આવતીકાલે ૧૦મી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ છે. ગુજરાત સમગ્ર એશિયામાં એક એવું રાજ્ય છે જ્યાં એશિયાટિક સિંહ જોવા મળે છે. સિંહ ના માત્ર પ્રકૃતિએ આપેલી ભેટ છે પરંતુ પ્રકૃતિએ આપણને સોંપેલી જવાબદારી છે. ત્યારે , રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા સિંહને લઇને એક આર્ટિકલ લખવામાં આવ્યો છે. જેમાં તેમણે ગીર અને સિંહ સાથેના ચાર દાયકાના સબંધો પર પ્રકાશ પાડ્યો છે.

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા લખવામાં આવ્યું છે કે,
- ગિર અને સિંહો સાથેનો મારો નાતો ચાર દાયકાથી પણ જૂનો છે. ગિર અને સિંહો મારી સમગ્ર ચેતનામાં વણાઈ ગયાં છે. મારી નસોમાં ફરી રહ્યાં છે અને હ્રદયમાં ધબકી રહ્યાં છે. ગિર તથા સિંહોને મેં અસંખ્ય વાર જોયા છે, માણ્યા છે. દરેક ઋતુમાં મેં ગિરની છટા જોઇ છે- વહેલી સવારે, ભર બપોરે, સમી સાંજે. સમગ્ર ગિર ઇકો સિસ્ટમનો જાણે હું એક અભિન્ન હિસ્સો બની ગયો છું. જેટલી વાર જાઉં તેટલી વાર નવી તાજગી, નવી ઊર્જા અનુભવું છું. જઇને પાછો આવું ત્યાં તો ફરી જવાની તાલાવેલી થાય છે. ગિર જાણે મારી રાહ જોઇ રહ્યું હોય, મને બોલાવતું હોય તેવું લાગ્યા કરતું હોય છે. એટલે તો મેં ગિર વિષેની મારી એક કૉફી ટેબલ બુકનું નામ “કૉલ ઑફ ધ ગિર” રાખ્યું નહિ હોયને! ગિર અને સિંહો વિષે મારા મનોજગતના ભાવો અને અનભૂતિનું વર્ણન કરવા શબ્દો જાણે ઓછા પડતા હોય તેમ લાગે છે. પહેલી વાર લગભગ 1987માં સાસણમાં જ્યારે મેં પગ મૂક્યો હતો, ત્યારે એશિયાઈ સિંહોની સંખ્યા 200ની આસપાસ હતી. તે સમયે સાસણ અને ગિરનાં અન્ય ગામડાં જંગલનો જ એક ભાગ હોય એવું લાગતું હતું. નાનાં, રળિયામણાં અને પરમ શાંતિનો અનુભવ કરાવનાર ગામો હતાં. દરેક સિંહનું દર્શન આહલાદક લાગતું હતું. દરેક સિંહબાળ નવી આશા જન્માવતું હતું.

