Jamawat News Bulletin : Ahmedabadમાં રમાશે વર્લ્ડ કપની ઓપનિંગ મેચ, નકલી નાયબ કલેક્ટર ઝડપાઈ, AAP સાંસદની થઈ ધરપકડ....


  • Published By :
  • Published Date : 2023-10-05 09:11:58

અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વર્લ્ડ કપની ઓપનિંગ મેચ રમાવાની છે. ઈંગ્લેન્ડ તેમજ ન્યુઝિલેન્ડ વચ્ચે આજે મુકાબલો જામવાનો છે. બપોરે બે વાગ્યાથી મેચનો પ્રારંભ થવાનો છે. ક્રિકેટના મહાકુંભનો પ્રારંભ અમદાવાદમાં થવાનો છે. 10 ટીમ વચ્ચે વર્લ્ડ કપ જીતવાનો જંગ જોવા મળશે. ભારત અને પાકિસ્તાનની ટીમ પણ આ વખતે અમદાવાદમાં ટકરાવાની છે. 14 ઓક્ટોબરે મેચ રમાવાની છે. વર્લ્ડ કપની ફાઈનલ 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં રમાશે. આ વન ડે વર્લ્ડ કપમાં 10 ટીમો વચ્ચે ટક્કર થવાની છે.  ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ પણ ટૂર્નામેન્ટમાં રમતી જોવા મળશે. અમદાવાદ આ મેચ યોજાવાની છે તેને લઈ અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળવાનો છે.


આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીંવત

રાજ્યમાંથી ચોમાસુ ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે. ચોમાસાની વિદાય થવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ગરમીનો અનુભવ પણ લોકોને થઈ રહ્યો છે. સવારે તેમજ રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે પરંતુ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. બેવડી ઋતુનો સામનો ગુજરાતના લોકોને કરવો પડી રહ્યો છે. ત્યારે આગામી દિવસો માટે હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી થોડા દિવસો દરમિયાન વરસાદની સંભાવના નહીંવત છે તેવી આગાહી કરવામાં આવી છે.આગામી છ દિવસ કોઇક જગ્યાએ એકાદ ડિગ્રી તાપમાન વધી શકે છે. પરંતુ ગુજરાતમાં વરસાદની શક્યતા નથી આ સાથે ટેમ્પરેચરમાં પણ કોઇ મોટો ફેરફાર નહીં થાય. શહેરોના તાપમાનમાં મોટા ફેરફાર નહીં થાય તેવી જાણકારી પણ મનોરમા મોહંતી દ્વારા આપવામાં આવી છે.


મોહનથાળ બનાવવાનો કોન્ટ્રાક્ટ અક્ષપાત્રને આપવામાં અપાયો 

શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમના મેળા દરમિયાન ભક્તોને આપવામાં આવતા મોહનથાળના પ્રસાદમાં ભેળસેળવાળું  ઘી વાપરવામાં આવ્યું હોવાનો રિપોર્ટ સામે આવ્યા બાદ હોબાળો મચ્યો હતો. જો કે, હવે ભેળસેળ વાળા ઘી મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, અંબાજી મંદિર ખાતે મોહિની કેટરર્સના ઘીનો સેમ્પલ ફેલ થવાના કારણે મોહનથાળનો પ્રસાદ બનાવવાનું મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પ્રસાદ બનાવવાની કામગીરી મોહિની કેટરર્સ ના બદલે અક્ષયપાત્ર દ્વારા પ્રસાદ બનાવવામાં આવશે. મહત્વનું છે કે શક્તિપીઠ અંબાજીનો મોહનથાળ આની પહેલા પણ ચર્ચામાં આવ્યો છે. પ્રસાદીના રૂપમાં જ્યારે મોહનથાળની જગ્યાએ ચિક્કીનો પ્રસાદ આપવાની જાહેરાત કરાઈ ત્યારે માઈ ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. 



