Jamawat News Bulletin : Corruption Indexમાં ભારત 93મા ક્રમે, આવતી કાલે નાણા મંત્રી બજેટ રજૂ કરશે...


  • Published By :
  • Published Date : 2024-01-31 09:08:07

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા સામાન્ય રીતે અધિકારીઓની બદલી કરવામાં આવે છે. આ વર્ષે પણ ચૂંટણી પહેલા ગુજરાતના 50 આઈએએસ અધિકારીની બદલી કરવામાં આવી છે. અધિકારીઓની બદલી જે કરવામાં આવી છે તે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવી છે. સંક્ષિપ્તમાં વાત કરીએ તો અમદાવાદના ડીડીઓ એમ.જે. દવેને ગાંધીનગરના કલેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જીટી પંડ્યા જે પહેલા મોરબીના કલેક્ટર હતા તેમની બદલી દ્વારકાના કલેક્ટર તરીકે કરવામાં આવી છે. ખેડા કલેક્ટર તરીકેની જવાબદારી અમિત પ્રકાશ યાદવને સોંપવામાં આવી છે. સુરતના કલેક્ટર તરીકે સૌરભ પારધીને જ્યારે વડોદરાના કલેક્ટર તરીકે બી.એ.શાહને જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે આની પહેલા રાજ્યના 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ તેમજ 29 મામલતદારોની બદલી કરવામાં આવી છે. 

અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે. અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે એક ભયંકર રોડ અકસ્માત મેક્સિકોમાં થયો છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઉત્તર મેક્સિકોમાં આ દુર્ઘટના સર્જાઈ છે જેમાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી અને 19 લોકોના મોત થઈ ગયા હોવાની વાત સામે આવી છે. ઉપરાંત અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મોતનો આંકડો વધી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


દેશના બજેટ પર સૌ કોઈની નજર છે. આવતી કાલે સંસદમાં બજેટ રજૂ થવાનું છે. વતર્માન લોકસભાનું આ અંતિમ બજેટ સત્ર હશે. પહેલી ફેબ્રુઆરીએ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરવાના છે. લોકસભા ચૂંટણી પૂર્ણ થયા પછી નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. એવી માહિતી પણ સામે આવી છે કે જમ્મુ કાશ્મીર માટે પણ બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ સત્ર 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન બાદ આ સત્રનો પ્રારંભ થશે. મહત્વનું છે કે ગઈકાલે સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 

કરપ્શન આ શબ્દ સાંભળવો જાણે સામાન્ય થઈ ગયો છે. એવું માનીએ છીએ કે કોઈ પણ સરકારી કામ કરાવું હોય તો પૈસા ખવડાવવા પડશે! એવું લાગતું હતું કે નોટબંધીને કારણે કરપ્શનમાં ઘટાડો થશે પરંતુ કદાચ આ વાત ખોટી સાબિત થયું હોય તેવું લાગે છે. કરપ્શનમાં ઘટાડો થશે તેવું લાગતું હતું પરંતુ ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના રિપોર્ટ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં ભારતમાં ભ્રષ્ટાચારમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. વિશ્વના 180 દેશોમાં કરપ્શનના આધારે એક રેન્કિંગ આપવામાં આવ્યું છે જેમાં ભારત 93મા સ્થાન પર છે. વર્ષ 2023માં ભારતને 39નો સ્કોર મળ્યો હતો અને 93મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં હિંસા ભડકેલી છે. ત્યાંની સ્થિતિ સામાન્ય થવાને બદલે ખરાબ થઈ રહી છે. મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. મણિપુરમાં ફરીથી એક વખત હિંસા ભડકી ઉઠી છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર કાંગપોકપી જિલ્લામાં બે સમુદાય વચ્ચે ઘર્ષણ થયું હતું, ગોળીબારીની ઘટના બની હતી અને આ ઘટનામાં બે લોકોના મોત પણ થઈ ગયા હોવાનું સામે આવ્યા છે. બે લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. મહત્વનું છે કે 18 જાન્યુઆરીએ પણ મણિપુરમાં હિંસા ભડકી ઉઠી હતી.




ભારત તેની જરૂરિયાતનું 80% જેટલું ક્રૂડ ઓઇલ ઉપરાંત અન્ય હાઈડ્રોકાર્બન્સ જેમ કે, LPG અને અન્ય સંસાધનો બહારથી આયાત કરે છે. ગોવા ખાતે "ઇન્ડિયા એનર્જી વીક"ની ઉજવણી ચાલી રહી છે. જેમાં USના એક્ટિંગ કોન્સ્યુલ જનરલ માઈક સક્ર્યુડર દ્વારા ભારત અને US વચ્ચે ઉર્જા સહયોગને લઇને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત , બંને દેશોના ડેલિગેશન વચ્ચે ઉર્જા વ્યાપારના વધારા , આંતરમાળખાની મજબૂતી પર અને ટેકનોલોજીમાં સહયોગ વધારવા મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સ્વરાજ આશ્રમશાળામાં બનેલી એક અત્યંત ગંભીર ઘટનાએ સમગ્ર જિલ્લામાં નહીં પરંતુ ગુજરાતભરમાં ચકચાર જગાવી છે. આશ્રમમાં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે આશ્રમના મહિલા પ્રમુખના પતિ પ્રફુલ નાયકની ધરપકડ કરી છે.

આપણો પાડોસી દેશ ચાઈના જે હાલના સમયમાં સમગ્ર દુનિયામાં "મેન્યુફેક્ચરિંગ હબ" બનીને ઉભર્યું છે. પરંતુ , ત્યાં આજે પણ ત્યાં લોકતંત્ર નથી. ચાઈનામાં માત્ર એક જ રાજકીય પક્ષની સત્તા ચાલે છે તે છે, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના. CPC એટલેકે , કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાનું રાજ છેક ૧૯૪૯થી ચાલે છે. આજ કારણ છે ત્યાં ક્યારેય સત્તામાં પરિવર્તન આવતું નથી અને હવે સમાચાર એ પણ સામે આવ્યા છે , ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરુદ્ધ સેનાના ટોચના જનરલ દ્વારા બળવો (Coup) કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના કારણે , ચાઈનામાં હાલ ભયનો માહોલ વર્તાઈ રહ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.