ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં સરકારી કર્મચારીઓ ફિક્સ પેની નીતિની સામે આંદોલન કરીને વિરોધ વ્યક્ત કરતા રહે છે. આ ફિક્સ પે નો કેસ સુપ્રીમ કોર્ટમાં છેલ્લા ૧૪ વર્ષથી પેન્ડિંગ છે. પરંતુ હવે એક સરકારી કર્મચારી દ્વારા સુપ્રીમ કોર્ટને ઈ-મેલ કરી આ કેસની સુનાવણી તાત્કાલિક ધોરણે હાથ ધરવા અને ફિક્સ પેના કર્મચારીઓને કે જેઓ વર્ષોથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે તેમને ન્યાય આપવા વિનંતી કરી છે. આ માટે કર્મચારી દ્વારા સુપ્રીમકોર્ટના CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જોયમાલયા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની ખંડપીઠ સમક્ષ પડતર પિટિશનની તાત્કાલિક સુનાવણી થાય તે માટે ઈમેલ મારફતે એક વિનંતી પત્ર લખવામાં આવ્યો છે. હવે આપણે આ આખા કેસની માહિતી મેળવીએ. ગુજરાતમાં આ ફિક્સ પેની નીતિ , સરકારે વર્ષ ૨૦૦૬માં લાગુ કરી હતી. આ માટે , ફેબ્રુઆરી , ૨૦૦૬માં રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આ નીતિ અંતર્ગત, રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ અને વિભાગોમાં વિવિધ પદો જેમ કે શિક્ષકો, પોલીસ કોન્સ્ટેબલ, ક્લાર્ક, પોલીસ સબ-ઈન્સ્પેક્ટર વગેરે)ની ક્લાસ ૩ અને ક્લાસ ૪ની સીધી ભરતીને 5 વર્ષના પ્રારંભિક સમયગાળા માટે ફિક્સ પગાર પર નિમણૂક કરવામાં આવે છે. આ દરમિયાન કર્મચારીઓને નિયમિત પગાર સ્કેલ, ડિયરનેસ એલાઉન્સ (DA) અથવા અન્ય લાભો નથી મળતા, પરંતુ ફક્ત નિશ્ચિત માસિક રકમ મળે છે. 5 વર્ષ પૂરા થયા પછી, સંતોષજનક કાર્યક્ષમતા પર આધારિત રેગ્યુલરાઈઝેશન (સ્થાયી નિમણૂક) કરવામાં આવે છે, જેમાં તેઓને નિયમિત પગાર સ્કેલ અને અન્ય લાભો મળે છે.

ગુજરાત સરકારે જયારે આ નીતિ લાગુ કરી ત્યારે, તેના દ્વારા એવો તર્ક આપવામાં આવ્યો હતો આ ફિક્સ પેની નીતિથી રાજ્યની તિજોરી પર બોજો ઓછો પડે છે. પરંતુ , બીજી તરફ , કર્મચારીઓનું કહેવું છે કે , આ ફિક્સ પેની નીતિથી તેમનું ખુબ મોટા પ્રમાણમાં શોષણ થાય છે. સમયાંતરે , કર્મચારીઓ આ મુદ્દાને લઇને આંદોલન કરતા રહે છે.
હવે આપણે જાણીએ કે ,
વર્ષ ૨૦૧૨માં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફિક્સ પેને લઇને શું ચુકાદો આપવામાં આવ્યો?
- હાઇકોર્ટે તેના ચુકાદામાં આ નીતિને ગેરબંધારણીય અને શોષણાત્મક જાહેર કરી હતી
- આ ચુકાદો હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી. પાર્દીવાલાની બેન્ચે PIL (પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન)માં આપ્યો હતો.
- આ નીતિ ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૪ (સમાનતાનો અધિકાર), ૧૬ (સરકારી નોકરીમાં સમાન તક) અને ૨૧ (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર) નું ઉલ્લંઘન કરે છે.
- તે "ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક" (સમાન કામ માટે સમાન વેતન) ના સિદ્ધાંતનું પણ ઉલ્લંઘન છે.
- આ પછી ગુજરાત હાઇકોર્ટે , સરકારને આદેશ આપ્યો હતો કે , આ ફિક્સ પેની નીતિ , ૧ મહિનામાં બંધ કરવી.
પરંતુ , આ પછી પણ ગુજરાત સરકાર દ્વારા ફિક્સ પે પર પ્રતિબંધ નથી મુકવામાં આવ્યો પરંતુ , ગુજરાત સરકારે હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો અને આ પછી , સરકારે સ્પેશ્યલ લિવ પિટિશન કોર્ટમાં દાખલ કરી છે. છેલ્લા ૧૪ વર્ષથી આ કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે જોવાનું એ રહે છે કે, આ કેસમાં સુનાવણી ક્યારે થાય છે?






.jpg)








