Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે શૂન્ય પાલનપુરીની રચના - દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-17 11:55:28

આપણે જ્યારે ગરીબને જોઈએ છે તેમના બાળકને જોઈએ ત્યારે મનમાં વિચાર આવે કે આ લોકોનું જીવન કેવી રીતે વ્યતીત થતું હશે? તેમનો પરિવાર ભોજનમાં શું ખાતા હશે, નાના બાળકોને દૂધ કેવી રીતે મળતું હશે વગેરે વગેરે... રસ્તા પર પણ અનેક એવા લોકો મળી જાય જે કહે છે કે અમને જમવાનું આપો અમે આટલા દિવસથી કંઈ નથી ખાધું. તેમના કપડા પણ ફાટેલા હોય છે. અનેક કિસ્સાઓ આપણી સામે એવા હશે જેમાં જે લોકોનું ઘર બનાવતા હોય છે, મતલબ જે શ્રમિકો ઘરને બનાવે છે તે જ ઘર વગરના હોય છે.   


પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના....

આજે સાહિત્યના સમીપમાં શૂન્ય પાલનપૂરીની રચના દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો.. આ રચના બાદ કદાચ તમારી આંખોમાંથી આસું પણ આવી શકે છે, એ દ્રશ્યો પણ તમારી સામે આવી શકે છે જેની વાત અહીં કરવામાં આવી છે. 



દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો

એ ઘરમાં તુ જનમ્યું શાને, જે ઘરમાં ઉપવાસ ફરજ છે,

દર્દ વ્યથા પરીતાપ ફરજ છે, ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે .. 

દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો


ત્યાં જન્મત તો પુષ્પ હિંડોળે નર્મ શયનનાં સાધન હોત

મોટર મળતે, ગાડી મળતે, નર્સનાં લાલન-પાલન હોત

સોના-રૂપાના ચમચાથી દૂધની ધારા વહેતી હોત

તું રડતે તો પ્રેમની નદીઓ તોડી કિનારા વહેતી હોત

પણ તારા દુર્ભાગ્ય હશે કે જન્મ લીધો તેં આ ઘરમાં

ફેર નથી જે ઘરમાં ઇન્સાન અને જડ પથ્થરમાં … 

દૂધને માટે રોતાં બાળક, રો તારા તકદીરને રો


હાડ ને ચામનાં ખોખામાં તું દૂધનાં વલખાં મારે છે

મહેનત નિષ્ફળ જાતી જોઇ રોઇને અશ્રુ પાડે છે

આ ઘરની એ રીત પુરાણી આદીથી નિર્માઇ છે

મહેનત નિષ્ફળ જાયે છે, નિષ્ફળ જાવાને સર્જાઇ છે

વ્યર્થ રડીને ખાલી તારો અશ્રુ ભંડાર ન કર

મોંઘામૂલા એ મોતીનો ગેરઉપયોગ લગાર ન કર … 

દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો


તન તોડીને જાત ઘસીને પેટ અવર ભરવાનાં છે

શ્રમ પરસેવે લોહી નિતારી મહેલ ઊભાં કરવાનાં છે

એના બદલે મળશે ખાવા ગમ ને પીવા આંસુડા

લાગશે એવાં કપરાં કાળે અમૃત સરખા આંસુડા … 

દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો


ભુખ્યા પેટ ને નગ્ન શરીરો એ તો છે દસ્તુર અહીં

ચેન અને આરામ રહે છે સ્વપ્ન મહીં પણ દૂર અહીં

આ ઘરમાં તો એવી અગણીત વાતો મળવાની

ભુખના દા’ડા મળવાના ને પ્યાસની રાતો મળવાની

આ ઘરમાં ઉપવાસ ફરજ છે, દર્દ વ્યથા પરીતાપ ફરજ છે,

ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે, આ ઘરમાં તું જનમ્યું શાને… 

દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો


- શૂન્ય પાલનપુરી 



સુરતના સરથાણાથી એક કરૂણ ઘટના સામે આવી. દેવું કરીને, સગા સંબંધી પાસેથી પૈસા લઈને ચુનીભાઈ ગોડિયાએ પોતાના સંતાનને કેનેડા મોકલ્યો અને પછી તે સંતાન પોતાના માતા પિતાને ભૂલી ગયો... આ આઘાતને માતા પિતા સહન ના કરી શક્યા અને અંતે તેમણે મોતને વ્હાલું કર્યું...

લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ હતી. પરેશ ધાનાણીએ મતદાન પૂર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તે કહી રહ્યા છે કે રાજકોટ કોંગ્રેસ જીતે છે.

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે...

આજે ધોરણ 12નું પરિણામ આવી ગયું છે.. ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટની સાથે સાથે ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ આવ્યું છે.