"માર્ચ 2026 સુધીમાં ભારતમાંથી થશે નક્સલવાદનો અંત!"


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-22 15:02:08

આજે ભારતની એક એવી જંગની વાત કરવી છે કે , જેમાં ૧૯૯૯ના કારગીલ યુદ્ધ કરતા ચાર ગણા જવાન શહીદ થયા છે . છેલ્લા બે દાયકામાં આ જંગના લીધે ૬,૦૦૦ કરતા વધારે નાગરિકો શહીદ થયા છે . ભારતના તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ , આ જંગને દેશની આંતરિક સુરક્ષા માટે સૌથી મોટો ખતરો ગણાવતા હતા. આ જંગ બીજી કોઈ નહીં પણ "નક્સલવાદ" છે .  ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે , ૩૧ માર્ચ , ૨૦૨૬ સુધીમાં પૂરા દેશમાંથી નક્સલવાદનો સૂર્યાસ્ત થશે . 

Parliament session highlights: After Shah's speech, Rajya Sabha adjourned  till tomorrow | Hindustan Times

નક્સલવાદને નાબૂદ કરવા આપણા જવાનો જબરદસ્ત રીતે કામ કરી રહ્યા છે . એક સમય હતો , જયારે નક્સલવાદીઓ નેપાળના પશુપતિથી આંધ્રપ્રદેશના તિરૂપતિ સુધીનું તેમનું પ્રભુત્વ હતું. આંકડાકીય માહિતી પર નજર કરીએ તો , ૨૦૧૩માં ભારતના દસ રાજ્યોના ૧૨૬ જિલ્લાઓમાં નક્સલવાદથી પ્રભાવિત હતા . આ દસ રાજ્યોમાં આંધ્રપ્રદેશ , બિહાર , છત્તીસગઢ , ઝારખંડ , મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર , ઓડિશા , તેલંગણા , પશ્ચિમ બંગાળ , ઉત્તર પ્રદેશમાં તેનો પ્રભાવ હતો . આ ટોટલ નક્સલથી પ્રભાવિત વિસ્તારનું ક્ષેત્રફળ ૧૮,૦૦૦ સ્કવેર કિલોમીટર હતું . પરંતુ હવે એક દાયકા પછી નક્સલ પ્રભાવિત વિસ્તારો ઘટીને માત્ર ૧૨ જિલ્લા સુધી જ સીમિત રહી ગયા છે. તેનું ક્ષેત્રફળ ઘટીને ૮,૫૦૦ સ્કવેર કિલોમીટર સુધી સીમિત થઈ ગયું છે . 

તો વાત કરીએ કઈ રીતે  આપણી સેનાએ પાંચ પ્રકારની રણનીતિઓ અપનાવીને નક્સલવાદની ભારતમાં કબર ખોદી નાખી છે . 

પહેલું , મધ્યભારતના આ વિસ્તારો કે જ્યાં ગાઢ જંગલ જોવા મળે છે. નક્સલવાદીઓ તેનો ભરપૂર ફાયદો ઉઠાવતા હોય છે. માટે તેમનું પ્રભુત્વ ઘટાડવા આ ગાઢ જંગલ વિસ્તારોમાં ફોરવર્ડ ઓપરેટિંગ બેઝિસ (FOB ) બનાવવામાં આવ્યા . આ ફોરવર્ડ ઓપરેટિંગ બેઝીસમાં સૈન્યના જવાનો હોય છે .  જે તે વિસ્તારમાં આ FOB બેઝીસ સિક્યોરિટી વેક્યુમ પુરવાનું કામ કરે છે . નક્સલવાદીઓનું સૌથી મોટું હથિયાર લેન્ડ માઇન્સ છે અને લેન્ડ માઇન્સને અવોઇડ કરવા આપણા જવાનો બાઈક પર હેરાફેરી કરતા હોય છે . આ ફોરવર્ડ ઓપરેટિંગ બેઝીસ ખાલી એક સિમેન્ટ કોન્ક્રીટથી બનેલી ચોકીઓ નથી કે જેમાં આપણા જવાનો આધુનિક એસોલ્ટ રાઇફલ સાથે તૈનાત  હોય છે. આ FOB બેઝીસ નક્સલગ્રસ્ત વિસ્તારોમાં સામાજિક ગતિવિધિઓનું મોટું માધ્યમ બન્યા છે . જેમ કે , આ FOB બેઝીસની મદદથી સ્કૂલ ચલાવવી , સ્થાનિક લોકો માટે હેલ્થ સેન્ટર ચલાવવા . છેલ્લા પાંચ વર્ષમાં નક્સલગ્રસ્ત વિસ્તારોમાં આવા ૩૦૨ ફોરવર્ડ ઓપરેટિંગ બેઝીસ બનાવવામાં આવ્યા છે. 

