ગુજરાત રાજ્યમાં ચૂંટણીનો માહોલ જોરદાર રીતે જામ્યો છે. તેમાં પણ આવતા મહિને જૂનના ત્રીજા સપ્તાહમાં જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર પેટાચૂંટણી છે. જેમાં હવે સત્તાધારી ભાજપે જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાડ્યું છે. ભાજપે પોતાના કોળી સમાજના આગેવાનો કુંવરજીભાઈ બાવળિયા અને હીરા સોલંકીને આ બેઠક જીતવા માટે જવાબદારી સોંપી છે. વિસાવદરમાં લોકતાંત્રિક પાણીપતનો જોરદાર જંગ જામવા જઈ રહ્યો છે .
જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર પેટાચૂંટણી જાહેર થઇ ચુકી છે. ૧૯મી જૂનના રોજ વિસાવદરની બેઠક પર મતદાન યોજાશે જયારે ૨૩મી જૂનના રોજ તેના પરિણામ આવશે. આ માટે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. ભાજપે આ માટે તેના બે કોળી સમાજના આગેવાનો કુંવરજી બાવળીયા અને હીરા સોલંકીને જવાબદારી સોંપી છે . આ સાથે જ બે મંત્રીઓ જગદીશ પંચાલ અને રાઘવજી પટેલને પણ જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ અહીં ચૂંટણી જીતવા માટે કોઈ પણ કસર છોડવા માંગતું નથી . એવી પણ સંભાવના છે કે , ભાજપ અહીં પાટીદાર સમાજના આગેવાનને મેદાનમાં ઉતારી શકે છે. આ માટે થોડાક સમય પેહલા જ ભાજપના નિરીક્ષકો ગૌતમ ગેડીયા , મોહન કુંડારીયા અને અમી પારેખએ સેન્સ પ્રક્રિયા પુરી કરી છે.
જૂનાગઢની વિસાવદર બેઠક એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે કેમ કે , ભાજપને ૨૦૦૭ પછી સફળતા હાંસલ નથી થઇ. એક સમયે આ બેઠક પરથી ભાજપના કદાવર નેતા કેશુભાઈ પટેલ ચૂંટાતા હતા . ૨૦૧૪ની પેટાચૂંટણીમાં હર્ષદ રિબડીયાની જીત થઈ હતી આ પછી ૨૦૧૭માં પણ તેઓ કોંગ્રેસમાંથી ચૂંટાયા અને ૨૦૨૨માં આમ આદમી પાર્ટીમાંથી ભુપત ભાયાણી અહીંથી ચૂંટાયા છે. આ માટે સરકારે હવે ત્રણ મંત્રીઓને કામગીરી સોંપી છે જગદીશ પંચાલ , કુંવરજી બાવળીયા અને રાઘવજી પટેલ . આ ઉપરાંત ધારાસભ્ય હીરા સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે. હવે સમજીએ કે વિસાવદરમાં જ્ઞાતિ સમીકરણ કઈ રીતે છે. અંદાજે ૫૦૦૦૦ જેટલા પાટીદાર સમાજના મત છે , બીજા નંબરે કોળી સમાજના મત છે ત્યારબાદ નાની નાની જ્ઞાતિઓ આવે છે. એટલે તમે કોળી સમાજના મતનું મહત્વ સમજી શકો છો. આજે સાંજે ૬ વાગ્યે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ભાજપ સંસદીય દળની બેઠક મળવા જઈ રહી છે જેમાં વિસાવદર માટે ઉમેદવાર નક્કી થશે . આ માટે ભાજપમાંથી કિરીટ પટેલનું નામ આગળ ચાલી રહ્યું છે. વાત કરીએ આમ આદમી પાર્ટીની તો , તેણે ગોપાલ ઇટાલિયાને પેહલાથી જ ઉમેદવાર જાહેર કરી દીધા છે, તેઓ ૩૧મી તારીખના રોજ અરવિંદ કેજરીવાલ અને ભગવન્ત માનની હાજરીમાં ઉમેદવારી પત્ર ભરી શકે છે.