અમદાવાદના ધરજી ગામે પોલીસ પર થયો હિંસક હુમલો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-03-29 19:11:19

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.  ગુજરાતમાં જાણે અસામાજિક તત્વોને કાયદાનો કે ખાખી વર્દીનો કોઈ ડર જ રહ્યો ન હોય તેવો ઘાટ સર્જાયો છે.  અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર વિસ્તારમાં દારૂ માફિયાઓ અને ગામલોકોએ ભેગા મળીને પોલીસ જવાનોને ઢોર માર મારીને ઉભી પૂંછડીએ ભાગવા મજબૂર કર્યા છે. 

આ ઘટનાને પગલે ગ્રામ્ય પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસ પર થયેલા આ હિંસક હુમલા બાદ વધારાનો પોલીસ કાફલો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો હતો. નળ સરોવર પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા હુમલામાં સામેલ 100થી વધુ લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. ઘટના બાદ હુમલાખોરો ગામ છોડીને ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે મુખ્ય આરોપી સહિતના આરોપીઓની ધરપકડ કરી છે. થોડાક સમય અગાઉ, નળ સરોવર પોલીસને બાતમી મળી હતી કે ધરજી ગામે મોટા પાયે દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે જ્યારે પોલીસ કાફલો દરોડો પાડવા પહોંચ્યો, ત્યારે  અચાનક ગામમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી શરૂ કરી હતી. મામલો એટલો બિચક્યો હતો કે 100થી વધુ લોકોના ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. ટોળાએ પોલીસ કર્મચારીઓને નીચે પાડી દીધા હતા અને તેમને રસ્તા પર દોડાવી-દોડાવીને માર મારતા ગંભીર સ્થિતિ સર્જાઈ હતી.

ગામલોકોએ મારેલા આ મારમા ૨ પોલીસકર્મીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. જોકે, આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો ગામમાં પહોંચી ગયો હતો અને સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું. હાલમાં ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શાંતિનો માહોલ છે. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી આત્મારામ ઉર્ફે રંગા તેમજ અન્ય સાગરીતો સહિત કુલ 15 જેટલા શખ્સોની ધરપકડ કરી છે. 100 લોકોના ટોળા સામે ગુનો નોંધીને પોલીસે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.    



ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.

વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.

પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.