આતુરતાનો આવ્યો અંત, કોંગ્રેસ અને AAP બાદ ભાજપે પણ આખરે જાહેર કર્યો સંકલ્પ પત્ર


  • Published By :
  • Published Date : 2022-11-26 12:35:43

વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષોએ લોકોને રિઝવવા માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી રહ્યા છે. ભાજપે પણ આજે વચનોની લ્હાણી કરી છે. ભાજપે આજે કમલમમાં સવારે 11-30 વાગ્યે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ જેપી નડ્ડા અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. 



ભાજપે ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર


ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપના ચૂંટણી ઢંઢેરાની ખુબ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. અંતે ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં મતદારોને વચનોની લ્હાણી કરવામાં આવી છે. ભાજપે LED સ્ક્રિન પર પાછલા 5 વર્ષમાં કરેલા કામોની વિગતો દર્શાવતી ડોક્યુમેન્ટરી પણ રજૂ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે કોંગ્રેસે 12 નવેમ્બર અને આમ આદમી પાર્ટીએ 7 ઓગસ્ટના રોજ  ચૂંટણી મેનિફિસ્ટો જાહેર કર્યો હતો.


સંકલ્પ પત્રમાં લોકોને શું વચનો આપ્યા? 


1.ખેડૂત મંડીઓ, આધુનિક APMCs, વર્ગીકરણ અને ગ્રેડિંગ એકમો, કોલ્ડ ચેઈન, વેરહાઉસ, પ્રાથમિક પ્રક્રિયા કેન્દ્રો વગેરેની સર્વગ્રાહી વ્યવસ્થા વિકસાવવા માટે અમે ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોશ હેઠળ ₹10,000 કરોડનું રોકાણ કરીશું.

2. અમે સમગ્ર ગુજરાતમાં સુજલામ સુફલામ, SAUNI, લિફ્ટ ઈરીગેશન પ્રોજેક્ટ્સ, સૂક્ષ્મ સિંચાઈ, ટપક સિંચાઈ અને અન્ય સિસ્ટમ્સ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા વર્તમાન સિંચાઈ નેટવર્કને વિસ્તારવા માટે ₹25,000 કરોડનું રોકાણ કરીશું.


3.અમે ગૌશાળાઓને મજબૂત બનાવીને (₹500 કરોડનું વધારાનું બજેટ), 1,000 વધારાના મોબાઈલ વેટરનરી યુનિટ સ્થાપીને અને સંપૂર્ણ રસીકરણ અને વીમો સુનિશ્ચિત કરીને પશુધનની સર્વગ્રાહી સંભાળ સુનિશ્ચિત કરીશું.


4. અમે ફૂડ પાર્ક સ્થાપીશું (દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રત્યેક એક), ભારતનો પ્રથમ બ્લુ ઈકોનોમી ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવીશું અને માછીમારી સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર (જેટી, કોલ્ડ સપ્લાય ચેઈન અને બોટનું યાંત્રીકરણ) મજબૂત કરીશું.


5. અમે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્યમાન ભારત) હેઠળ વાર્ષિક મર્યાદાને ₹5 લાખથી વધારીને ₹10 લાખ પ્રતિ પરિવાર કરીશું અને મફતમાં તબીબી સારવાર સુનિશ્ચિત કરીશું.


6. અમે EWS પરિવારો માટે તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ અને સૂચિબદ્ધ લેબોરેટરીઓમાં મફત નિદાન સેવાઓ પ્રદાન કરવા માટે ₹110 કરોડના ભંડોળ સાથે મુખ્યમંત્રી મફત નિદાન યોજના શરૂ કરીશું.


7.અમે ₹10,000 કરોડના મહારાજા શ્રી ભગવતસિંહજી સ્વાસ્થ્ય કોષની રચના કરીશું, જેથી 3 સિવિલ મેડિસિટી, 2 AIIMS-ગ્રેડ સંસ્થાઓ, અને હાલની આરોગ્યસંભાળ સુવિધાઓ (હોસ્પિટલો, CHC અને PHCs) પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવામાં આવશે.


