Jamawat News Bulletin : Ahmedabadમાં રમાશે વર્લ્ડ કપની ઓપનિંગ મેચ, નકલી નાયબ કલેક્ટર ઝડપાઈ, AAP સાંસદની થઈ ધરપકડ....


  • Published By :
  • Published Date : 2023-10-05 09:11:58

અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વર્લ્ડ કપની ઓપનિંગ મેચ રમાવાની છે. ઈંગ્લેન્ડ તેમજ ન્યુઝિલેન્ડ વચ્ચે આજે મુકાબલો જામવાનો છે. બપોરે બે વાગ્યાથી મેચનો પ્રારંભ થવાનો છે. ક્રિકેટના મહાકુંભનો પ્રારંભ અમદાવાદમાં થવાનો છે. 10 ટીમ વચ્ચે વર્લ્ડ કપ જીતવાનો જંગ જોવા મળશે. ભારત અને પાકિસ્તાનની ટીમ પણ આ વખતે અમદાવાદમાં ટકરાવાની છે. 14 ઓક્ટોબરે મેચ રમાવાની છે. વર્લ્ડ કપની ફાઈનલ 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં રમાશે. આ વન ડે વર્લ્ડ કપમાં 10 ટીમો વચ્ચે ટક્કર થવાની છે.  ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ પણ ટૂર્નામેન્ટમાં રમતી જોવા મળશે. અમદાવાદ આ મેચ યોજાવાની છે તેને લઈ અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળવાનો છે.


આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીંવત

રાજ્યમાંથી ચોમાસુ ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે. ચોમાસાની વિદાય થવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ગરમીનો અનુભવ પણ લોકોને થઈ રહ્યો છે. સવારે તેમજ રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે પરંતુ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. બેવડી ઋતુનો સામનો ગુજરાતના લોકોને કરવો પડી રહ્યો છે. ત્યારે આગામી દિવસો માટે હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી થોડા દિવસો દરમિયાન વરસાદની સંભાવના નહીંવત છે તેવી આગાહી કરવામાં આવી છે.આગામી છ દિવસ કોઇક જગ્યાએ એકાદ ડિગ્રી તાપમાન વધી શકે છે. પરંતુ ગુજરાતમાં વરસાદની શક્યતા નથી આ સાથે ટેમ્પરેચરમાં પણ કોઇ મોટો ફેરફાર નહીં થાય. શહેરોના તાપમાનમાં મોટા ફેરફાર નહીં થાય તેવી જાણકારી પણ મનોરમા મોહંતી દ્વારા આપવામાં આવી છે.


મોહનથાળ બનાવવાનો કોન્ટ્રાક્ટ અક્ષપાત્રને આપવામાં અપાયો 

શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમના મેળા દરમિયાન ભક્તોને આપવામાં આવતા મોહનથાળના પ્રસાદમાં ભેળસેળવાળું  ઘી વાપરવામાં આવ્યું હોવાનો રિપોર્ટ સામે આવ્યા બાદ હોબાળો મચ્યો હતો. જો કે, હવે ભેળસેળ વાળા ઘી મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, અંબાજી મંદિર ખાતે મોહિની કેટરર્સના ઘીનો સેમ્પલ ફેલ થવાના કારણે મોહનથાળનો પ્રસાદ બનાવવાનું મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પ્રસાદ બનાવવાની કામગીરી મોહિની કેટરર્સ ના બદલે અક્ષયપાત્ર દ્વારા પ્રસાદ બનાવવામાં આવશે. મહત્વનું છે કે શક્તિપીઠ અંબાજીનો મોહનથાળ આની પહેલા પણ ચર્ચામાં આવ્યો છે. પ્રસાદીના રૂપમાં જ્યારે મોહનથાળની જગ્યાએ ચિક્કીનો પ્રસાદ આપવાની જાહેરાત કરાઈ ત્યારે માઈ ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. 



બનાવટી ડેપ્યુટી કલેક્ટર બની લોકોને ઠગતી નેહા ઝડપાઈ

રાજ્યમાં બનાવટી સરકારી કર્મચારીઓનો જાણે રાફડો ફાટ્યો છે, થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં એક નકલી પોલીસની ધરપકડ કરાઈ હતી. જયારે હવે એક નવો મામલો સામે આવ્યો છે, બારડોલીના બાબેન ગામની એક બનાવટી ડેપ્યુટી કલેક્ટર બની લોકોને ઠગતી નેહા પટેલ ઝડપાઇ છે. આ ભેજામાજ મહિલાએ અનેક લોકોને ચૂનો લગાડી લાખો રુપિયાની કટકી કરી છે. ડેપ્યુટી કલેક્ટર બની માંડવીના તારાપુર ગામના ખેડૂત સાથે ઠગાઈ કરવામાં આવી છે. પોતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતી હોવાનું અને ત્યાં નીકળતા કામોના ટેન્ડર અપાવી કમિશન તેમજ મુદ્દલ રકમ પરત આપવાની લાલચ આપી મહિલાએ તે ખેડૂત સાથે 22.28 લાખની છેતરપિંડી કરી છે. માંડવીના તારાપુર ગામના ખેડૂત સાથે ઠગાઈ આચરનારી નેહા પટેલનું કારસ્તાન સામે આવ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. આ મામલે પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. આ અગાઉ પણ બારડોલી ,ડેડીયાપાડા, કતારગામ તેમજ વડોદરામાં આ મહિલાએ કરોડો રુપિયાની ઠગાઈ કરી હોવાની માહિતી સામે આવી છે.


આપના સાંસદ સંજય સિંહની થઈ ધરપકડ 

ગઈકાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે EDએ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહને ત્યાં દરોડા પાડ્યા હતા અને સાંજે તેમની ધરપકડ કરવામાં આવી. EDએ બુધવારે સવારે 7 વાગ્યાથી સંજય સિંહના દિલ્હીના ઘરે દરોડા પાડ્યા હતા. અહીંથી ઘણા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. લાંબી પૂછપરછ બાદ EDએ બુધવારે સાંજે લગભગ 5:30 વાગ્યે સંજય સિંહની ધરપકડ કરી હતી. સંજય સિંહનું નામ એક્સાઇઝ પોલિસી કેસની ચાર્જશીટમાં પણ છે. આ કેસમાં મનીષ સિસોદિયા ફેબ્રુઆરીથી જેલમાં છે. મહત્વનું છે કે Delhi Liqour Policy કેસમાં મનીષ સિસોદીયાની પણ ધરપકડ કરવામાં આવી છે. 


ઉત્તરકાશીમાં થયો ધરતીકંપના આંચકાનો અનુભવ 

ધરતીકંપના આંચકાઓનો અનુભવ અનેક વખત અનેક સ્થળો પર થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા દિલ્હી, ઉત્તરકાશી, દેહરાદુન, શ્રીનગર સહિતના ભાગોમાં ભૂકંપ અનુભવાયો હતો ત્યારે આજે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. આ અંગે મળતી માહિતી અનુસાર આ ધરતીકંપને કારણે કોઈ જાનહાની થઈ નથી. ન માત્ર ભારતમાં ધરતીકંપના આંચકાનો અહેસાસ થાય છે પરંતુ નેપાળમાં થોડા દિવસો પહેલા ભૂકંપ આવ્યો હતો. 

 

 


ગેસ સિલિન્ડર પર મળતી સબસિડીમાં કેન્દ્ર સરકારે કર્યો વધારો 

ગઈકાલે કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મળતી સબસિડીને વધારી દેવામાં આવી છે. બુધવારે ઉજ્જવલા યોજના હેઠળ 14.2 કિલોના LPG સિલિન્ડર પર સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરવાની જાહેરાત કરી. મહત્વનું છે કે ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 9.6 કરોડથી વધુ કનેક્શન આપવામાં આવ્યા છે.1લી મે 2016ના રોજ ઉત્તરપ્રદેશના બલિયામાં યોજનાને લોન્ચ કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2022-23માં આ યોજનાની સબસિડી પર રૂ. 6,100 કરોડનો ખર્ચ થયો હતો.




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.