જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક અને મેહસાણા જિલ્લાની કડી બેઠક માટે ચૂંટણી પ્રચાર જોર પકડી રહ્યો છે. આ બંને બેઠકોની પેટાચૂંટણીના પાણીપતમાં હવે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ એકશન મોડમાં આવી ગયા છે. કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ આવતીકાલથી ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરુ કરવા જઈ રહ્યા છે. જેનાથી વિપક્ષની ગણતરીઓ ઉંધી પડી શકે છે .
ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ જામ્યો છે. એક તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઇ છે તો બીજી તરફ જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક અને મેહસાણા જિલ્લાની કડી બેઠક પર પેટાચૂંટણી માટે ૧૯મી જૂનના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે. તો બેઉ બેઠકોને લઇને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રમાં જળશક્તિ મંત્રી સી આર પાટીલ એક્શન મોડમાં આવી ગયા છે. આવતીકાલે એટલેકે , સોમવારના રોજ સી આર પાટીલ કડી અને વિસાવદરમાં ઝંઝાવાતી પ્રચાર શરુ કરશે . સોમવારે વહેલી સવારે તેઓ ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ માટે વિસાવદરમાં ચૂંટણી પ્રચાર કરશે , બપોરે અઢી વાગે સી આર પાટીલ વિસાવદરથી રવાના થઈને કડી પહોંચશે. કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા માટે પ્રચાર કરશે. કડી અને વિસાવદરમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન સી આર પાટીલની સાથે ભાજપના અન્ય નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે . થોડાક સમય પેહલા સુરતમાં વિસાવદર વિધાનસભાના મતદારો માટે ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ સી આ પાટીલની અધ્યક્ષતામાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સી આર પાટીલે સંબોધન કરતા કહ્યું હતું કે , વિધાનસભામાં હવે ભાજપનું સંખ્યાબળ ૧૬૧ થી ૧૬૩ કરવાનું છે . આ માટે તમારો સાથે માંગવા આવ્યો છું . આ પછી સી આર પાટીલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વગર તેમની પર આકરા પ્રહારો કર્યા હતા .
વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલને જયારે કડી પરથી રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. આ બધામાં વિસાવદર બેઠક ખુબ જ મહત્વની છે . કેમ કે , વિસાવદર બેઠક ભાજપ ૨૦૦૭ પછી જીતી નથી શકી . તો હવે એતો ૨૩મી જૂન પરિણામોના દિવસે ખબર પડશે કે , ભાજપનું સંખ્યાબળ ૧૬૧થી વધે છે કે પછી ત્યાંનું ત્યાંજ રહે છે.