Jamawat News Bulletin - સરકારી ચોપડે રાજ્યમાં નોંધાયા આટલા બેરોજગારો, ખેડૂતો આજે ફરીથી કરશે દિલ્હી તરફ કૂચ...


  • Published By :
  • Published Date : 2024-02-14 09:17:50

એક તરફ યુવાનોને રોજગારી મળી રહી છે તેવી વાતો કરવામાં આવતી હોય છે પરંતુ વાસ્તવિક્તામાં અનેક યુવાનો બેરોજગાર છે. આપણા ઓળખીતાઓમાં પણ એવા હશે જેમને નોકરી નહીં મળી હોય! અનેક યુવાનો શિક્ષિત બેરોજગાર છે. ત્યારે રાજ્યમાં કેટલા લોકો બેરોજગાર છે તેનો આંકડો વિધાનસભામાં પેશ કરાયો હતો. કોંગ્રેસના ધારાસભ્યના સવાલ પર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશ તેમજ રાજ્યમાં બેરોજગારીનો દર ઘટ્યો છે. સરકારી ચોપડે નોંધાયેલા શિક્ષિત બેરોજગારીઓની વાત કરીએ તો તે આંકડો છે 2 લાખ 38 હજાર 978... 10,757 અર્ધ શિક્ષિત બેરોજગાર સરકારી ચોપડે નોંધાયા છે. મહત્વનું છે કે સરકારી ચોપડે બેરોજગારી ઘટી છે તેવા દાવા કરવામાં આવ્યા છે. વિધાનસભામાં જણાવામાં આવેલા આંકડા અનુસાર કેન્દ્રનો બેરોજગારી દર 4.3 ટકાથી ઘટીને 3.7 ટકા થયો છે જ્યારે રાજ્યમાં બેરોજગારીનો દર 2.2 ટકાથી ઘટીને 1.7 ટકા થયો છે...


ઉમેશ મકવાણા બન્યા ભાવગર લોકસભા સીટના દાવેદાર!

લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે વધુ એક ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ભાવનગર લોકસભા બેઠક પરથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ચૂંટણી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. મહત્વનું છે કે ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા ત્યારે તેમના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવ્યા હતા. તે વખતે ચૈતર વસાવાના નામની જાહેરાત ભરૂચ લોકસભા સીટ માટે કરવામાં આવી હતી ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર લોકસભા સીટ માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. બોટાદના ધારાસભ્યને ભાવનગર લોકસભા સીટ પરથી ચૂંટણી મેદાન માટે ઉતાર્યા છે.    


ખેડૂતો આજે ફરીથી દિલ્હી તરફ કરશે કૂચ  

છેલ્લા કેટલાય દિવસોથી જગતના તાત પોતાની માગને લઈ પ્રદર્શન કરી રહ્યા છે. પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખી પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ છે. દિલ્હીને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવાયું છે. બોર્ડરો સિલ કરી દેવામાં આવી છે. ગઈકાલે હરિયાણાની શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. બોર્ડર પર મોટા મોટા ખીલ્લાઓ મૂકવામાં આવ્યા છે. સિમેન્ટના બેરિકેટ મૂકી દેવામાં આવ્યા છે. ખેડૂતોએ બેરિકેટ તોડવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પોલીસ અને ખેડૂતો આમને સામને આવી ગયા હતા જેને કારણે અનેક લોકો ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે. આજે પણ ઘર્ષણના કિસ્સાઓ બની શકે છે તેવી શક્યતાઓ છે. આંદોલનને પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. 


સોનિયા ગાંધી આજે નોંધાવી શકે છે ઉમેદવારી 

કોંગ્રેસના અગ્રણી નેતાઓએ લોકસભા ચૂંટણી માટે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના સાથી પક્ષો સાથે સીટોની વહેંચણી અને રાજ્યસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવારોના નામ પર સોમવારે ચર્ચા કરી હતી. સુત્રોનું કહેવું છે કે કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી અને ખજાનચી અજય માકનનું નામ સૌથી ટોચ પર છે. પાર્ટી સુત્રોનું કહેવું છે કે રાજસ્થાન કે હિમાચલ પ્રદેશથી ઉમેદવાર બનાવવામાં આવે તેવી સંભાવના છે. સંખ્યાની દ્રષ્ટીએ બંને રાજ્યોમાંથી કોંગ્રેસને રાજ્ય સભાની એક-એક સીટ મળશે. જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.


પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019એ થયો હતો આતંકી હુમલો 

14 ફેબ્રુઆરીના દિવસે અનેક લોકો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતા હોય છે. પ્રેમનો દિવસ 14 ફેબ્રુઆરીને માનવામાં આવે છે. પરંતુ ભારત દેશના સેનાના જવાન માટે તેમજ ભારત દેશ માટે વર્ષ 2019ની 14 ફેબ્રુઆરી કાળો દિવસ સાબિત થયો હતો. 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામાં આંતકી હુમલો થયો હતો. આતંકી હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થઈ ગયા હતા. જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકી હુમલો થયો હતો અને ભારત દેશે આ દિવસે પોતાના 40 વીર સંતાનોને ગુમાવ્યા હતા. ત્યારે દેશ માટે પોતાના પ્રાણ આપનાર દેશના વીર જવાનોને યાદ કરીએ...   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.