બનાવટી ડેપ્યુટી કલેક્ટર બની લોકોને ઠગતી નેહા ઝડપાઈ

રાજ્યમાં બનાવટી સરકારી કર્મચારીઓનો જાણે રાફડો ફાટ્યો છે, થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં એક નકલી પોલીસની ધરપકડ કરાઈ હતી. જયારે હવે એક નવો મામલો સામે આવ્યો છે, બારડોલીના બાબેન ગામની એક બનાવટી ડેપ્યુટી કલેક્ટર બની લોકોને ઠગતી નેહા પટેલ ઝડપાઇ છે. આ ભેજામાજ મહિલાએ અનેક લોકોને ચૂનો લગાડી લાખો રુપિયાની કટકી કરી છે. ડેપ્યુટી કલેક્ટર બની માંડવીના તારાપુર ગામના ખેડૂત સાથે ઠગાઈ કરવામાં આવી છે. પોતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતી હોવાનું અને ત્યાં નીકળતા કામોના ટેન્ડર અપાવી કમિશન તેમજ મુદ્દલ રકમ પરત આપવાની લાલચ આપી મહિલાએ તે ખેડૂત સાથે 22.28 લાખની છેતરપિંડી કરી છે. માંડવીના તારાપુર ગામના ખેડૂત સાથે ઠગાઈ આચરનારી નેહા પટેલનું કારસ્તાન સામે આવ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. આ મામલે પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. આ અગાઉ પણ બારડોલી ,ડેડીયાપાડા, કતારગામ તેમજ વડોદરામાં આ મહિલાએ કરોડો રુપિયાની ઠગાઈ કરી હોવાની માહિતી સામે આવી છે.


આપના સાંસદ સંજય સિંહની થઈ ધરપકડ 

ગઈકાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે EDએ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહને ત્યાં દરોડા પાડ્યા હતા અને સાંજે તેમની ધરપકડ કરવામાં આવી. EDએ બુધવારે સવારે 7 વાગ્યાથી સંજય સિંહના દિલ્હીના ઘરે દરોડા પાડ્યા હતા. અહીંથી ઘણા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. લાંબી પૂછપરછ બાદ EDએ બુધવારે સાંજે લગભગ 5:30 વાગ્યે સંજય સિંહની ધરપકડ કરી હતી. સંજય સિંહનું નામ એક્સાઇઝ પોલિસી કેસની ચાર્જશીટમાં પણ છે. આ કેસમાં મનીષ સિસોદિયા ફેબ્રુઆરીથી જેલમાં છે. મહત્વનું છે કે Delhi Liqour Policy કેસમાં મનીષ સિસોદીયાની પણ ધરપકડ કરવામાં આવી છે. 


ઉત્તરકાશીમાં થયો ધરતીકંપના આંચકાનો અનુભવ 

ધરતીકંપના આંચકાઓનો અનુભવ અનેક વખત અનેક સ્થળો પર થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા દિલ્હી, ઉત્તરકાશી, દેહરાદુન, શ્રીનગર સહિતના ભાગોમાં ભૂકંપ અનુભવાયો હતો ત્યારે આજે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. આ અંગે મળતી માહિતી અનુસાર આ ધરતીકંપને કારણે કોઈ જાનહાની થઈ નથી. ન માત્ર ભારતમાં ધરતીકંપના આંચકાનો અહેસાસ થાય છે પરંતુ નેપાળમાં થોડા દિવસો પહેલા ભૂકંપ આવ્યો હતો. 

 

 


ગેસ સિલિન્ડર પર મળતી સબસિડીમાં કેન્દ્ર સરકારે કર્યો વધારો 

ગઈકાલે કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મળતી સબસિડીને વધારી દેવામાં આવી છે. બુધવારે ઉજ્જવલા યોજના હેઠળ 14.2 કિલોના LPG સિલિન્ડર પર સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરવાની જાહેરાત કરી. મહત્વનું છે કે ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 9.6 કરોડથી વધુ કનેક્શન આપવામાં આવ્યા છે.1લી મે 2016ના રોજ ઉત્તરપ્રદેશના બલિયામાં યોજનાને લોન્ચ કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2022-23માં આ યોજનાની સબસિડી પર રૂ. 6,100 કરોડનો ખર્ચ થયો હતો.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.