8. અમે આગામી 5 વર્ષમાં ₹10,000 કરોડના બજેટ સાથે 20,000 સરકારી શાળાઓને શ્રેષ્ઠ શાળાઓમાં રૂપાંતરિત કરીશું.


9. અમે કેશવરામ કાશીરામ શાસ્ત્રી હાયર એજ્યુકેશન ટ્રાન્સફોર્મેશન ફંડને ₹1,000 કરોડના બજેટ સાથે શરૂ કરીશું, નવી સરકારી કોલેજોનું નિર્માણ કરવા અને વર્તમાન કોલેજો અને યુનિવર્સિટીઓને અત્યાધુનિક સુવિધાઓ સાથે સુધારીશું.


10. અમે આગામી 5 વર્ષમાં ગુજરાતના યુવાનોને 20 લાખ રોજગારીની તકો પૂરી પાડીશું.


11. અમે ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર્સ, ફિનટેક અને એરોસ્પેસના ક્ષેત્રોમાં IIT ની તર્જ પર 4 ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (GIT) ની સ્થાપના કરીશું.


12.અમે ગુજરાત ઓલિમ્પિક મિશન શરૂ કરીશું અને 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ કક્ષાનું રમતગમતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીશું.


13. અમે સુનિશ્ચિત કરીશું કે ગુજરાતમાં દરેક નાગરિક પાસે પાકું ઘર છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના 100% અમલીકરણની ખાતરી કરીશું.


14. અમે ફેમિલી કાર્ડ યોજના શરૂ કરીશું, જે દરેક પરિવારને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા સક્ષમ બનાવશે.


15. અમે PDS સિસ્ટમ દ્વારા સબસિડીવાળા દરે વર્ષમાં ચાર વખત 1 લિટર ખાદ્ય તેલ અને દર મહિને 1 કિલો સબસિડીવાળા ચણા પ્રદાન કરીશું.


16. અમે તમામ 56 આદિવાસી પેટા યોજના તાલુકાઓમાં રાશનની મોબાઇલ ડિલિવરી શરૂ કરીશું.


17.આદિવાસીઓના સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ માટે અમે વનબંધુ કલ્યાણ યોજના 2.0 હેઠળ ₹1 લાખ કરોડનો ખર્ચ કરીશું.


18.અમે અંબાજી અને ઉમરગ્રામ વચ્ચે બિરસા મુંડા આદિ જાતિ સમૃદ્ધિ કોરિડોરનું નિર્માણ કરીશું જેથી દરેક આદિવાસી જિલ્લાના મુખ્યમથકોને 4-6 લેન રાજ્ય ધોરીમાર્ગ સાથે જોડીને વિકાસને વેગ મળે અને પાલ દુધવાવ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડવા માટે આદિવાસી સાંસ્કૃતિક સર્કિટનું નિર્માણ કરી શકાય. 


19.આદિવાસી વિસ્તારોમાં 8 મેડિકલ કોલેજો અને 10 નર્સિંગ/પેરા-મેડિકલ કોલેજો સ્થાપીને અમે અત્યાધુનિક આરોગ્યસંભાળ સુવિધાઓ સુનિશ્ચિત કરીશું.


20.આદિવાસી યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવા અમે આદિવાસી પટ્ટામાં 8 GIDC સ્થાપીશું.


ચૂંટણીને લઈ બઠકોનો ધમધમાટ


ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચારના ધમધમાટ વચ્ચે ભાજપના મીડિયા સેન્ટરમાં મોડીરાત સુધી બઠકોનો ધમધમાટ જોવા મળ્યો હતો. મીડિયા સેન્ટરમાં આયોજિત બેઠકમાં ગૃહપ્રધાન અમિત સાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભાજપના સહસંગઠન મહામંત્રી રત્નાકરજી અને અનિલ બલુની પણ હાઈ લેવલ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે