અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનું પ્રતિક બની ગયો છે. હાટકેશ્વર બ્રિજનું નબળી ગુણવત્તાનું બાંધકામ કરનારી 09 વ્યક્તિઓ સામે AMC એ ખોખરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે છેતરપિંડી કરવા બદલ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર કંપની અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના સંચાલકો અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ એજન્સી એસજીએસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સંચાલકો સામે ગુનો નોંધાયો હતો. પોલીસે નવ આરોપીઓ સામે IPCની કલમ 406, 420, 409 અને 120(B) અંતર્ગત ફરિયાદ નોંધી હતી.આ કેસમાં આરોપીઓની આગોતરા જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે આજે ફગાવી દીધી છે.
આરોપીઓની મુશ્કેલી વધી
હાટકેશ્વર બ્રિજની નબળી કામગીરી માટે જવાબદાર આ આરોપીઓ પૈકી અજય એન્જી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના ચાર ડિરેક્ટરો રમેશ પટેલ, રસિક પટેલ, ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલ દ્વારા અમદાવાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જે સેશન્સ કોર્ટે ફગાવી હતી. જે બાદ આરોપીઓ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેને આજે હાઇકોર્ટે ફગાવી દીધી છે.
સુનાવણી બાદ હાઈકોર્ટે લીધો નિર્ણય
ગુજરાત હાઈકોર્ટમાં આરોપીઓના વકીલે પોતાની સામે ખોટી રીતે કેસ થયો હોવાની દલીલ કરતા આગોતરા જામીન મંજૂર કરવા કોર્ટમાં રજૂઆત કરી હતી. જો કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આરોપીઓની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. AMCએ કહ્યું હતું કે, નબળા બાંધકામ અંગે અલગ-અલગ એજન્સીના રિપોર્ટ ઉપલબ્ધ છે. નબળા બાંધકામના કારણે પ્રજાને હાલાકી ભોગવવી પડી હોવાની પણ રજૂઆત કરાઈ હતી. જેની સુનાવણી પૂર્ણ થયા બાદ હાઈકોર્ટે આરોપીઓને આગોતરા જામીન આપવા ઇન્કાર કર્યો હતો.






.jpg)