બીજી રણનીતિ , નક્સલવાદીઓના રીયલ લોકેશનને ટ્રેક કરવા માટે આપણા જવાનો ડ્રોન્સ અને સેટેલાઇટ ઇમેજિંગનો ઉપયોગ કરતા થયા છે . નક્સલવાદીઓની ગોરિલ્લા ટેક્નિકની સામે આ ડ્રોન્સ અને સેટેલાઇટ ઇમેજિંગ ખુબ કારગર નીવડ્યા છે. દરેક ફોરવર્ડ ઓપરેટિંગ બેઝીસ નેત્ર ૩ અને ભારત ડ્રોન સાથે તૈનાત હોય છે જેની રેન્જ ૫ કિલોમીટરની હોય છે. આટલુંજ નહિ , નક્સલવાદીઓ ફરી એકવાર સામાન્ય નાગરિકની જેમ જીવી શકે તે માટે સરકારે ખુબ સરળ શરણાગતિની નીતિ બનાવી છે જે અંતર્ગત પાછલા ૧૦ વર્ષમાં ૭,૫૦૦ નક્સલોએ શરણાગતિ સ્વીકારી છે. આમાંથી ઘણાએ તો ભારતીય સેના જોઈન કરી આપણી સેનાનું પ્રભુત્વ વધારવાનું કામ કર્યું છે . 

ત્રીજી રણનીતિ , નક્સલવાદીઓને મળતું ફંડિંગ અને હથિયારો પર રોક લગાવી . તેમની આવકનો મુખ્ય સ્ત્રોત તેન્દુ પત્તાના કોન્ટ્રાક્ટરો પાસેથી મળતી ખંડણી  છે . આપણા ત્યાં ટીમરૂના પાનમાંથી બીડી બને છે તેમ આ નક્સલગ્રસ્ત વિસ્તારોમાં તેન્દુના પત્તાનો ખુબ ઉપયોગ થાય છે. આ સાથે જ નક્સલવાદીઓ જંગલ અને રોડના કોન્ટ્રાકટર પાસેથી ખંડણી ઉઘરાવે છે. નક્સલવાદીઓ લગભગ વાર્ષિક ૧૫૦ કરોડની ખંડણી ઉઘરાવે છે. જોકે હવે , નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને ઇડીએ તેમને મળતી ખંડણી પર નિયંત્રિત કરવા કમર કસી છે. કેન્દ્ર સરકારે આ માટે નકસલગ્રસ્ત વિસ્તારોમાં ડિજિટલ પેમેન્ટ માટે જોરદાર ભાર મુક્યો છે. 

ચોથી રણનીતિ કે જેમાં નક્સલવાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂરતા આંતરમાળખાનો વિકાસ કરવો પડે . જેમ કે , મે ૨૦૧૪થી સપ્ટેમ્બર ૨૦૨૪ દરમ્યાન કુલ ૧૧,૫૦૩ કિલોમીટરના રસ્તાઓનો વિકાસ કરવામાં આવ્યો . આ માટે અત્યારસુધીમાં ૨૦,૮૧૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. ત્યારપછી , નક્સલગ્રસ્ત વિસ્તારોમાં મોબાઈલ કનેક્ટિવિટી માટે ૨,૩૪૩ મોબાઈલ ટાવર બનાવવામાં આવ્યા છે. જેનાથી ૨જી કનેક્ટિવિટી ઉપલબ્ધ બને. ઉપરાંત , ૧૦૦૭ બેન્કની શાખાઓ ખોલવામાં આવી છે તેની સાથે ૯૩૭ ATM પણ ખોલાયા છે.  આ ઉપરાંત ૪૯૫ કરોડ  ૪૮ નક્સલવાદથી પ્રભાવિત જિલ્લાઓમાં ઇન્ડસ્ટ્રીઅલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા માટે ફાળવવામાં આવ્યા છે. 

પાંચમી રણનીતિ એ છે કે , કેન્દ્ર સરકારે ત્રિ સ્તરની એક સમન્વય સિસ્ટમ બનાવી છે . પેહલા સ્તરમાં કેન્દ્ર અને રાજ્ય સ્તરના મંત્રીમંડળ સાથેનું સમન્વય , બીજા સ્તરમાં રાજ્ય અને જિલ્લા સ્તરનું સમન્વય અને છેલ્લે કેન્દ્રની જાંચ એજન્સીઓ અને રાજ્યની જાંચ એજન્સીઓ વચ્ચે સમન્વય સ્થાપિત કરવું. 

હવે જતા જતા તમને નક્સલવાદનો ઇતિહાસ ટૂંકમાં જણાવી દઈએ. ભારતમાં નક્સલવાદની શરૂઆત ૧૯૬૭ની સાલમાં પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારથી થઈ હતી . આ શરૂઆત ત્યાંના બે નેતા કનુ સાન્યાલ અને જગન સંથાલના નેતૃત્વમાં જમીનદારોની સામે હિંસક રીતે કરવામાં આવી હતી . આ પછી આઝાદીના ૬ દસકાઓ સુધી નક્સલવાદ ભારતના અન્ય રાજ્યોમાં ફેલાયો . તેના મુખ્યકારણો આ પ્રમાણે છે . અનુસૂચિત જનજાતિની વસ્તી ભારતની કુલ વસ્તીના ૧૦ ટકા છે પરંતુ તેમનામાં શિક્ષણનું પ્રમાણ ખુબ નીચું છે . માટે તેઓ આ નક્સલવાદી નેતાઓની ગેરદોરવણીમાં આવી જાય છે . રાજ્ય સરકારો ઘણીવાર કેન્દ્ર સરકાર સાથે પૂરતું સમન્વય નથી રાખતી . આ નક્સલવાદીઓને બહારની તાકતોથી પણ સમર્થન મળતું રહ્યું છે .



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.