આજે જ્યારે બૃહદ ગિરના વિશાળ ભૂ-ભાગમાં સિંહો વિચરતા થયા છે, ત્યારે ગર્વની સાથે સંતોષની લાગણી થાય છે. 891 એ કોઈ નાની સંખ્યા નથી. માત્ર ભારતમાં જ નહિ પણ વૈશ્વિક ધોરણે પણ વન્યજીવ સંરક્ષણની આ સૌથી સફળ ગૌરવ ગાથા છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને સતત તથા સક્રિય માર્ગદર્શનનું આ પરિણામ છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. અલબત્ત, એટલો જ શ્રેય વનવિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સિંહ પ્રેમી નિષ્ણાતો, પશુચિકિત્સકો, સ્થાનિક ગ્રામજનો અને સમાજનાં વિવિધ ક્ષેત્રોમાંથી આવતા અનેક નિષ્ઠાવાન લોકોની અથાગ કામગીરીને ફાળે પણ જાય છે. ગિર અને સિંહના વર્તમાન અને ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે ગુજરાત વન વિભાગના મોટા અધિકારીઓથી લઇને જેને ફ્રન્ટ લાઇન સોલ્જર કહી શકાય તેવા ગાર્ડ્સ અને ટ્રેકર્સ સહિત વ્યાપક ગિર અને સિંહ પ્રેમીઓ તથા સ્થાનિક લોકોની નિષ્ઠાનો હું વર્ષોથી સાક્ષી રહ્યો છું. ગિર અને સિંહોની મુશ્કેલીઓના નિવારણ માટે આ સૌ કર્મવીરોની સાથે મેં પણ વ્યક્તિગત રીતે તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ વડા તરીકે પહેલ કરી છે. ખુલ્લા કૂવાઓમાં અને રેલવે ટ્રેક પર અકસ્માતે સિંહ ઇજાગ્રસ્ત ન થાય કે મૃત્યુ ન પામે તેવી સઘન કાળજી રાખવાનાં પગલાં લેવામાં વિનમ્ર પ્રદાન આપ્યું છે. 2828 જેટલા ખુલ્લા કૂવાઓ પર પેરાપેટ કઠેડા બાંધાવી દીધા છે. સિંહો રેલવે લાઇન પર ન ચડી જાય તે માટે તેમની અવર-જવરના અનેક માર્ગો પર જાળીદાર ફેન્સિંગ કરવાની તથા ટ્રેનોની ગતિ નિયંત્રિત કરવા અંગેનાં પગલાં લેવાય તે માટે મેં સતત પ્રયત્નશીલ રહી સક્રિયતા દાખવી છે.
આવાં કાર્યોમાં સહભાગી બનવાની મને તક સાંપડી તેનો મને આનંદ છે. ગિર અને સિંહોના પ્રશ્નો વખતોવખત સંસદ સહિત વિવિધ સરકારી, બિનસરકારી મંચો પર ઊઠાવ્યા છે. બેબિઓસિસ્ કે કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ ગ્રસ્ત સિંહોની સારવાર તથા આ વાઇરસ ન પ્રસરે તે માટે અમારા વનતારાના નિષ્ણાતોને તાબડતોબ તેડાવી તેમની મદદ લીધી છે. સિંહોની આંતરિક વર્ચસ્વની ઘાતક લડાઇમાં ઘવાયેલા સિંહ દ્વય જય-વીરુને બચાવવા પણ આ રીતે ભરપૂર પ્રયાસો કર્યા હતા. જો કે સિંહોની આ દંતકથારૂપ જોડીને નહિ બચાવી શકવાનો વસવસો મને જીવનપર્યંત રહેવાનો. હાલમાં સિંહની વસ્તી ધરાવતા વિસ્તારોમાં નાના મોટા ઘણા રિસોર્ટ / હોમ સ્ટે ખૂલી ગયા છે અને જેના લીધે ધ્વનિ અને પ્રકાશનું પ્રદૂષણ ખુબજ વધી ગયું છે જે સિંહ અને વન્ય જીવો માટે નુકશાન કર્તા છે. મે તે રોકવા માટે સરકાર શ્રીને અપીલ કરી છે અને આગળ પણ કરતો રહીશ. જો કે આજનું ગિર ચાર દાયકા પહેલાંના ગિરથી ઘણું અલગ છે. સિંહોએ બદલાતી પરિસ્થિતિને સ્વીકારી છે, પરંતુ તેમની આસપાસનું પર્યાવરણ તેનાથી પણ વધુ ઝડપે બદલાઈ રહ્યું છે. આજે વધુને વધુ સિંહો અભયારણ્યની બહારના નાનાં-નાનાં આરક્ષિત જંગલોના ટુકડાઓમાં, ગાંડાબાવળની કાંટમાં, માનવ વસાહતોની નજીક આવેલાં નદી-નાળાંની ઝાડીઓમાં તેમજ ખેતી અને ઔદ્યોગિક વિસ્તારોમાં વિચરણ કરે છે. આ તેમની અદ્ભુત અનુકૂલન ક્ષમતાનું પ્રતીક છે, તાજેતરમાં જ આપણે જોયું કે સિંહોએ જાતે જ બરડાને પોતાના બીજા રહેઠાણ તરીકે પસંદ કર્યું છે. સિંહોને સુરક્ષિત વન્યજીવ કોરિડોર, પૂરતો કુદરતી શિકાર, માનવ પજવણીથી મુક્ત જીવન અને લાંબા ગાળે ટકી રહે તેવા પરસ્પર જોડાયેલા કુદરતી આવાસોની જરૂર છે. આ ચાર દાયકાઓ દરમ્યાન ગિર અને સિંહો સાથેના મારા ભાવનાત્મક જોડાણ અને લગાવમાં ઉત્તરોત્તર વધારો જ થતો ગયો છે. ગિર અને સિંહ એક-બીજાનાં પૂરક છે. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આપણે સૌ માનવોએ કમ સે કમ એક એવો સંકલ્પ તો લેવો જોઇએ કે આપણે ગિરને ગંદું કે પ્રદૂષિત ન કરીએ અને સિંહોને પજવીએ કે નડીએ નહીં.






.jpg)








