દસાડામાં PIએ ગ્રામજનોની સામે રિવોલ્વર દેખાડવી પડી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-25 21:53:39

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે. વાલેવડા ગામમાં લાંબા સમયથી બુટલેગરો દ્વારા બેફામ રીતે દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ હતો. આ અંગે ગામના યુવાનો અને મહિલાઓ એકત્ર થઈને પોલીસને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ગ્રામજનોનો આક્ષેપ છે કે, દસાડા પોલીસ જ્યારે તપાસ માટે પહોંચી ત્યારે બુટલેગરોને પકડવાને બદલે રજૂઆત કરનારાઓ પર જ ઉશ્કેરાઈ ગઈ હતી.

ઘર્ષણ દરમિયાન પરિસ્થિતિ એટલી વણસી હતી કે, દસાડા PI ઉપાધ્યાયે પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી હવામાં અધ્ધર કરી ગ્રામજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે. મોડી રાત્રે થયેલી આ ઝપાઝપીમાં પોલીસ અને ગ્રામજનો સામસામે આવી ગયા હતા, જેના કારણે ભારે નાસભાગ મચી ગઈ હતી.  જ્યારે સામા પક્ષે ગામના યુવકો દ્વારા દસાડા પોલીસને બૂટલેગરો અંગે માહિતી આપતા પોલીસે સ્થળ પર પહોંચી માહિતી આપનાર યુવકો અને વૃદ્ધ મહિલાઓને મારમાર્યાનો પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો અને દોષિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની ગ્રામજનો સહિત પૂર્વ ધારાસભ્યએ માંગ કરી હતી. ઘર્ષણ દરમિયાન બે મહિલાઓને ઇજાઓ પહોંચતા તેને બહુચરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસ કર્મચારીએ દસાડા પોલીસ મથકે ગણપતભાઈ ચંદુભાઈ ઠાકોર સામે ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ નોંધાવી છે.  ઘટનાને લઇ કોંગ્રેસે પોલીસ સ્ટેશનમાં વિરોધ નોંધાવી ભોગ બનનાર લોકોને પોલીસ ન્યાય આપે તેવી માંગ કરવામાં આવી છે. 

તો હવે આ સમગ્ર મામલે , દસાડાના પૂર્વ MLA નૌશાદ સોલંકીએ કહ્યું છે કે , "વાલેવડા ગામની અંદર પોલીસે આતંક મચાવ્યો છે. જાગૃત યુવાનો દ્વારા બુટલેગરોની માહિતી આપતા પોલીસે બુટલેગરોને છાવર્યા હતા ,  જે યુવાનોને માહિતી આપી હતી તેને જ ઢોર માર મારવામાં આવ્યો હતો. ગામની વૃદ્ધ મહિલાઓને પણ ઢોર મારવામાં આવ્યો હતો. PI ઉપાધ્યાય દ્વારા જાહેરમાં રિવોલ્વર કાઢવામાં આવી હતી. દોષિતો સામે સખત કાર્યવાહી કરવામાં આવે." વાલેવડાના રહીશોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, ૧) જ્યાં સુધી બુટલેગરોની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. ૨) નિર્દોષ મહિલાઓ અને યુવાનો પર લાઠીચાર્જ કરનાર પોલીસ અધિકારીઓ સામે તાત્કાલિક FIR નોંધવામાં આવે. ૩) જો તંત્ર ન્યાય નહીં આપે, તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડશે. હાલમાં ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ ગ્રામજનોનો આક્રોશ જોતા સ્થિતિ હજુ પણ તંગ જણાઈ રહી છે.




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.