Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કવિ દલપતરામની રચના - અંધેરી નગરને. ગંડુ રાજા...


  • Published By :
  • Published Date : 2024-06-14 18:08:18

અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજીને ટકે શેર ખાજા.. દરેક વસ્તુઓ એક જ ભાવે વેચાય તેવું કહેવાનો ભાવાર્થ છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દલપતરામની રચના જે બધાએ વાંચી હશે અને મતલબ પણ ખબર હશે.. 



પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,

ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;

બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,

કદી સારી બૂરી ન વેચે વિવેકે.


ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,

ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;

લીધી સુખડી હાટથી આપી આટો,

ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”


ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,

સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;

હશે ચોરને શાહનો ન્યાય એકે,

નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.


ન એ વસ્તીમાં એક વાસો વસીજે,

ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”

કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,

તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”


ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,

“નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”

ન માની કશી વાત તે શિષ્ય જયારે,

ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.


રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,

બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;

પછીથી થયા તેહના હાલ કેવા,

કહું છું હવે હું સુણો સદ્ય તેવા.


તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;

તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.

માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;

શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.


“એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;

રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”

વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;

ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”


કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;

ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.

ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;

એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”


પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,

આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”

“મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;

પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”


મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;

શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.

ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;

એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.


ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;

શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”

જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;

બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ


શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;

ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.

જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,

આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”


ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”

અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”

ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;

રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.