Jamawat News Bulletin - સરકારી ચોપડે રાજ્યમાં નોંધાયા આટલા બેરોજગારો, ખેડૂતો આજે ફરીથી કરશે દિલ્હી તરફ કૂચ...


  • Published By :
  • Published Date : 2024-02-14 09:17:50

એક તરફ યુવાનોને રોજગારી મળી રહી છે તેવી વાતો કરવામાં આવતી હોય છે પરંતુ વાસ્તવિક્તામાં અનેક યુવાનો બેરોજગાર છે. આપણા ઓળખીતાઓમાં પણ એવા હશે જેમને નોકરી નહીં મળી હોય! અનેક યુવાનો શિક્ષિત બેરોજગાર છે. ત્યારે રાજ્યમાં કેટલા લોકો બેરોજગાર છે તેનો આંકડો વિધાનસભામાં પેશ કરાયો હતો. કોંગ્રેસના ધારાસભ્યના સવાલ પર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશ તેમજ રાજ્યમાં બેરોજગારીનો દર ઘટ્યો છે. સરકારી ચોપડે નોંધાયેલા શિક્ષિત બેરોજગારીઓની વાત કરીએ તો તે આંકડો છે 2 લાખ 38 હજાર 978... 10,757 અર્ધ શિક્ષિત બેરોજગાર સરકારી ચોપડે નોંધાયા છે. મહત્વનું છે કે સરકારી ચોપડે બેરોજગારી ઘટી છે તેવા દાવા કરવામાં આવ્યા છે. વિધાનસભામાં જણાવામાં આવેલા આંકડા અનુસાર કેન્દ્રનો બેરોજગારી દર 4.3 ટકાથી ઘટીને 3.7 ટકા થયો છે જ્યારે રાજ્યમાં બેરોજગારીનો દર 2.2 ટકાથી ઘટીને 1.7 ટકા થયો છે...


ઉમેશ મકવાણા બન્યા ભાવગર લોકસભા સીટના દાવેદાર!

લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે વધુ એક ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ભાવનગર લોકસભા બેઠક પરથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ચૂંટણી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. મહત્વનું છે કે ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા ત્યારે તેમના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવ્યા હતા. તે વખતે ચૈતર વસાવાના નામની જાહેરાત ભરૂચ લોકસભા સીટ માટે કરવામાં આવી હતી ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર લોકસભા સીટ માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. બોટાદના ધારાસભ્યને ભાવનગર લોકસભા સીટ પરથી ચૂંટણી મેદાન માટે ઉતાર્યા છે.    


ખેડૂતો આજે ફરીથી દિલ્હી તરફ કરશે કૂચ  

છેલ્લા કેટલાય દિવસોથી જગતના તાત પોતાની માગને લઈ પ્રદર્શન કરી રહ્યા છે. પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખી પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ છે. દિલ્હીને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવાયું છે. બોર્ડરો સિલ કરી દેવામાં આવી છે. ગઈકાલે હરિયાણાની શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. બોર્ડર પર મોટા મોટા ખીલ્લાઓ મૂકવામાં આવ્યા છે. સિમેન્ટના બેરિકેટ મૂકી દેવામાં આવ્યા છે. ખેડૂતોએ બેરિકેટ તોડવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પોલીસ અને ખેડૂતો આમને સામને આવી ગયા હતા જેને કારણે અનેક લોકો ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે. આજે પણ ઘર્ષણના કિસ્સાઓ બની શકે છે તેવી શક્યતાઓ છે. આંદોલનને પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. 


સોનિયા ગાંધી આજે નોંધાવી શકે છે ઉમેદવારી 

કોંગ્રેસના અગ્રણી નેતાઓએ લોકસભા ચૂંટણી માટે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના સાથી પક્ષો સાથે સીટોની વહેંચણી અને રાજ્યસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવારોના નામ પર સોમવારે ચર્ચા કરી હતી. સુત્રોનું કહેવું છે કે કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી અને ખજાનચી અજય માકનનું નામ સૌથી ટોચ પર છે. પાર્ટી સુત્રોનું કહેવું છે કે રાજસ્થાન કે હિમાચલ પ્રદેશથી ઉમેદવાર બનાવવામાં આવે તેવી સંભાવના છે. સંખ્યાની દ્રષ્ટીએ બંને રાજ્યોમાંથી કોંગ્રેસને રાજ્ય સભાની એક-એક સીટ મળશે. જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.


પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019એ થયો હતો આતંકી હુમલો 

14 ફેબ્રુઆરીના દિવસે અનેક લોકો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતા હોય છે. પ્રેમનો દિવસ 14 ફેબ્રુઆરીને માનવામાં આવે છે. પરંતુ ભારત દેશના સેનાના જવાન માટે તેમજ ભારત દેશ માટે વર્ષ 2019ની 14 ફેબ્રુઆરી કાળો દિવસ સાબિત થયો હતો. 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામાં આંતકી હુમલો થયો હતો. આતંકી હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થઈ ગયા હતા. જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકી હુમલો થયો હતો અને ભારત દેશે આ દિવસે પોતાના 40 વીર સંતાનોને ગુમાવ્યા હતા. ત્યારે દેશ માટે પોતાના પ્રાણ આપનાર દેશના વીર જવાનોને યાદ કરીએ...   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.