ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાના લેટર બોંબથી કોંગ્રેસનું રાજકારણ ગરમાયું, પાર્ટીને ચંડાળ ચોકડીથી મુક્ત કરવાની કરી માગ


  • Published By :
  • Published Date : 2023-06-23 17:57:49

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક રાજકારણ પાર્ટી માટે હંમેશા ચિંતાનો વિષય રહ્યું છે. પાર્ટીમાં ચાલતી ટાંટીયાખેંચ જ તેને ભાજપ સામે મુકાબલો કરવા માટે નિર્બળ બનાવી દે છે. કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ બનેલા શક્તિસિંહ ગોહિલ માટે પણ પાર્ટીનો આંતરિક વિખવાદ મોટો પડકાર બની રહેશે તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. હવે આ મામલે પાર્ટીના બે મુસ્લિમ નેતાઓ ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખીને વિનંતી કરી છે કે પક્ષના અમુક નેતાઓ ચંડાળ ચોકડી બનાવી પ્રદેશ અધ્યક્ષ અને મોવડી મંડળને ઘેરી લઈ ગેરમાર્ગે દોરતા હોય છે તેવું ધ્યાન દોર્યું છે. જો કે  તેમણે આ ચંડાળ ચોકડી કોણ છે તેનો ઉલ્લેખ કર્યો નથી. વધુમાં તેમણે લખ્યું છે કે ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટમાં આવા કેટલાક પ્રસ્થાપિત હિતો વર્ષોથી કબજો જમાવીને બેઠા છે અને શહેરોમાં કોઈ જ પરિણામ અપાવી શકતા નથી. ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાના આ પત્રથી કોંગ્રેસનું આંતરિક રાજકારણ ગરમાયું છે.


ચંડાળ ચોકડીઓથી મુક્ત પાર્ટીને મુક્ત બનાવો


ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાના આ પત્રમાં શહેરી વિસ્તારોમાં પક્ષને મજબૂત બનાવવા પ્રસ્થાપિત ચંડાળ ચોકડીઓથી મુક્ત બનાવવાની માગ કરી છે.  આવા લોકો ઘણા વર્ષોથી શહેરોમાં કોંગ્રેસને સારું પરિણામ આપી શક્યા નથી. શહેરી વિસ્તારમાં આવા લોકોને હોદ્દા પરથી દૂર નહિ કરાય ત્યાં સુધી કોંગ્રેસ સત્તા પર નહિ આવી શકે. તેમણે કોંગ્રેસ પાર્ટીમાં  તમામ ધર્મના અને સમૂહના નાના કાર્યકરને મહત્વ આપવા પર પણ ભાર મુક્યો છે. તેમણે કહ્યું કે "કાલે દિલ્હી હાઈકમાન્ડ સાથેની મીટીંગના ફોટાઓ સોશ્યલ મીડીયામાં વાઈરલ થતા હજારો લોકોના અમોને ફોન અને મેસેજ આવ્યા કે જે પીઢ નેતાઓને બોલાવ્યા એ સારી બાબત છે પરંતુ આમાં પક્ષને સમર્થિત થઈ 24x7 કામ કરતા કોઈ ચહેરા કેમ દેખાતા નથી? તેવા સમયે અમોએ કોંગ્રેસ હાઈકમાન્ડને ટ્વીટ દ્વારા ગુજરાતના લાખો કાર્યકર્તાઓના મનની ભાવનાને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ દુઃખ સાથે કહેવુ પડે છે કે શિસ્તબદ્ધ રીતે બંધબારણે કાર્યકર્તાઓના હિતમાં રજૂઆત કરવામા આવે તેનું કોઈ જ પરિણામ ન દેખાય ત્યારે પક્ષના હિતમાં જાહેરમાં પણ કાર્યકર્તાઓની વાતને વાચા આપવા મજબૂર થવુ પડે છે."


સમાજના તમામ વર્ગને પાર્ટીમાં મહત્વ આપો


ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ  તેમના પત્રમાં લખ્યું છે કે "કોંગ્રેસ ગુજરાતના શહેરોની 54 સીટોમાંથી માત્ર બે જ સીટ લઘુમતી સમાજના બાહુલ્ય મતો ધરાવતી કોંગ્રેસ જીતી શકે છે. જયાં સુધી શહેરી વિસ્તારોમાં પક્ષને મજબૂત બનાવવા ચઢી બેઠેલા પ્રસ્થાપિત હિતોથી મુક્ત કરવામાં નહી આવે ત્યા સુધી ક્યારેય પણ કોંગ્રેસ ગુજરાતની સત્તા પર આવી શકશે નહીં. તમામ ધર્મ અને જાતિના લોકોના સમૂહથી જ પક્ષ મજબૂત થતો હોય છે અંતે તે મતોમાં પરિવર્તિત થાય છે. ગુજરાતમાં કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા કોંગ્રેસ પક્ષની વિચારધારામાં માનતા તમામ ધર્મ, જ્ઞાતિ સહિત નાના સમૂહોમાંથી પણ કાર્યકર્તાઓને શોધી કાઢી પક્ષ માટે દિવસ રાત કામ કરી અવાજ બુલંદ કરતા કાર્યકરોને પૂરતું મહત્વ આપી નવેસરથી દરેક સમાજમાં નેતૃત્વ ઉભુ કરવાની તાતી જરુરિયાત છે."


હાજી જુમા રાયમાનું પણ સમર્થન મળ્યું


પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાને  કોંગ્રેસના અન્ય એક અગ્રણી મુસ્લિમ નેતાનું પણ સમર્થન મળ્યું છે. કચ્છ કોંગ્રેસના મુસ્લિમ નેતા હાજી જુમા રાયમાએ પણ ગ્યાસુદ્દિન શેખની નારાજગીનું સમર્થન કર્યું છે. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને સંબોધીને તેમણે ટ્વીટ કર્યું છે. ગુજરાતથી દિલ્હી જતા પ્રતિનિધિ મંડળમાં મુસ્લિમ નેતાઓએ પણ સાથે રાખવાની વાત કરી છે. તેમણે ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાને સાથે રાખવાની પણ માગ કરી છે. ગુજરાતના મુસ્લિમ સમાજની આ લાગણી હોવાની હાજી જુમા રાયમાએ વાત કરી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે