇ છે. આ વર્ષે સુરત એસટીના ઈતિહાસમાં પહેલી વખત આટલી મોટી આવક થઈ છે


ઓનલાઇન બુકિંગ એક લાખને પાર


ગુજરાત એસટી નિગમે રોકડમાં ટિકિટ વેચાણમાં જ નહીં ઓનલાઈન ટીકીટ બુકિંગમાં પણ નવો રેકોર્ડ સર્જ્યો હતો. 7 અને 15 નવેમ્બરે 1 લાખથી વધારે ટિકિટનું એડવાન્સ ઓનલાઈન બુકિંગ થયું હતું. સામાન્ય દિવસોમાં 50 હજારથી 60 હજાર ટિકિટ બુક થતી હોય છે પરંતુ આ બંને દિવસ દરમિયાન ઓનલાઇન બુકિંગનો આંકડો એક લાખથી વધારે પહોંચ્યો હતો. દેશભરના પરિવહન સેવાની બસોમાં પ્રવાસ માટે એક જ દિવસમાં સૌથી વધારે ટિકિટ બુકિંગ બાબતે પણ રેકોર્ડ બન્યો હતો. 7 અને 15 નવેમ્બરના રોજ 1 લાખથી વધારે એડવાન્સ ઓનલાઈન બુકિંગ થયું હતું. 7 નવેમ્બરે 1 લાખ 184 ટિકિટ બુક થઈ જ્યારે 15 નવેમ્બરે 1 લાખ 21 હજાર 329 ટિકિટ બુક થઇ હતી જ્યારે દિવાળીના દિવસોમાં એક્સ્ટ્રા સંચાલનમાં પણ એસટી નિગમને 7 કરોડથી વધુની આવક થઈ હતી.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.